હળદરનો ઉપયોગ કરી આ રીતે તમારા ચહેરા પરના ખીલને કરો કાયમ માટે દૂર
હળદર શરીર માટે અમૃત સમાન ગુણકારી ઔષધી છે. તે તમારા શહીરને બાહ્ય રીતે તેમજ આંતરિક રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે હળદરવાળુ દૂધ પીવાથી તે તમારા શરીરને અંદરથી હીલ કરે છે જો ક્યાંય બેઠો માર વાગ્યો હોય તો તેને અંદરથી જ શાંત પાડે છે.
અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે, હળદર એક ઓલરાઉન્ડર ફુડ છે જે તમારા શરીરને બધી જ રીતે લાભ પહોંચાડે છે. અને જો તેની પેસ્ટ બનાવી તેને શરીર પર લગાવવામાં આવે તો તે તમારા શરીર પર ઘા થયો હોય તેને ઝડપથી રુઝ લાવવામાં મદદ કરે છે અને જો તેને ચહેરા પર લગાવવામાં આવે તો ચહેરો કાંતિવાન બને છે અને તમારી લાંબા સમયની ખીલની સમસ્યા પણ દૂર થાય છે.
ખીલ પાછળના કારણો શરીરની અંદર સમાયેલા હોયછે. જો તમે તમારા ડાયેટને યોગ્ય કરો હેલ્ધી કરો તો તમારી ખીલની સમસ્યા સદંતર દૂર થઈ શકે છે. ખીલ ખાસ કરીને તૈલી ત્વચાવાળાલોકોને વધારે થાય છે અને તેવા લોકો જ્યારે દૂધ, મલાઈ કે પછી ઓઇલી પદાર્થો તેમજ રીફાઈન્ડ કાર્બ્સ જેમ કે મેંદાની બ્રેડ, પાસ્તા વિગેરે ખાય અથવા તો હાઇ ગ્લાઇસેમિક ખોરાક ખાય ત્યારે તેમની આ સમસ્યા વકરે છે.
જો તમે ન ઇચ્છતા હોવ કે તમારા સુંદર ચહેરા પર ખીલ થાય તો તમારે આ પ્રકારના ખોરાકથી દૂર રહેવું જોઈએ પણ આ સિવાય પણ તમે હળદરના અનોખા ઉપયોગથી ખીલને દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ તેના ઘરગથ્થુ ઉપાયો વિષે.
હળદર અને ચણાનો લોટ
તેના માટે તમારે 2 મોટા ચમચા ચણાનો લોટ, એક નાની ચમચી હળદર, બેથી ત્રણ નાની ચમચી ગુલાબજળ અથવા તો દહીં લેવું. હવે આ ત્રણે સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી અને એક પેસ્ટ તૈયાર કરી લેવી.
હવે તૈયાર થયેલી પેસ્ટને તમારે તમારા ચહેરા પરના ખીલ પર લગાવવી અને તેને તેમ જ સુકાવા દેવું. 20 મિનિટ સુધીમાં પેસ્ટ સુકાઈ જશે હવે તેને નોર્મલ પાણી વડે ધોઈ લેવું. આ પ્રયોગ તમે અઠવાડિયામાં 2-3 વાર કરી શકો છો.
આ સિવાય આ જ પેસ્ટનો ઉપયોગ તમે ફેસવોશ તરીકે પણ કરી શકો છો. જો તમે નિયમિત ફેસવોશથી ચહેરો સાફ કરતા હોવ તો ઉપર જણાવેલા મિશ્રણમાં બે-ત્રણ ટીપાં લીંબુ ઇમેરીને તમારે તેનાથી ચેહરો સાફ કરવો જોઈએ. ખીલની સમસ્યા તો દૂર થશે જ પણ સાથે સાથે ચેહરો કાંતિવાન પણ બનશે.
લીમડો અને હળદર
તેના માટે તમારે લીમડાના 15-20 પત્તા લેવા તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળવા હવે તે બરાબર ઉકળી જાય એટલે તેની પેસ્ટ તૈયાર કરી લેવી.
હવે તે પેસ્ટને એક વાટકીમાં લઈ લેવી અને તેમાં પા ચમચી હળદર નાખવી.
હવે આ બન્ને સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી. હવે આ મિશ્રણને તમને ખીલ થયા હોય તે જગ્યા પર લગાવી લેવી. હવે આ પેસ્ટ જ્યાં સુધી સુકાઈ નહીં ત્યાં સુધી તેને તેમ જ રહેવા દેવી.
ત્યાર બાદ જ્યારે પેસ્ટ સુકાઈ જાય એટલે તેને ઠંડા પાણી વડે ધોઈ લેવી.આ પ્રક્રિયાને તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર અજમાવી શકો છો ધીમે ધીમે તમારા ચહેરા પરના ખીલ દૂર થઈ જશે અને તેના ડાઘા પણ ઝાંખા થવા લાગશે.
હળદર અને કુંવાર પાઠાની જેલનો પ્રયોગ
એલોવેરા તમારી ત્વચા માટે કોઈ જાદુઈ જડીબુટ્ટી સમાન છે. તે તમારી ત્વચાને અનેક રીતે લાભ પહોંચાડે છે. આ ઉપચાર માટે તમારે એક નાની ચમચી હળદર અને બે મોટા ચમચા એલોવેરાની જેલ લેવાની છે. બને ત્યાં સુધી આ જેલ તાજી જ વાપરવી.
હવે આ બન્ને સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી અને તેને તમારા ચહેરા પર જ્યાં જ્યાં ખીલ હોય ત્યાં લગાવી લેવી. હવે આ પેસ્ટને તમારાખીલ પર 8થી 10 મિનિટ માટે રહેવા દેવી. ચહેરા પર થતાં ખીલને ઘટાડવા માટે તમારે આ ઉપચારનો પ્રયોગ દર એકાતરે દીવસે કરવાનો રહેશે.
હળદર અને દહીંનો પ્રયોગ
તેના માટે તમારે બે મોટા ચમચા દહીં લેવું તેમાં અરધી નાની ચમચી હળદર ઉમેરવી અને તે બન્નેને બરાબર મિક્સ કરી લેવું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેને તમારા ચહેરા પરના ખીલ પર લગાવી લો. 15થી 20 મિનિટ બાદ તેને નોર્મલ પાણી વડે ધોઈ લેવું.
આ પ્રયોગ તમે અઠવાડિયાના ત્રણ દિવસ કરી શકો છો. આ સિવાય તમે આ જ મિશ્રણનો ઉપયોગ ચહેરાના માસ્ક તરીકે પણ કરી શકો છો તેનાથી ચહેરા પરના ખીલ તો દૂર થશે જ પણ સમગ્ર ચહેરો સુંવાળો અને કાંતિવાન બનશે.
હળદર અને દૂધ
આ બન્ને સામગ્રી તમારા ઘરે હોવાની જ અને તેના માટે તમારે વધારે કોઈ પ્રયાસ પણ નથી કરવાનો. તમારે અરધી નાની ચમચી હળદર લેવાની છે તેને તમારે બે મોટા ચમચા દૂધમાં ઉમેરી દેવી અને તેને બરાબર મિક્સ કરી દેવી.
હવે આ તૈયાર થયેલા પ્રવાહી મિશ્રણને તમારા ખીલ પર કોટનના બોલથી એટલે કે રુના પુમડાથી લગાવો. હવે તેને તેમ જ 8-10 મિનિટ માટે છોડી દો. ત્યાર બાદ પાણી વડે ચેહરો ધોઈ લો.
આ પ્રયોગને તમે દર એકાતરે દીવસે કરી શકો છો તે તમારા ચહેરા પરના ખીલ દૂર કરી દેશે અને ખીલના કારણે થતાં ખાડા પણ નહીં થવા દે.
હળદર અને લીંબુનો પ્રયોગ
તેના માટે તમારે એક મોટો ચમચો લીંબુનો જ્યુસ અને અરધી ચમચી હળદર લેવાની. હવે તેને બરાબર મિક્સ કરી દેવું. હવે તૈયાર થયેલા મિશ્રણને તમારા ચહેરા પરના ખીલ પર લગાવવું. બની શકે કે તમને થોડું બળે પણ ચિંતા કરવાની જરૂર નથી.
હવે તેને ચહેરા પર 10થી 12 મિનિટ માટે રહેવા દેવું. ત્યાર બાદ તેને સામાન્ય પાણી વડે ધોઈ લેવું. તમે આ પ્રયોગનો ઉપયોગ નિયમિત રીતે કરી શકો છો.
હળદર અને મધનો પ્રયોગ
તેના માટે તમારે એક નાની ચમચી હળદર એક નાની વાટકીમાં લેવી. હવે તેમાં અરધી નાની ચમચી મધ ઉમેરવું. બને ત્યા સુધી ઓર્ગેનિક મધનો ઉપયોગ કરવો. હવે તેને એકબીજા સાથે મિક્સ કરી તેની એક સુંવાળી પેસ્ટ તૈયારકરી લેવી.
હવે તૈયાર થયેલી પેસ્ટને તમારા ચહેરા પરના ખીલ પર લગાવી લો. હવે તેને તેમ જ 10-15 મિનિટ માટે છોડી દો.
હવે તેને પાણી વડે ધોઈ લો આ પ્રયોગ તમે અઠવાડિયામાં 4-5 વાર કરી શકો છો તેનાથી તમારા ચહેરાને કોઈ જ નુકસાન નહીં પહોંચે માટે આ પ્રયોગ તમે રોજ પણ કરી શકો છો. ધીમે ધીમે તમારા ચહેરા પરના ખીલ દૂર થઈ જશે અને તમારી ત્વચા પણ સુંદર બનશે.
હળદર અને ઓટ્સનો પ્રયોગ
તેના માટે તમારે બે ચમચા ઓટ્સલેવા તેમાં અરધી ચમચી દહીં ઉમેરવું, એક નાની ચમચી મધ ઉમેરવું અને એક લીંબુ નિચોવી તેમાં એક નાની ચમચી હળદર ઉમેરી દેવી. આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી.
હવે તૈયાર થયેલા મિશ્રણને તમારે ચહેરા તેમજ ખાસ કરીને ચહેરા પર જ્યાં ખીલ થયેલા હોય ત્યાં લગાવીને તેને તેમ જ અરધા કલાક માટે સુકાવા દેવું. હવે અરધા કલાક બાદ તેને ઠંડા પાણી વડે ધોઈ લેવું. આ પ્રયોગ તમે અઠવાડિયામાં એકથી બે વાર કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ