ગુજરાતમાં રોજ 1500ની આસપાસ કેસ સામે આવી રહ્યા છે. હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે અને મોતના આંકડો પણ વધી રહ્યો છે. તેવામાં રાજ્યના એક ગામમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનું એક ગામ એવું પણ છે જ્યાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તેનું કારણ છે ગામના લોકોની જાગૃત્તા. કોરોનાની મહામારીમાં એક પણ કેસ નોંધાયો નથી તે ગામનું નામ છે કારીયાણી ગામ અને આ ગામ આવેલું છે સુરેન્દ્રનગરના વઢવાણમાં. ગામમાં લોકડાઉનનો અમલ થયો ત્યારથી નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવામાં આવે છે.
આ ગામને પૂર્વ ધારાસભ્ય વર્ષા દોષીએ દત્તક લીધું છે
આ ગામમાં જ્યારે કોઈ પણ બહારથી વ્યક્તિ આવે એટલે પહેલા રજીસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવે છે અને ત્યારબાદ તે વ્યક્તિના હાથ સેનિટાઈઝરથી સાફ કરીને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસર કારીયાણી ગામને પૂર્વ ધારાસભ્ય વર્ષા દોષીએ દત્તક લીધું છે. આ ગામમાં 1,100 લોકોની વસ્તી છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કેન્દ્ર સરકારે જ્યારથી લોકડાઉન લાગુ કર્યું ત્યારથી આ ગામના લોકોએ નિયમોનું કડકાઈથી અમલ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેથી આ ગામમા આજે પણ એક પણ કેસ સામે આવ્યો નથી.
બહારથી આવતા લોકોને નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજીયાત
સૌથી મહત્વની વાત એ છે કે કોરોનાની મહામારી વચ્ચે ગામમાં ધ્યાન રાખવા માટે સરપંચની અધ્યક્ષમાં 14 સભ્યોની એક કમિટી નીમવામાં આવી છે. કારીયાણી ગામમાં પ્રવેશતા લોકોની પહેલા પૂછપરછ કરવામાં આવે છે ત્યારબાદ તેમને ગામમાં જવાની મંજૂરી આપવામાં આવે છે. ગામમાં કોઈ પણ વ્યક્તિ ઘૂસી ન જાય તે માટે એક ફાટક બનાવામાં આવ્યો છે. બહારથી આવતા વ્યક્તિને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ સાથે લઇને આવવો પડે છે. ત્યાર બાદ જ તેમને ગામમાં પ્રવેશ આપવામાં આવે છે.
ફેરિયાઓને પ્રવેશ આપવામાં આવતો નથી
તો બીજી તરફ અન્ય શહેરનો કોઈ પણ વ્યક્તિ ગામમાં આવે એટલે 14 દિવસ તેને ક્વોરેન્ટાઈન કરવામાં આવે છે. ગામમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ગામમાં ફેરિયાઓને પ્રવેશ આપવામાં આવતો નથી. ગામના લોકો જે શાકભાજી ખાય છે તે પોતે તેમના ખેતરમાં જ ઉગાડે છે. તેથી તેમને ફેરીયા પાસેથી શાકભાજી લેવું પડતું નથી. કારીયાણી ગામને સરપંચ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ વાર સેનિટાઈઝ કરવામાં આવ્યું છે.
આ બાબતે પૂર્વ ધારાસભ્ય વર્ષા દોષીએ કહ્યું હતું કે, આ ગામની જેમ અન્ય ગામના લોકો પોતાની જવાબદારી સમજીને નિયમોનું પાલન કરે તો કોરોનાનું સંક્રમણ રોકી શકાય છે અને કોરોનાની સામેનો જંગ ચોક્કસથી જીતી શકાય છે. હાલ આ ગામ અન્ય લોકો માટે પ્રેરણા પુરી પાડી રહ્યુ છે. લોકોને આ ગામની વ્યવસ્થા પરથી શીખ લેવાની જરૂર છે જેથી અન્ય ગામમાં કોરોનાનું સંક્રમણ વધતા અટકી શકે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1380 કેસ
ગુજરાતમાં મોટા શહેરોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેથી ગુજરાતમાં પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1380 કેસ નોંધાયા છે. જ્યારે 14 લોકોના મોત થઇ ગયા છે. જેથી આજદિન સુધીમાં કોરોનાના કારણે 4095 મોત થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કુલ 9 લોકોના મોત થયા છે. જેમા સુરતમાં 3, અમરેલી અને રાજકોટમાં એક -એક 1 દર્દીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1568 દર્દીઓ રિક્વર થયા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 2 લાખ 20 હજાર 168 કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 14 હજાર 493 એક્ટિવ કેસ છે. જ્યારે 81 લોકોને ગંભીર સ્થિતી હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ