બિહારમાં રાજગીર પર્યટકો માટે એક ફેવરીટ ડેસ્ટિનેશન પોઇન્ટ છે. આ સ્થાને ફક્ત ભારતમાંથી જ નહીં પણ વિદેશથી આવતા પ્રવાસીઓ મુલાકાત માટે આવે છે. રાજગીર બૌદ્ધ ધર્મનાં અનુયાયીઓનું કેન્દ્ર પણ મનાય છે. જો કે હવે આ શહેર પહેલાથી પણ વધુ પ્રખ્યાત થવા તરફ આગળ વધ્યું છે. અસલમાં બિહારના રાજગીર શહેરમાં ચીનમાં બનેલા કાચના પુલ જેવો જ બ્રિજ તૈયાર કરાયો છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ગ્લાસ બ્રિજ સ્કાયવોક બ્રિજ નેચર એડવેન્ચરના શોખીનો માટે માણવા જેવો અનુભવ બની રહેશે.
ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તર ભારતમાં આ પહેલો ગ્લાસ બ્રિજ છે જેને બિહાર સરકાર દ્વારા પર્યટકો માટે બનાવાયો છે. રાજગીર ક્ષેત્રમાં પર્યટન ઉદ્યોગને વેગ મળે તેવા હેતુને ધ્યાનમાં રાખીને આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચીનનાં હાંગઝોઉ પ્રાંતમાં બનેલા 120 મીટર ઊંચા કાંચના બ્રિજ જેવો જ અને તેની પ્રતિકૃતિ સમાન આ ગ્લાસ સ્કાયવોક બ્રિજ રાજગીરમાં બન્યો છે. આ પુલ પર ચાલતા સમયે તમે તમારા પગ નીચે ધરતીને જોઈ શકો છો અને આ રોમાંચ ઘણો અદભુત હોય છે.
રાજગીર પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પર્યટકોની ખાસ પસંદ છે. બિહાર સરકારના પર્યટન વિભાગે આ પુલ આસપાસ ટુરિઝમ પોઇન્ટ વિકસાવવા નિર્ણય લીધો છે જે અંતર્ગત અહીં નેચર સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવશે. રાજગીરમાં ઝુ સફારી, તીતલી પાર્ક, આયુર્વેદીક પાર્ક અને દેશ વિદેશના અવનવા છોડ અને વનસ્પતિઓ જોવા મળે છે જે સામાન્ય રીતે અન્ય સ્થળોએ જોવા નથી મળતા.
પૂર્વોત્તરના આ પ્રથમ ગ્લાસ બ્રિજને આવનારા નવા વર્ષે સામાન્ય લોકો માટે ખોલવામાં આવનાર છે. સાથે જ અહીં કરોડો રૂપિયાના ખર્ચે રોપ વે નું નિર્માણ પણ થઈ રહ્યું છે જે અહીં આવતા પર્યટકોને વિશ્વ શાંતિ સ્તૂપ સુધી પ્રવાસ કરાવશે. નોંધનીય છે કે નાલંદા જિલ્લાને સેન્ટ્રલ ઝુ ઓથોરિટી તરફથી પણ ઝુ સફારી પાર્ક માટેની મંજૂરી મળી ગઈ છે.
આ પહેલા ચીનમાં ગ્લાસ સ્કાયવોક બ્રિજ બન્યો હતો અને તેને જ્યારે 20 ઓગસ્ટ 2016 માં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો ત્યારે તે વિશ્વનો સૌથી ઊંચો અને સૌથી લાંબો કાંચનો બ્રિજ બન્યો હતો. ચીનના આ પુલની કુલ લંબાઈ 430 મીટર અને પહોળાઈ 6 મીટર હતી તેમજ એ જમીનથી લગભગ 300 મીટરની ઊંચાઈએ આવેલો છે.