દિવસમાં માત્ર એક એવોકાડો ખાઓ અને માત્ર વજન ન જ ન ઘટાડો પણ બીમારીઓને પણ દૂર રાખો
એવોકાડોનું સેવન મગજ અને દ્રષ્ટિને તેજ બનાવે છે.
થોડા સમય પહેલાં અક્ષય કુમારે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એવોકાડો ટોસ્ટની રેસિપિ અને તેની તસ્વીર શેર કરી હતી. ત્યારથી ભારતીય લોકોમાં એવોકાડોને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળી છે. પણ તમને જણાવી દઈ કે એવોકાડો પણ સફરજનની જેમ જ એક હેલ્ધી ફૂડ છે.
જ્યારે ક્યારેય આપણને કોઈ હેલ્ધી ફૂડની સલાહ આપે કે તરત જ આપણી નજર સામે લીલા શાકભાજી, ફળો તેમજ કઠોળ આવી જાય છે. અને તે સદંતર સાચું પણ છે. તેમ છતાં તમે તેમાંથી પણ કોઈ એક ચોક્કસ ફૂડને પસંદ કરવા માગતા હોવ તો અમે તમને જણાવી દઈએ કે ફ્રૂટમાં એવોકાડો ઉત્તમ રહેશે.
આજકાલ એવોકાડો લોકોનું ખુબ ફેવરીટ થઈ ગયું છે અને કેટલાક ડાયેટીશિયન તો તેને તમારા કીચનમાં હરહંમેશ રાખવાની સલાહ આપે છે કારણ કે તે ખરેખર તમારા સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ કરે છે.
એવોકાડો ખાવાથી તમારું પેટ ભરેલું ભરેલું રહે છે અને તેના કારણે તમને બીજું કંઈ ખાવાનું મન નથી થતું અને આ રીતે તમે આડાઅવળા અનહેલ્ધી ફૂડથી દૂર રહો છો.
આ ઉપરાંત એવોકાડોમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ ઉપરાંત 20 પ્રકારના ખનીજતત્ત્વો તેમજ વિટામીન્સ સમાયેલા છે માટે તે વજન ઘટાડવાની સાથે સાથે ઘણા બધા સ્વાસ્થ્ય લાભો પણ ધરાવે છે.
તો ચાલો જાણીએ કે એવો કાડોમાં કેટલું પોષણ છે અને તેને ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે.
એવોકાડોમાં ભરપૂર પોષકત્ત્વો સમાયેલા છે
એવોકાડોમાં અનેક પ્રકારના વિટામીન્સ તેમજ ખનીજતત્ત્વો છે. તે વિટામીન સી, ઈ કે અને બી6 તો ધરાવે જ છે પણ તેની સાથે સાથે તેમાં રીબોફ્લેવિન, નિઆસિન, ફોલેટ પેન્ટોથેનિક એસિડ, મેગ્નેશિયમ, લ્યુટેઇન, પોટેશિયમ બેટા કેરોટીન તેમજ ઓમેગા -3 ફેટી એસિડ્સ પણ છે.
તેની ન્યુટ્રિશનલ વેલ્યુ જાણવી હોય તો તમને જણાવી દઈ કે 40 ગ્રામ એવોકાડો ખાવાથી તમને તેમાંથી –
– છ ગ્રામ ફેટ
– 64 ગ્રામ કેલરી
– 0.06 ગ્રામ શર્કરા
– 3 ગ્રામ ફાયબર
– 3.4 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ
એવોકાડોમાં સ્વસ્થ ચરબી સમાયેલી છે જે તમારી ત્વચાને ફેટ સોલ્યુબલ વિટામીન્સ, મિનરલ્સ તેમજ અન્ય પોષકતત્ત્વોને શરીરમાં શોષવામાં મદદ કરે છે.
કેન્સર સામે રક્ષણ આપે છે
સંશોધન જણાવે છે કે કોષોના વિભાજન વખતે તેના ડીએનએ અને આરએનએનમાં આવતી વિકૃતિ સામે ફોલેટ એટલે કે વિટામીન બી9 રક્ષણ આપે છે. અને અહેવાલ પ્રમાણે એવી પણ જાણકારી મળી છે કે ફોલેટ લેવાથી કેટલાક પ્રકારના કેન્સર જેવા કે કોલોન, સ્ટમક, સર્વિકલ અને પેનક્રીઓટીક કેન્સર્સથી રક્ષણ મળે છે.
એવોકાડોમાં ફોલેટનું પ્રમાણ ભરપૂર હોય છે અને કેટલાક સંશોધન પ્રમાણે, એવોકાડોમાં કેટલાક પ્રકારના ફાયટોકેમિકલ્સ પણ છે જે કેન્સર પહેલાના અને કેન્સર ગ્રસ્ત કોષોને શોધવામાં તેમજ રંગસૂત્રોના નુકસાન માટે જવાબદાર કેમોથેરાપી દવાઓ કે જેને સાક્લોફોફેમાઇડ કરે છે તેને પણ ઘટાડે છે.
ઓસ્ટિયોપોરોસિસને અટકાવે છે
વિટામીન કેના મહત્ત્વને હંમેશા લોકો દ્વારા અવગણવામાં આવે છે પણ તમને જણાવી દઈએ કે હાડકાને સ્વસ્થ રાખવા માટે વિટામીન કે મહત્ત્વનો ભાગ ભજવે છે કારણ કે તે જ વિટામીન કેલ્શિયમને શરીરમાં શોષવામાં મદદ કરે છે અને તે જ વિટામીન પેશાબ વાટે વહી જતાં કેલ્શિયમને અટકાવે છે.
અરધું એવોકાડો ખાવાથી દીવસની લગભગ 25 ટકા કે વિટામીનની જરૂરિયાત પૂરી થઈ જાય છે. જે તમને ઓસ્ટીઓપોરોસિસ જેવા હાડકાના ગંભીર રોગથી બચાવવામાં મદદ કરે છે.
શરીરમાંના ઝેરને દૂર કરે છે અને પાચનશક્તિ સુધારે છે
એવોકાડો તેના મલાઈ જેવા ટેક્સ્ચરના કારણે લોકોને ખૂબ પસંદ છે, પણ તમને જણાવી દઈ કે તેમાં ફાયબર એટલે કે રેશા પણ ભરપૂર હોય છે. અરધુ એવોકાડો ખાવાથી તમને તેમાંથી 6-7 ગ્રામ રેશા મળે છે.
એવોકાડોમાં મળતાં ડાયેટરી ફાયબર્સ તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વોને કાઢવામાં જ મદદ નથી કરતાં પણ તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને તેની બળતરાની સમસ્યાને પણ ઘટાડે છે.
સંશોધન જણાવે છે કે રેશાથી ભરપૂર ખોરાક તમને કેટલાક પ્રકારના ગંભીર રોગ જેમ કે હૃદયના રોગો, મેદસ્વીતા, હાપરટેન્શન, સ્ટ્રોક્સ, ડાયાબીટીસ તેમજ કેટલાક પેટમાં ગેસના કારણે ઉત્પન્ન થતાં રોગોથી પણ બચાવે છે.
આ સિવાય તમારા ડાયેટમાં ઉચ્ચ પ્રમાણમાં રેશા ધરાવતો ખોરાક ઉમેરવાથી તમારું કોલેસ્ટેરોલ તેમજ બ્લડ પ્રેશર પણ નીચુ આવે છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે અને તે ઇન્સ્યુલીન સંવેદનશિલતા પણ વધારે છે.
મગજને તેજ બનાવે છે
તાજેતરમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે દીવસમા એક એવોકાડો ખાવાથી તમારા શરીરનું લ્યૂટેઇન સ્તર 25 ટકા વધી જાય છે. લ્યૂટેઇન મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે લાભપ્રદ છે, તે મગજની એકાગ્રતાના સ્તરને વધારે છે તમારી યાદ શક્તિ તેજ બનાવે છે અને મગજની પ્રક્રિયાની ઝડપને પણ વધારે છે.
સંશોધન પ્રમાણે દિવસમાં એક એવોકાડો ખાવાથી 50 વર્ષથી ઉપરની વ્યક્તિમાં લ્યુટેઇનનુ સ્તર માત્ર છ મહિનામાં 25 ટકા સુધી વધી જાય છે. સંશોધન પ્રમાણે એવોકાડો ફાયબર્સ, મોનોસેચ્યુરેટેડ ફેટ્સ, લ્યુટેઇન અને અન્ય બાયોએક્ટિવ તત્ત્વોથી ભરપૂર હોવાથી તે માત્ર તમારી દ્રષ્ટિને જ નથી સુધારતું પણ તે તમારા મગજના સ્વાસ્થ્યને પણ સુધારે છે.
નિરાશાને દૂર કરવામાં મદદ કરે છે
આગળ જણાવ્યું તે પ્રમાણે એવોકાડોમાં ફોલેટ એટલે કે વિટામીન બી9નું પ્રમાણ વધારે હોય છે. તો તમને જણાવી દઈ કે આ બી9 વિટામીન ડીપ્રેશનના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. કારણ કે તે ડીપ્રેશન માટે જવાબદાર હોમોસીસ્ટેઇનનાં બંધારણને અટકાવે છે.
ટાઇપ ટુ ડાયાબીટીસમાં મદદ કરે છે
એવોકાડોમાં કાર્બનું પ્રમાણ ઓછું હોય છે અને ફાયબરનું પ્રમાણ વધારે હોય છે માટે તેની રક્ત શર્કરા પર ઓછી અસર થાય છે. દીવસમાં અરધું એવોકાડો ખાવાથી 5.9 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ અને 4.6 ગ્રામ ફાયબર મળે છે. એક સંશોધન પ્રમાણે ફાયબર સપ્લીમેન્ટ્સ શરીરને મળવાથી લોહીની શર્કરાનું સ્તર વધવાની પ્રક્રિયા ધીમી પડે છે જેનો લાભ ટાઇપ ટુ ડાયાબીટીસને થાય છે.
દ્રષ્ટિ સુધારે છે એવોકાડો
એવોકાડોમાં સમાયેલા લ્યૂટેઇન અને ઝિક્ઝેન્થિન આ મુખ્ય બે ફાયટોકેમિકલ્સ આંખના ટીશ્યૂમાં પણ હોય છે. આ ફાયટોકેમિકલ્સ અલ્ટ્રાવાયોલેટ લાઇટ્સથી થતાં નુકસાનથી આંખને રક્ષણ આપે છે.
ઉંમર વધવાના કારણે આંખના મેક્યુલર ડીજનરેશનના જોખમને ઘટાડે છે. કારણ કે તેમાં સમાયેલું મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ ફેટ સોલ્યુબલ એન્ટિઓક્સિડન્ટ્સને શરીરમાં શોષવામાં મદદ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ