દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી જ રહ્યું છે, છેલ્લા 9 મહિનામાં જેટલા કેસ નથી આવ્યા એટલા એટલા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સરકાર પણ અલગ અલગ નિર્ણય લઈ રહી છે અને આ કોરોનાને હંફાવવા માટે બનતા પ્રયત્ન કરી રહ્યા છે એ વચ્ચે હવે વધતા કોરોના વચ્ચે ફરી એક વખત અમદાવાનું તંત્ર એક્શનમાં આવ્યું છે. જ્યારે શહેરના બાગ-બગીચાઓને લઇને તંત્રએ મોટો નિર્ણય લીધો છે. ખાસ કરીને શિયાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે લોકો વહેલી સવારે અને સાંજે વોકિંગ કરવા જતા હોય છે.
હવે શહેરના બગીચા સવારે 7 થી 9 સુધી જ ખુલ્લા રહેશે તેમજ સાંજે 5 થી 7 દરમિયાન ખુલશે. જેની પાછળનું મુખ્ય કારણ બિન જરૂરી ભીડ એકઠી થઇ રહી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ફરી એક વખત વધી રહેલાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાત ઝોનમાં આવેલા નાના-મોટા મળી 250 જેટલા બગીચા સવાર અને સાંજે માત્ર બે-બે કલાક માટે ખુલ્લા રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહીતી પ્રમાણે,અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા શહેરના તમામ બગીચાઓમાં જવા માટેનો સમય ટૂંકાવી દેવામાં આવ્યો છે.
જો વિગતે વાત કરીએ તો શહેરના બગીચાઓમાં સવારે કરફ્યૂનો સમય પુરો થવાના એક કલાક બાદ સવારના સાતથી સાત કલાક સુધી અને સાંજે પાંચથી સાત દરમિયાન લોકો વિવિધ બગીચાઓમાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાતુ નથી. લોકો માસ્ક પણ પહેરતા નથી.
આ સંજોગોમાં સંક્રમણ ના વધે એ માટે તમામ બગીચા સવારે 7થી 9 અને સાંજે પાંચથી સાત દરમિયાન ખુલ્લા રાખવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ શહેરમાં કોરોના મહામારીમાં કોરોના પેશન્ટોની સારવાર કરતા એવા સોલા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ 16 તબીબો કોરોના સંક્રમિત થયા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં વધુ 84 જેટલા કોરોના પેશન્ટ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં દિવાળી ટાંણે જ કોરોના વાયરસે ઉથલો મારતા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં સ્થિતિ વધારે ગંભીર બની છે. એક સમયે કાબુમાં આવી ગયેલી સ્થિતિ હવે અત્યંત ગંભીર બની છે. જેને લઈને કેન્દ્ર સરકાર પણ સતર્ક બની છે. આગામી સમયમાં શિયાળામાં સ્થિતિ વધારે વકરવાની WHO દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
તો આ સ્થિતિમાં કોરોનાને ફેલાતો રોકવા શું ફરી એકવાર લોકડાઉન જાહેર કરવામાં આવશે કે કેમ? તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજ્યમાં ફરી લોકડાઉન થવાનું છે તેવા સમાચારો અને વાતો સોશીયલ મીડિયામાં હાલમાં ખુબ જ વાયરલ થઇ રહી છે. પરંતુ તેમા કોઇ સત્ય નથી. આવા મેસેજોનું સ્પષ્ટપણે ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણામાં નથી.