સફરજન પરનું વેક્સનું લેયર તમારા શરીરને કરી શકે છે ગંભીર નુકસાન ! જાણો તેને દૂર કેવી રીતે કરવું, રોજ એક સફરજનના ખાવાના ફાયદા જાણી તમે આજે જ તેનું સેવન ચાલુ કરી દેશો ! સ્વાસ્થ્ય માટે અતિ હાનીકારક તેવાં સફરજન પરના વેક્સના લેયરને આ રીતે દૂર કરો.
દીવસનું એક સફરજન ખાવાથી ડોક્ટર દૂર રહે છે આ ઇંગ્લીશ કેહવત ભલે તમે ઘણીવાર સાંભળી હશે. પણ તેના સાતત્યમાં કોઈ જ કમી નથી આવી આજે પણ આ કહેવત તેટલી જ સાચી છે જેટલી પહેલાં હતી. આમ તો બધા જ ફળો તેમનું પોતાનું એક આગવું મહત્ત્વ ધરાવે છે. પણ સફરજનની વાત કરીએ તો સફરજન આપણને ઘણી બધી રીતે સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થાય છે.
પણ આજકાલ દરેક ફળ તેમજ શાકભાજી માનવ સ્વાસ્થ્યને ઘણી નુકસાનકારક રીતે ઉત્પાદિત કરવામા આવે છે. વધારેમાં વધારે ઉત્પાદન મેળવવા માટે જાત જાતના કેમિકલયુક્ત પેસ્ટીસાઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેટલું જ પુરતું ન હોય તેમ ફળોને અને ખાસ કરીને સફરજનને આકર્ષક બનાવવા માટે તેના પર વેક્સ એટલે કે મિણનું પોલિશ કરવામા આવે છે. જેથી તે આકર્ષક અને ચમકદાર લાગે છે.
આ મિણનું પડ એટલી ચાલાકીથી લગાવવામા આવે છે કે કોઈ કહી જ ન શકે કે તેના પર કંઈક લગાવવામાં આવ્યું છે. પણ આપણને આકર્ષિત કરતું આ વેક્સનું લેયર આપણા શરીરને ભારે નુકસાન કરે છે. આમ પણ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે કોઈ પણ ફળ કે પછી શાકભાજીનો ઉપોયગ તેને ધોઈને જ કરવો જોઈએ. પણ આશ્ચર્યની વાત એ છે કે સફરજન પરના મીણના આ નુકસાનકારક લેયરને માત્ર એકવાર ધોવાથી દૂર નથી કરી શકાતું.
જો તમે પણ બધા જ શાક-ભાજી તેમજ ફળોને ધોઈને ખાતા હોવ તો તમારે પણ ચેતવાની જરૂર છે. આપણે આપણા બાળકો પાસે સફરજ ખાવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ ને તેને જ્યુસ રૂપે કે પછી ક્યારેક સલાડની રીતે, તો ક્યારેક જેલી તેમજ જેમ બનાવીને ખવડાવતા હોઈએ છીએ કે જેથી કરીને બાળકોને તે ભાવે અને બાળકના શરીરમાં કોઈને કોઈ રીતે પોષકતત્ત્વ ઉમેરાય.
સામાન્ય રીતે આપણે કેમિકલ તેમજ વધારાની ગંદકી જેમ કે ધૂળ વિગેરે કાઢવા માટે ફળોને એકવાર સરસ રીતે ધોઈને તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ સફરજન પર ચડાવવામાં આ મીણના લેયરને તમે એકવારમાં નથી દૂર કરી શકતા. આ એક પ્રકારનુ સિંથેટિક લેયર હોય છે જેને દુર કરવુ સરળ નથી.
શા માટે સફરજન પર વેક્સનું લેયર લગાવવામાં આવે છે
જો તમને એવું લાગતું હોય કે તમે આજે જે સફરજન તમે ખાઈ રહ્યા છો અથવા તમારુ બાળક ખાઈ રહ્યું છે તે તાજુ જ છે એટલે કે બે, ત્રણ અને બહુ બહુ તો અઠવાડિયા જુનું છે તો તે તમારો ભ્રમ છે. આપણા સુધી આજે જે સફરજન પહોંચે છે તે ઓછામાં ઓછા છ મહિના વર્ષ જુના હોય છે. જેને આવા વેક્સ લેયરમાં કોટ કરીને કોલ્ડ સ્ટોરેજમાં છ મહિનાથી લઈને વર્ષ દોઢ વર્ષ સુધી સ્ટોર કરવામા આવે છે અને આ લેયરના કારણે સફરજન તાજા પણ રહે છે.
એવું નથી કે આ લેયર ગેરકાયદેસર છે પણ કેટલાક ફુડ ગ્રેડ વેક્સને FSSAI એ માન્ય રાખેલા છે અને તેને શરીર માટે નુકસાનકારકન નથી માનવામા આવતા. પણ તેના ચોક્કસ પ્રમાણને જાળવી રાખવું પડે છે જો તેમાં વધારો કરવામા આવે તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કેવી રીતે આ સફરજન પર લાગેલા આ મીણના પડને દૂર કરી શકાય
સામાન્ય રીતે તો આપણે બહારથી શાકભાજી તેમજ ફ્રુટ લાવીએ ત્યારે તેને ધોઈને લુછીને જ ફ્રીઝમાં મુકતા હોઈ છીએ પણ ઉપર જણાવ્યું તેમ સફરજન પરથી વેક્સનું લેયર એક ધોવાણમાં ધોવાતુ નથી માટે તમારે જ્યારે ક્યારેય પણ સફરજન ખાવું હોય ત્યારે તમારે નીચે જણાવેલી રીતે મીણના લેયરને દૂર કરવું. કારણ કે આ મીણનું લેયર તમારા સફરજનને તાજા રાખે છે માટે જેમ જેમ વાપરો તેમ તેમ તેને સાફ કરતા જવું યોગ્ય રહે છે.
– સૌ પ્રથમ રીત તો એ છે કે તમારે સફરજનને ગરમ પાણીમાં એક મીનીટ સુધી પલાળી રાખવુ. અને ત્યાર બાદ તમારી પાસે જે ખરબચડું સ્વચ્છ કપડું હોય તેનાથી ઘસીને સફરજનને સાફ કરી લેવું. ગરમ પાણીથી વેક્સ પીગળી જાય છે.
– બીજી રીત પ્રમાણે તમારે પાણીમાં લીંબુ ઉમેરીને તે પાણીથી સફરજનને બરાબર ઘસીને તેના પરનું મીણનું પડ સાફ કરી લેવું.
– આ ઉપરાંત તમે ગરમ પાણીમાં એપલ વિનેગર નાખીને પણ વેક્સનું લેયર દૂર કરી શકો છો.
સફરજન ઉપર ચડાવવામાં આવતા લેયરને કેવી રીતે દૂર કરવું તે તો તમે જાણી લીધું તો હવે એ જાણો કે રોજ એક સફરજન ખાવાથી તમારા શરીરને શું ફાયદા થાય છે.
વિશ્વ ભરમાં જો કોઈ ફળ સૌથી વધારે ખવાતું હોય તો તેમાં સફરજનની ગણતરી સૌથી પહેલી કરવામાં આવે છે. તેમાં રહેલા ભરપુર ગુણના કારણે તેને મેજીક ફ્રુટ પણ કહેવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં એંટી-ઓક્સીડન્ટ તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારતા ગુણો છે.
રોજ એક સફરજન ખાવાથી કેંસર, હાઇપરટેન્શન, હૃદય સાથે જોડાયેલી તકલીફો, મધુમેહ વિગેરે ગંભીર બિમારીઓનું જોખમ ઘટી જાય છે. સફરજનમાં પેક્ટિન જેવા લાભપ્રદ ફાઈબર્સ હોય છે. તો ચાલો જાણીએ સફરજન ખાવાના વિવિધ લાભો વિષે.
રોજનું એક સફરજન તમારા દાતને સ્વસ્થ રાખે છે
સફરજનમાં રહેલા જે સ્વસ્થ રેશાઓ છે તે તમારા દાતને સ્વસ્થ રાખે છે. રોજ સવારે એક સફરજન ખાવાથી બેક્ટેરિયા તેમજ વાયરસ દૂર રહે છે. સફરજનનું સેવન કરવાથી તમારા મોઢામાં થુકનુ પ્રમાણ વધી જાય છે અને દાંતમાં પાયેરિયા નથી થતો.
રોજનું એક સફરજન હાડકાને મજબુત બનાવે છે
સફરજનમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. માટે રોજ તેને કાપીને ખાવાથી કે પછી તેનો જ્યુસ કાઢીને પીવાથી તમારા હાડકા મજબુત બને છે. અને તમારા હાડકા મજબુત હોય તો તમને થાક પણ ઓછો લાગે છે. અને તમે આખો દિવસ સ્ફુર્તિમાં પસાર કરો છો.
રોજનું એક સફરજન તમને કબજીયાતથી દૂર રાખે છે
જો તમને સતત ગેસ તેમજ કબજીયાતની ફરિયાદ રહેતી હોય તો તમારે દિવસમાં એક સફજન નિયમિત લેવું જોઈએ. સફરજનમા રહેલા રેશા તમારી પાચન ક્રિયાને ઝડપી બનાવે છે અને ધીમે ધીમે તમારી કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. અને આપણે બધા જાણીએ છીએ કે કબજિયાત તેની સાથે બીજી અનેક બિમારીઓ લઈને આવે છે.
રોજનું એક સફરજન તમને મેદસ્વિતાથી દૂર રાખે છે
ભારે શરીરના વ્યક્તિને ઘણી બધી તકલીફો થઈ શકે છે જેમાં ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગની બિમારી. વધારે જલદી થાક લાગવો વિગેરેનો સમાવેશ થાય છે. પણ જો રોજ દિવસમાં એકવાર સફરજનનું સેવન કરવામા આવે તો તેમાં રહેલા રેશા મેદસ્વીતાને ઘટાડવામાં મદદ કરે છે અને તેમ થવાથી તમે અન્ય જોખમી રોગોથી પણ પોતાની જાતને દૂર રાખી શકો છો.
રોજનું એક સફરજન તમારા પાચનતંત્રને મજબુત બનાવે છે
શરીરને થતાં મોટા ભાગના રોગો તેના પેટને કારણે જ થતાં હોય છે. અને પેટના રોગો મોટે ભાગે તેના અનિયમિત પાચનતંત્રના કારણે થતા હોય છે. પણ સફરજનમાં અલ્કાલિનિટી નામનું એક તત્ત્વ સમાયેલું હોય છે લીવર માટે ઉત્તમ છે.
આ ઉપરાંત સફરજન શરીરમાંના પીએચ લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. અને તેના કારણે શરીરનું પાચનતંત્ર મજબુત થાય છે અને પાચનતંત્ર મજબુત થવાથી ઘણા બધા રોગો ટળી શકે છે.
રોજનું એક સફજન ડાયાબીટીસને અંકુશમાં રાખે છે
નિયમિત સફરજનનું સેવન કરવાથી ટાઈપ-2 ડાયાબીટીસનું જોખમ ઘટી જાય છે. તેમાં હાજર તત્વો શરીરમાં ગ્લુકોઝની જે ખોટ પડે છે તેને દૂર કરે છે. શરીરમાં પુરતા પ્રમાણમાં ગ્લુકોઝ હોવાથી ઇન્સુલિન લેવાની પણ જરૂર નથી પડતી.
રોજનું એક સફરજન ખાવાથી પથરીમાં રાહત મળે છે
રોજ નિયમિત માત્ર એક સફરજ ખાવાથી કીડનીમાં થનારી પથરી દૂર થઈ જાય છે અને નિયમિત સેવન જો ચાલુ રહે તો ભવિષ્યમાં પણ તકલીફ નથી થતી. આ ઉપરાંત પથરીના કારણે જે પીડા થાય છે તે પણ દૂર થાય છે.
રોજનું એક સફરજન વૃદ્ધત્વમાં અલ્ઝાઈમરથી બચાવે છે
અલ્ઝાઈમર મગજ સાથે જોડાયેલી એક અત્યંત ગંભીર બિમારી છે. જે મોટે ભાગે માણસને તેના વૃદ્ધત્વમાં જ થતી હોય છે. અને દિવસેને દિવસે અલ્ઝાઈમરના કેસ વધી રહ્યા છે. જો નિયમિત પણે સફરજનનો જ્યુસ પિવામાં આવે તો તમે આજીવન અલ્ઝાઈમરથી દૂર રહી શકો છો. સફરજનનો રસ તમારા મગજની કોષિકાઓને સુરક્ષિત રાખે છે.
રોજનું એક સફરજન સુંદરતામાં વધારો કરે છે
સફરજન માત્ર શરીરને આંતરિક રીતે જ સ્વસ્થ નથી બનાવતું પણ નિયમિત સફરજનનુ સેવન શરીરને બાહ્ય રીતે પણ સુદંર બનાવે છે. જો તમને હંમેશા ચહેરા પર સફેદ તેમજ કાળા ધબ્બા થઈ જવાની સમસ્યા રહેતી હોય તો નિયમિત એટલે કે રોજ સફરજનનો જ્યુસ કે પછી તેને કાપીને ખાવાથી તમારા ચહેરા પર એક ચમક આવે છે. અને ઉપર જણાવ્યું તેમ શરીરમાંની ચરબી ઓછી થાય છે અને તમારું શરીર આકર્ષક બને છે.
રોજનું એક સફરજન તમને કોફીથી દૂર રાખ છે
એક સંશોદન પ્રમાણે જો તમે રોજ સવારે ચા કે કોફીની જગ્યાએ એક સફરજન ખાશો તો તે કોફી કે ચાની જેમ જ તમારી ઉંઘ તેમજ સુસ્તી ઉડાડવામાં મદદ કરશે. અને કોફી ચાથી જે નુકસાન થાય છે તે પણ તમને નહીં થાય. ઉપર જણાવેલા બધા જ ફાયદા તમારા સવારના આ એક નિયમને બદલી નાખવાથી થાય છે.
તો આજથી જ નિયમિત પણે રોજ સવારે એક સફરજન ખાવાનું શરૂ કરી દો. અને માત્ર તમે જ નહીં પણ તમારા માતા-પિતા, સાસુ-સસરા, પતિ-બાળકો બધા પાસે રોજનું એક સફરજન ખાવાનો આગ્રહ રાખો અને સમગ્ર પરિવારને સ્વસ્થ રાખો અને ડોક્ટરથી પણ દૂર રાખો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ