ઉઠતાની સાથે મોબાઈલ જોવાની ટેવ ખતરનાક સાબિત થઈ શકે છે.
મોબાઈલ નામનું એક નાનકડું ઇન્સ્ટ્રુમેન્ટ આપણા જીવન સાથે એટલું બધુ વણાઈ ગયું છે કે આપણે જેટલી ફિકર આપણા શ્વાસની અને હૃદયની કરીએ છીએ કદાચ- કદાચ એનાથી પણ વધારે ફિકર આપણા મોબાઇલની કરીએ છીએ અને એ હકીકતથી કમનસીબે આપણે પાછા વાકેફ પણ નથી.
દિનપ્રતિદિન વિકસતી જતી ટેકનોલોજીના યુગમાં માણસ એટલો બધો ટેક્નોસેવી થઈ ગયો છે કે તે સતત મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયા સાથે સંકળાયેલો રહે છે ,અને એટલે જ સવારે આંખ ખુલતાની સાથે જ તેને સૌથી પહેલો તેનો મોબાઈલ યાદ આવે છે.
ખાસ નોંધવું પડે કે પહેલાના સમયમાં લોકોની સવાર પ્રાર્થનાથી પડતી અને એટલે જ માણસ ખુશનુમા રહેતો ,હકારાત્મક અભિગમ સાથે સ્વસ્થ જીવન જીવતો .પણ અત્યારના લોકો ની સવાર મોબાઈલ સાથે પડે છે સોશિયલ મીડિયા સાથે પડે છે.
મોટાભાગના લોકો સવારે ઊઠતાની સાથે જ પહેલું કામ મોબાઈલમાં ઈન્ટરનેટ ચાલુ કરી અને whatsapp મેસેજ ,ઇમેઇલ, instagram ,ફેસબુક ટ્વીટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ જોવાનું કરે છે. અને એટલેજ સવારના પહોરથી જ માણસ પોતાને માટે સ્ટ્રેસ ઉભો કરે છે.
આઇ ડી સી એ કરેલા અભ્યાસ મુજબ ૮૦ ટકા લોકો સવારમાં ચા ની સાથે ન્યૂઝ પેપર ને બદલે સ્માર્ટફોન સ્ક્રોલ કરતા જોવા મળે છે. એટલું જ નહીં આ પાંચમાંથી ચાર લોકો સંપૂર્ણ જાગૃત થયાની 15 મિનિટ પહેલા જ પોતાના ફોન ચેક કરતા હોય છે.
આરોગ્ય માટે આ ટેવ હાનિકારક સાબિત થાય છે. સવારમાં ઉઠતાની સાથે મોબાઈલ ચેક કરવાની આદત સીધી મગજ પર અસર કરે છે.તેને કારણે કેવા કેવા પરિણામોનો સામનો કરવો પડે છે તેની યાદી પણ લાંબી છે.
મનની શાંતિ હણાય છે.
સવારના ઉંઘમાંથી જાગૃત થયેલું મન વાસ્તવમાં ખૂબ જ શાંત હોય છે. પુરી રાત ના આરામ પછી મનને ધીરે ધીરે રોજિંદી ક્રિયાઓ પરત્વે વાળવાનું હોય છે,પણ સવારના પહોરમાં જ ફોનમાં વાંચવામાં આવતા મેસેજ ઉપરાંત ઘણી બધી વાતો એવી હોય છે જે મનની શાંતિ માટે જોખમી હોય છે.
એટલું જ નહીં તેમાં જોયેલી અણગમતી વાતો મનમાં તણાવ ઉત્પન્ન કરે છે. જેને કારણે સવારની શરૂઆત જ માનસિક થાક અને તણાવથી થાય છે. જે લાંબા ગાળે આરોગ્ય માટે પણ જોખમી છે. વધુ પડતો તણાવ ,ડિપ્રેશન, બ્લડપ્રેશર જેવી બીમારીનું પણ કારણ બને છે.
ચીડીયાપણુ અને અનિયમિત આહારની ટેવ
સવારના પહોરમાં ઉઠીને મોબાઈલ જોવાની ટેવ ક્યાંક અસલામતીની ભાવના પણ ઉત્પન્ન કરે છે. માણસને માણસથી વિખુટા પડી જવાનો ડર ઉભો થાય છે. ખોવાઈ જવાનો ડર ઉભો થાય છે.ઉપરાંત ચીડિયાપણું સ્વભાવમાં આવે છે, ગુસ્સો ઉત્પન થાય છે.
માનસિક અસ્વસ્થતાની અસર આહાર ઉપર પણ પડે છે. વ્યક્તિની ખોરાક માટેની રૂચી ઓછી થઈ જાય છે. અથવા ડિપ્રેશનમાં વ્યક્તિ વધુ પડતો ખોરાક ખાવા માંડે છે .જેને કારણે કુપોષણની અને મેદસ્વિતાની સમસ્યા પણ ઊભી થાય છે.
એકાગ્રતા અને પ્રાથમિકતા બંને પર નકારાત્મક અસર.
ફોનમાં આવતી અણગમતી વાતોને કારણે તણાવ ઉત્પન્ન થવાથી રોજિંદા કામ પર પણ તેની અસર પડે છે. કરવાના કામને બસલે ધ્યાન બીજી દિશામાં ફંટાય છે, જેને કારણે વ્યક્તિ તેના મુખ્ય ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી.
વ્યક્તિની સર્જનાત્મકતા પર પણ તેની અસર પડે છે. એટલું જ નહીં સતત ફોન જોવાની ટેવ તેના સમયનો બગાડ કરે છે અને કામની પ્રાથમિકતા પર પણ તેની અસર પડે છે. કામ કરવામાં વિલંબ થાય છે એટલું જ નહીં જવાબદારીવાળા કામ અપૂર્ણ પણ રહી જાય છે.
જેને કારણે વ્યક્તિને ઘરમાં બહાર ઓફિસમાં સમાજમાં માનહાનિનો સામનો પણ કરવાના સંજોગ ઉભા થાય છે.
વોટ્સએપ તેમજ અન્ય વેબસાઇટ્સ પર તદ્દન બિનજરૂરી વાતોમાં જવાબ આપી અને માણસ સમયનો વેડફાટ કરે છે.
સવારમાં ફોન જોવાની ટેવ દ્રઢ મનોબળ દ્વારા દૂર કરી તણાવથી બચી શકાય છે.
સવારમાં મોબાઈલ જોવાને બદલે એક ગ્લાસ ગરમ પાણી શાંતિથી બેસીને પીવું જોઈએ.સવારમાં નરણે કોઠે પીધેલું ગરમ પાણી સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
સવારના માણસે થોડો સમય પોતાની જાત માટે પોતાના આરોગ્ય માટે પણ આપવો જોઈએ.યોગ અને ધ્યાન દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. તણાવથી બચી શકાય છે.એકાગ્રતા વધે છે અને કામ કરવાની શક્તિ પણ વધે છે.
જે વ્યક્તિના વિકાસ માટે મહત્વનું પરિબળ બને છે.
સવારનો સમય પોતાની જાત સાથે અને પરિવારના સભ્યો સાથે પ્રેમપૂર્વક વિતાવવા માટે થોડો સમય કાઢવો પણ જરૂરી છે.
સુતા પહેલા ફોન સાઇલેન્ટ કરી પોતાનાથી દૂર રાખવો જોઈએ અને ફોન જોવાનો પણ એક નિશ્ચિત સમય નક્કી કરી તેને વળગી રહેવું જોઈએ.
આજનો વ્યક્તિ ફોન દ્વારા સતત સોશિયલ મીડિયામાં પ્રવૃત્ત રહે છે પરંતુ તેને ખબર પણ ન પડે તે રીતે એક આભાસી દુનિયામાં સરી પડે છે અને પોતાની આસપાસના પોતાના પરિવારજનોથી ધીમે-ધીમે દૂર થતો જાય છે.
માણસે પોતાના માનસિક ,શારીરિક ,પારિવારિક અને સામાજિક સ્વાસ્થ્યની જાળવણી માટે પણ ફોનના ઉપયોગ પરત્વે સાવધાની જાળવવી જોઈએ.
સ્માર્ટ ફોનના વપરાશ બાબતે સ્વયં શિસ્ત જેવું કોઈ હથિયાર નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ