આલ્ફાલ્ફા (ગદબ) – એક એવી ઔષધી કે જેનાથી તમે ખરેખર વજન ઘટાડી શકશો…

નામમાં શું બળ્યું છે? એવું મહાપુરુષોએ પૂછ્યું છે અને લોકો પણ વારંવાર કહેતા હોય છે કે, નામનું કશું જ મહત્ત્વ નથી. પણ આ વાત ‘આલ્ફાલ્ફા’ કિસ્સામાં સાચી નથી, કારણ કે ‘આલ્ફાલ્ફા’માં તેનાં નામ પ્રમાણેના ગુણ છે. અરેબિકમાં આલ્ફાલ્ફાનો અર્થ થાય છે: ‘સઘળા ખાદ્ય પદાર્થોનો પિતામહ: હા! આલ્ફાલ્ફા એક અરેબિક શબ્દ છે. તેનું અસલ નામ છે અલ-ફલ-ફા (તમામ ખોરાકનો બાપ!) કાળક્રમે આ શબ્દ અપભ્રંશ થઈને અંગ્રેજીમાં આલ્ફાલ્ફા બની ગયો.

આલ્ફાલ્ફા એક અદ્ભુત વનસ્પતિ છે. ચમત્કારિક, પૌષ્ટિક અને મૂલ્યવાન વનસ્પતિ. અગાઉ આપણે અનુભવ્યું છે તેમ આપણને આપણા વૈદક પર ઝાઝો ભરોસો નથી. એટલે જ પશ્ર્ચિમના વૈજ્ઞાનિકો જ્યારે આપણા દેશી વૈદક પર મહોર મારે છે ત્યારે જ આપણે તેને વધાવીએ છીએ. હળદરથી લઈ આમળાં અને હાથલા થોરથી શરૂ કરીને ઘઉંના જવારા સુધીનાં ઉદાહરણો આપણી નજર સમક્ષ છે. આજે આવી બધી વસ્તુનું આપણે મૂલ્ય કરીએ છીએ, કારણ કે પશ્ર્ચિમે તેના ગુણોનું સમર્થન કર્યું છે.

આજે તમે ઈન્ટરનેટ ‘આલ્ફાલ્ફા બેનિફિટ્સ’ એટલું ટાઈપ કરીને ગૂગલમાં સર્ચ આપો તો ઈન્ટરનેટ તમારી સમક્ષ હજારો પેજ ખોલી આપે છે. આખી દુનિયા આજે સ્વીકારતી થઈ છે કે આલ્ફાલ્ફા એક એવી વનસ્પતિ છે જેમાં અગણિત પોષકદ્રવ્યો છે. એટલે જ માનવજાત છેલ્લાં લગભગ ૧૬૦૦ વર્ષોથી એક સુપરફૂડ તરીકે તેનો ઉપયોગ કરતી રહી છે. સદીઓ અગાઉ આરબોએ આ વનસ્પતિના ચમત્કારિક ગુણોને પારખ્યા હતા. તેમણે અનુભવ્યું કે, આ વનસ્પતિ ખાઈને અરબી આવો ખડતલ રહે છે, સ્વસ્થ રહે છે અને જાણે હવાથી વાતો કરતા હોય તેમ ભાગી શકે છે. પછી અરબસ્તાનમાં તેના અનેક પ્રયોગો થયા. માનવજાતની વિવિધ બીમારી પર તેનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તે અંગે વિસ્તૃત અભ્યાસ કરાયો, પશ્ર્ચિમના વૈજ્ઞાનિકોએ પણ અનેક પ્રયોગો હાથ ધર્યા અને છેવટે આલ્ફાલ્ફાના અનેકાનેક ઉપયોગ સામે આવ્યા. આલ્ફાલ્ફાનો ઉપયોગ એક રોગપ્રતિકારક તરીકે અને સ્વાસ્થ્યવર્ધક સુપરફૂડ તરીકે તો થઈ જ શકે છે, સાથેસાથે અલગઅલગ બીમારીઓ પર એ અત્યંત અસરકારક પરિણામ આપે છે. આલ્ફાલ્ફાના આવા જ કેટલાક ગુણો વિશે આપણે વાત કરીએ.

DIGITAL IMAGE

* ગ્રીક અને ચાઈનીઝ વૈદકમાં આલ્ફાલ્ફાનો ઉપયોગ આર્થાઈટિસ અથવા ‘વા’ અને ‘ગાંઠિયા વા’નો ઈલાજ કરવા માટે થતો આવ્યો છે. વા માટે આલ્ફાલ્ફાથી વિશેષ કોઈ દેશી દવા નથી. વા અને ગાંઠિયા વા એક અત્યંત જટિલ બીમારી છે. એલોપથી પાસે તેનો કાયમી, અસરકારક ઈલાજ નથી. આયુર્વેદની મોટા ભાગની દવાઓ તેમાં કામચલાઉ રાહત આપે છે. બે-ચાર-છ મહિના સુધી આલ્ફાલ્ફાનું નિયમિત સેવન કરવાથી આ બીમારીથી કાયમી છુટકારો મેળવી શકાય છે. આલ્ફાલ્ફામાં અદ્ભુત પ્રકારનાં દર્દશામક તત્ત્વો છે. જે વાના દુ:ખાવા સામે કાયમી રાહત આપે છે. વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી દ્વારા થયેલા સંશોધનમાં પુરવાર થયું છે કે, વા માટે અને ગાંઠિયા વા માટે આલ્ફાલ્ફા કરતાં વધુ અસરકારક દેશી ઔષધ બીજું એકપણ નથી. આર્થાઈટિસ અથવા તો વાના અનેક પ્રકારો છે, આ તમામ પ્રકારોમાં આલ્ફાલ્ફા જબરદસ્ત પરિણામ આપે છે. સંધિવાતનો તે કાયમી અને શ્રેષ્ઠ ઈલાજ છે.

* આલ્ ફાલ્ફામાં બેડ કોલે સ્ટરોલ દૂર કરવાનો અનોખો ગુણ છે. ખરાબ કોલેસ્ટરોલ દૂર કરવાની સાથે સાથે એ ગુડ કોલેસ્ટરોલને જાળવી રાખવાનું કાર્ય પણ કરે છે. હૃદયની નળીઓમાં બ્લૉકેજ એ થવા જ દેતું નથી અને કોઈને બ્લૉકેજ હોય તો એ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. હૃદયના રક્તપ્રવાહને નિયમિત કરવામાં પણ એ સહાય કરે છે.

* સ્ટેનફર્ડ યુનિવર્સિટીએ હાથ ધરેલા સંશોધનમાં પુરવાર થયું છે કે આલ્ફાલ્ફાની મદદથી પેટનું અલ્સર મટાડી શકાય છે. બહુ વિરલ કહી શકાય તેવું વિટામિન યુ તેમાં મોજૂદ છે. તેનાં પ્રતાપે અલ્સર, કોલાઈટિસ અને ગેસ્ટ્રાઈટિસ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધનોમાં જાણવા મળ્યું હતું કે વિટામિન યુની મદદથી પેપ્ટિક અલ્સરના એંશી ટકા કેસમાં દર્દીઓની સફળ સારવાર કરી શકાઈ હતી.

* રોજબરોજના જીવનમાં આપણો આહાર એકદમ સમતોલ હોતો નથી. શાકાહારી વ્યક્તિએ શરીરને તમામ પ્રકારનું પોષણ આપવા માટે પોતાની થાળીમાં રોટલી, લીલું શાક, સલાડ, દાળ, કઠોળ અને દહીં-દૂધ જેવી અનેક વસ્તુઓ આવરી લેવી પડે છે. રોજ કમસેકમ એકાદ-બે ફળો લેવાના રહે છે. ડ્રાયફ્રૂટ્સ લેવા પડે છે. સામાન્યત: આવું શક્ય બનતું નથી. એટલે જ આપણું શરીર અનેક જરૂરી વિટામિન્સ, ખનિજ અને એમિનો એસિડ્સ વગેરેથી વંચિત રહી જાય છે. આલ્ફાલ્ફામાં આવા પોષક તત્ત્વો ચિક્કાર પ્રમાણમાં છે. તેમાં બહુ મોટી માત્રાના વિટામિન એ, બી, સી, ઈ અને વિટામિન કે મોજૂદ છે. તેમાં કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવાં ખનિજો પણ મળી રહે છે. પાચન માટેના રેસા તત્ત્વો (ફાઈબર) પણ તેમાં છે અને લોહી બનવા માટે જરૂરી એવું ક્લૉરોફિલ (હરિન દ્રવ્ય) પણ પુષ્કળ પ્રમાણમાં છે. આમ, આપણી થાળીમાં જે ઊણપ રહી જતી હોય છે-એ કમી આલ્ફાલ્ફાના સેવન દ્વારા ભરપાઈ થઈ શકે છે.

આલ્ફાલ્ફાના નિયમિત સેવનથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન-એ મળી રહે છે. જે આંખોની દૃષ્ટિ માટે ઉપયોગી છે. કોઈ પણ પ્રકારની ઈન્ફેેકશન સામે લડવા માટે એ અતિ ઉપયોગી છે. તેમાં રહેલું વિટામિન ઈ આપણી ત્વચાને સૂર્યતાપના રેડિયેશનથી રક્ષણ આપે છે. હવાના પ્રદૂષણ સામે મુકાબલો કરીને એ ત્વચાને નવજીવન બક્ષે છે. શરીરના મસલ્સને એ સ્વસ્થ રાખે છે. હૃદયને રક્ષણ આપે છે. હૃદયની નળીઓનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે.

* તેમાં રહેલું વિટામિન-યુ એક વિરલ અને મુશ્કેલીથી પ્રાપ્ત થતું તત્ત્વ છે. પેપ્ટિક અલ્સર સામે તે ખરું રક્ષણ આપે છે. આલ્ફાલ્ફામાં મોજૂદ વિટામિન બી-૬ ત્વચાને સારી રાખે છે, પ્રોટિન અને ફેટના મેટાબોલિઝમને દુરસ્ત રાખે છે. લિવરના ફંકશન માટે ઉપયોગી વિટામિન-કે પણ તેમાં છે. આ વિટામિન દીર્ઘાયુ માટે અને જનરલ હેલ્થ માટે બહુ ઉપયોગી છે. આલ્ફાલ્ફામાં એ ગુણ છે કે, ઈજા પછી રૂઝ લાવવામાં એ લોહી જામવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. તેમાં રહેલું વિટામિન ડી હાડકાની મજબૂતીમાં અને પેઢાને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

* આલ્ફાલ્ફામાં પ્રોટીનનું પ્રમાણ લગભગ ૧૯ ટકા છે. માંસમાં તે ૧૬.પ ટકા હોય છે, દૂધમાં ૩.૩ ટકા ઇંડામાં ૧૩ ટકા આસપાસ. આમ પ્રોટીનની બાબતમાં તે નોન-વેજ ખોરાક કરતાં પણ આગળ છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે, આયર્ન પણ છે જેનાથી હાડકાંની સ્વસ્થતા વધે છે, હેમોગ્લોબિન વધુ બને છે અને લોહીને ઑક્સિજન પણ પૂરતો મળી રહે છે. આલ્ફાલ્ફામાં રહેલું મેંગોનિઝ લોહીમાંથી ખાંડનું પ્રમાણ ઘટાડે છે. ડાયાબિટીસ માટે લેવાતી દવાઓને તે આપમેળે વધુ અસરકારક બનાવે છે.

* મેંગેનિઝ ઉપરાંત પણ આલ્ફાલ્ફામાં પ્રચુર માત્રામાં પોષક દ્રવ્યો મોજૂદ છે. પોટેશિયમ, ફોસ્ફરસ, ક્લોરિન, સોડિયમ અને સિલિકોન મેગ્નેશિયમ જેવાં તેનાં દ્રવ્યો શરીરને અનેક પ્રકારે મદદ કરે છે. આલ્ફાલ્ફાની વિશિષ્ટતા એ છે કે તેનાં મૂળિયા જમીનથી છેક દસ-વીસ ફૂટ સુધી પહોંચે છે અને ત્યાંથી એ એવાં ખનિજો તાણી લાવે છે જે સામાન્ય રીતે જમીનની સપાટી પર મળતાં નથી. તેથી જ મિનરલ્સ (ખનિજ)ની બાબતમાં તેનાં જેવું સમૃદ્ધ સુપરફૂડ ભાગ્યે જ બીજું હોઈ હતો.

* આલ્ફાલ્ફાનો એક અદ્ભુત ગુણ છે: ચરબી ઘટાડવાનો. તેમાં એવાં તત્ત્વો ઠાંસી-ઠાંસીને ભર્યાં છે જે ચરબી ઓગાળવામાં મદદ કરે છે. જો તમે ડાયેટિંગ કરતા હો તો આલ્ફાલ્ફા એ ડાયેટિંગની અસર ચાર ગણી વધારી દે છે. તેનામાં એવા ભરપૂર પોષક દ્રવ્યો છે જેનાથી પેટમાં વધુ પડતી ભૂખ નથી લાગતી. ડાયેટિંગમાં ખોરાક ઓછો લેવાથી ઘણી વખત નબળાઈ આવી જતી હોય છે, સુસ્તી જેવું લાગવા માંડે છે. જો ડાયેટિંગમાં સાથે સાથે આલ્ફાલ્ફા પણ લેવામાં આવે તો આવી ફરિયાદ રહેતી નથી.

* પશ્ર્ચિમમાં થયેલાં પરીક્ષણો પરથી સાબિત થયું છે કે, કિડની, મૂત્રાશય, પ્રોસ્ટેટના દરદમાં આલ્ફાલ્ફા અક્સીર નીવડે છે. કિડનીમાં એ પથરી થવા દેતું નથી અને પથરી થઈ હોય તો તેને ઓગાળવાની ક્ષમતા પણ આલ્ફાલ્ફામાં છે. વધતી ઉંમર સાથે યુરિનનો પ્રવાહ ઘટી ગયો હોય તો તેને પણ નિયમિત કરવાની શક્તિ આલ્ફાલ્ફામાં છે.

* એલર્જીથી પીડાતા કે અસ્થમાથી પીડાતા દર્દીઓ માટે આલ્ફાલ્ફા આશીર્વાદરૂપ સાબિત થાય છે. આવી સ્થિતિમાં એ દર્દીને ખાસ્સી રાહત પહોંચાડે છે. આલ્ફાલ્ફામાં રહેલું ક્લોરોફિલ આવી સ્થિતિમાં સાયનસને અને ફેફસાંને રક્ષણ આપે છે. અને રિકવરીનો સમય બહુ ઘટાડી નાખે છે.

* શરીરમાંથી બેડ કોલેસ્ટોરલને નાથવા ઉપરાંત પણ આલ્ફાલ્ફા હૃદયને અનેક પ્રકારે સ્વસ્થ રાખે છે. હૃદયની આર્ટરીમાં એ પ્લાક જમા થવા દેતું નથી. આલ્ફાલ્ફામાં એવા વિશિષ્ટ ગુણો છે જેને લીધે હૃદય પોતાનું કાર્ય સરળતાથી કરતું રહે છે.

* આરબો અને ગ્રીક પ્રજાએ આલ્ફાલ્ફાને એક પૌરુષવર્ધક ઔષધ તરીકે માન્યતા આપી છે. ચાઈનીઝ ઔષધ શાસ્ત્રમાં તો આ બાબતે તેનાં ભરપૂર ગુણગાન ગવાયાં છે. માત્ર પુરુષ નહીં, સ્ત્રીની પ્રજનનશક્તિમાં પણ એ વધારો કરે છે.

* થાઈરોઈડ જેવી જટિલ બીમારીમાં તે અદ્ભુત કામ આપે છે. થાઈરોઈડથી પીડાતા દર્દીઓને રોજબરોજનાં જીવનમાં અનેક મુશ્કેલીઓ નડતી હોય છે. આલ્ફાલ્ફાના નિયમિત સેવનથી તેમની તકલીફો ખાસ્સી હદે હળવી થાય છે.

* લિવરને લગતી બીમારીમાં પણ આલ્ફાલ્ફા ઉપયોગી છે. અકાળે ધોળા થતા વાળ કે ખરતા વાળની પણ એ અક્સીર દવા છે.

* આલ્ફાલ્ફા ખરા અર્થમાં એક સુપરફૂડ છે. એ પોષકદ્રવ્યોથી ભરપૂર છે અને તેનું સેવન બહુ સરળતાથી કરી શકાય છે. શરીરની ગમે તેટલી જૂની કબજિયાત દૂર કરવાની તેનામાં ક્ષમતા છે. શરીરના આખા પાચનતંત્રનો કાયાકલ્પ કરીને એ મનુષ્યને એક સ્વસ્થ જીવન આપવા સમર્થ છે.

આલ્ફાલ્ફા બજારમાં પાઉડર સ્વરૂપે ઉપલબ્ધ છે. દરરોજ સવારે નરણા કોઠે એક નાની ચમચી (ચારથી પાંચ ગ્રામ) જેટલા માપનું લઈ, તેને પાણી સાથે પીવાનું રહે છે. શરત માત્ર એટલી છે કે, અર્ધો કલાક સુધી કશું જ ખાવા-પીવાનું નહીં. બીજી મહત્ત્વની વાત: તમે જે આલ્ફાલ્ફા લો છો તે ૧૦૦ ટકા ઓર્ગેનિક, કેમિકલમુક્ત, જંતુનાશકમુક્ત હોય એ જરૂરી છે, કેમ કે શરીરનું ઝેર કાઢવા તમે જે ઔષધ લો છો, એ પોતે ઝેરી ન હોય એ ખ્યાલ રાખવો અનિવાર્ય છે.