જલ્સા કરોને જેંતીલાલ

વડોદારના પૂરમાં માનવતા ઝળકી ઉઠી – અનેક સેવાભાવી લોકોએ સેવાકાર્યો શરૂ કર્યા.

છેલ્લા 5-6 દિવસમાં વડોદરામાં સાંબેલાધાર વરસાદ પડી ગયો છે. નીચાણ વાળા વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ છે. જો કે હવામાન ખાતાની આગાહીના કારણે સરકારે જ્યાં જ્યાં ભારે વરસાદની સંભાવના હતી ત્યાં ત્યાં પહેલેથી જ એનડીઆરએફની ટીમને ગોઠવી રાખેલી હતી જેના કારણે લોકોને ઘણી મદદ મળી રહી હતી અને હાલ પણ તંત્ર તરફથી એકધારી મદદ મળી રહી છે.


એક જ દિવસમાં 18 ઇંચથી પણ વધારે વરસાદ પડતાં સમગ્ર વડોદરા શહેરનું જનજીવન ખોરવાઈ ગયું છે એમ કહો કે જાણે થંભી જ ગયું છે. શહેરમાં પડેલા વરસાદ ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી પણ ભયજનક સ્થિતિને વટાવીને વહી રહી છે જેના કારણે પણ વડોદરા શહેર સરોવરમાં ફેરવાઈ ગયું હતું. જો કે હાલ ધીમે પાણી ઓંસરી રહ્યા છે.


આ ઉપરાંત વરસાદનું પુર ઓછું હોય તેમ વિશ્વામિત્રી નદીના પુરના પાણી પણ વડોદરામાં ફરી વળતાં નદીમાં રહેતાં મગરો પણ શહેરના રહેણાક વિસ્તારોમાં પ્રવેશી ગયા હતા જેને કારણે સ્થાનિક લોકો ઘરની બહાર જતાં પણ ડરી રહ્યા છે. હાલ જંગલખાતા દ્વારા શહેરમાંથી શોધી શોધીને મગરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.


આવી સ્થિતિમાં ખરી માનવતાનો પરચો આપણને મળી જ જતો હોય છે. અને માણસો એકબીજાની નજીક આવી જતા હોય છે અને જાણે તેમનામાં ભગવાને પ્રવેશ કર્યો હોય તેમ મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરવા તેઓ તૈયાર થઈ જાય છે.


આ કપરી સ્થિતિ દરમિયાન માનવતાના કંઈ કેટલાએ પ્રસંગો જોવા મળ્યા છે. જેમાં એનડીઆરએફના એક જવાન એક નાનકડા ડોઢ મહિનાના બાળકને પ્લાસ્ટિકના ટબમાં માથા પર મુકીને તેનો બચાવ કરતાં નજરે પડે છે. દ્રશ્ય જોતાં જાણે કૃષ્ણ જન્મ યાદ આવી જાય તેવું લાગતું હતું. આ સાથે સાથે એક સગર્ભા સ્ત્રીને પણ બચાવવામાં આવી હતી.


આ ઉપરાંત તાત્કાલિક ધોરણે એનેડીઆરએફની ટીમ રેસ્ક્યુ બોટ તેમજ જરૂરી ફુડ પેકેટ તેમજ પાણી લઈને અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગઈ હતી. અને જરૂરિયાત મંદોને મદદ તેમજ ખોરાક પૂરો પાડ્યો હતો. અહીં જોવા એ મળ્યું કે એનડીઆરએફની ટીમે કૂતરાઓનો પણ બચાવ કર્યો હતો અને તેમને પણ ખોરાક પુરે પાડ્યો હતો.


આ ઉપરાંત સ્થાનિક લોકો પણ તેમાં પાછળ નહોતા રહ્યા. ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર વડોદરાના રહેવાસી તેવા યુસુફ પઠાણે પણ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતા પુરગ્રસ્ત લોકોમાં ખીચડીનું વિતરણ કર્યું છે. તેમણે પોતાના હાથે ખીચડી પીરસી હતી.


આ તસ્વિરમાં સ્થાનીક લોકોએ લગભગ 550 ફુડ પેકેટ તૈયાર કર્યા છે તે પણ માત્ર એક જ કલાકમાં જેને તરતને તરત જ પુરથી અસરપામેલા લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

ટીમ ગબ્બર નામના એક મદદગાર વોલેન્ટીયર ગૃપે પણ પુરપિડિતોને ભોજન પુરુ પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતું. બીજી બાજુ કેટલાક સમજાસેવી લોકો રીક્ષામાં સેવઉસળ લઈને ફરી રહ્યા છે અને અસરગ્રસ્તોને આપી રહ્યા છે. તેઓ તાડપતરી બાંધીને રહેતાં ગરીબ લોકોના ઘરે જઈ જઈને ભોજન વિતણ કરી રહ્યા છે.


માણસનો મૂળ સ્વભાવ માનવતા છે આજે ભલે કળયુગ આવી ગયો હોય અને સમાજમાં ઘણી બધી હિંસાઓ તેમજ ગૂનાઓ થતાં જોવા મળતા હોય તેમ છતાં આવી કપરી સ્થિતિમાં લોકોમાં ક્યાંક દબાયેલી માણસાઈ ફરી પ્રજ્વલિત થઈ જાય છે અને મદદ માટે લાંબા થયેલા હાથને દીલ ખોલીને મદદ આપે છે.


વડોદરા જિલ્લામાં આવેલી પૂરની આફતના કારણે ઓછામાં ઓછા 4000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યારે છ લોકોના મૃત્યુ નોંધાયા છે. હાલ ધીમે ધીમે પૂર ઓંસરતા જાય છે તેમ તેમ સ્થળાંતર પામેલા લોકોના નામ નોંધીને તેમને ફરી પરત મોકલવાની વ્યવસ્થા હાથ ધરાઈ છે.

આવી સ્થિતિથી બચવા માટે આપણે વધારે કશું તો નથી કરી શકતાં પણ જો અગાઉથી કેટલાક પગલા લેવામાં આવે તો થોડી ઓછી તકલીફો ભોગવવી પડે છે.


ચોમાસાની સિઝનમાં સામાન્ય રીતે ઘરમાં ઓછામાં ઓછું 10-15 દિવસનુ રાશન તો ભરીને જ રાખવું જોઈએ તેમજ કેટલાક ઇમર્જન્સી ફૂડ જેમ કે બિસ્કીટ, કોરો નાશ્તો કે જેને રાંધવાની જરૂર નથી પડતી તેનો પણ સ્ટોક રાખવો જોઈ.


જો ઘરમાં નાનું બાળક હોય તો તમારે તેમનો સામાન એક બેગમાં ભરીને તૈયાર રાખવો જોઈએ ખાસ કરીને તેમની દૂધની બોટ, તેમના ડાયપર્સ, કોરા વસ્ત્રો, દૂધનો પાઉડર વિગેરે.


આ ઉપરાંત જો તમે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં હોવ અને દર ચોમાસામાં તમારે ત્યાં સામાન્ય પાણી ભરાઈ જ જતું હોય અને હવામાનખાતા એ ભારે વરસાદની આગાહી પણ કરી હોય તો તેવા સંજોગોમાં ઘરની કીંમતી વસ્તુઓ જેમ કે મહત્ત્વના દસ્તાવેજો, રોકડ, ઘરેણા વિગેરેને સુરક્ષિત જગ્યાએ મુકી દેવા જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version