જુઓ એક ઝલકમાં ઉંઝા લક્ષચંડી હવનની અદ્ભુત-અકલ્પ્ય ભવ્યતા અને ધન્યતા અનુભવો
છેલ્લા પાંચ દિવસથી ઉંઝામાં આવેલા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયામાતાના ધામમાં ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની લાખો શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. પાંચ દિવસ દરમિયાન લગભગ 60 લાખ કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓએ આ યજ્ઞના દર્શન કર્યા હતા. અને 22 લાખ કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
માતાજીને આવેલા દાનની વાત કરીએ તો તે પણ કરોડોમાં થયું હતું. એક અહેવાલ પ્રમાણે માત્ર પાંચ જ દિવસમાં મંદીરમાં 60 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. આખાએ ઉત્સવમાં 25 કરોડ કરતાં પણ વધારે ખર્ચો કરવામાં આવ્યો હતો.
ચાલો તમને તસ્વીરો દ્વારા ઉમિયામાતાના લક્ષચંડી મહાયજ્ઞની એક ઝલક બતાવીએ અને આખાએ કાર્યક્રમની ખાસીયતો પણ જાણો.
પાંચ દિવસ દરમિયાન અવ્યવસ્થા ન ઉભી થાય તે માટે ગજબનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો
લાખોના મહેરામણને પહોંચી વળવા માટે સ્વયંસેવકો દ્વારા ગજબની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો લાખોની સંખ્યામાં દર્શનાર્થે ઉમટી આવ્યા હતા. પાંચ દિવસ દરમિયાન લગભગ 5.50 લાખ વાહનોના પાર્કિગની વ્યવસ્થા, લાખો શ્રદ્ધાળુઓ માટે પીવા માટે શુદ્ધ પાણી, ભોજનશાળાની વ્યવસ્થા વિગેરેનું પુરી કાર્યક્ષમતાથી વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકો માટે વિજ્ઞાનમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને રસ પડે તેવા પ્રકારના મોડ્યુલ્સ અને ડેમ તૈયાર કરવામા આવ્યા હતા.
આખાએ આયોજનમાં 30,000 કરતાં પણ વધારે સ્વયંસેવકો ખડે પગે હાજર રહ્યા હતા. આ ઉપરાંત અગિયારસનો ઉપવાસ કરતાં કરતાં કેટલીએ મિહલાઓએ યજ્ઞમાં ખડા પગે સેવા આપી હતી. અને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઉભી થવા દેવા નહોતા માગતા.
પાંચ દિવસ દરમિયાન યજ્ઞનું જીવંત પ્રસારણ કરવામા આવ્યું હતું જેને 4.5 કરોડ લોકોએ નિહાળ્યું હતું. તેમજ મેડિકલ કેમ્પમાં 15 હજાર બહેનોનું બ્રેસ્ટ કેન્સરનું પરિક્ષણ પણ કરવામા આવ્યું હતું.
આ સિવાય 17 હજાર વિખૂટા પડી ગયેલા પરિવારનું મિલન પણ કરાવવામાં આવ્યુ હતું. અને પાંચ લાખ લોકોએ ધર્મસભામાં ભાગ લીધો હતો. તેમજ હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામા આવી હતી.
કરવામાં આવ્યું કરોડોનું દાન
મળતી માહિતી પ્રમાણે પાંચ દિવસના મહાયજ્ઞ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા કરોડોનું દાન કરવામાં આવ્યું હતું. રોકડ દાનની વાત કરીએ તો મંદીરને 2 કરોડ 30 લાખની રોકડનું દાન ભક્તો દ્વારા મળ્યું હતું. જ્યારે લક્ષચંડી મહાયજ્ઞના 16 યજમાનો દ્વારા 7.71 કરોડનું દાન મળ્યું હતું. આ ઉપરાંત મંદીરને 85 લાખનું દાન રૂ.500ની હુંડી વિતરણ દ્વારા મળ્યું હતું. તો ઘીની આહુતી પેટે શ્રદ્ધાળુઓએ 45 લાખ રૂપિયાનું દાન કર્યું હતું.
મા ઉમિયાના પ્રાગટ્યની કથાને લઈને સુંદર શોનું આયોજન
પાંચ દિવસ દરમિયાનના મહાયજ્ઞના કાર્યક્રમમાં રાત્રે ઉમિયામાતાના પ્રાગટ્યની કથાને સુંદર શો દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાં સ્ટેજને ઉમિયા માતાની સુંદર મૂર્તિઓ તેમજ પહાડો વિગેરેથી સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો. અને ઘણી બધી નાનકડી કન્યાઓએ પણ પર્ફોમન્સ આપ્યા હતા.
આ ઉપરાંત માતાજીની 51 શક્તિપિઠોની પ્રતિકૃતિ સમાન નાનકડા મંદીરોની ઝાંખી પણ બનાવવામાં આવી હતી. અને એન્ટ્રન્સ આગળ સરદાર પટેલની ભવ્ય ગોલ્ડન મૂર્તિ પણ મૂકવામાં આવી હતી. મહાયજ્ઞના પ્રાંગણમાં ઉમિયામાતાના મંદીરની પણ નાનકડી એવી પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.
11 પાટલા પૂજન સાથે કરવામાં આવી હતી યજ્ઞની શરૂઆત
સવારના 8 વાગ્યાથી 1100 પાટલા પૂજન સાથે યજ્ઞની શરૂઆત કરવામા આવી હતી. ત્યાર બાદ પ્રાતઃપૂજન કરવામાં આવ્યું હતું જેમાં ગણપતિજીની પૂજા કરવામાં આવી હતી અને ચંડીપાઠનો હોમ કરાવાયો હતો. બપોરે મૂળ મંદીરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. અને સાંજે શ્રીફળ હોમવાની વિધી કરવામા આવી હતી.
આ વિધિ લગભગ પોણો કલાક સુધી ચાલી હતી. ત્યાર બાદ આરતી કરવામા આવી હતી અને આખુંએ ઉમિયાધામ ઉમિયામાતાના જયજયકારથી ગુંજી ઉઠી હતી. યજ્ઞના સમાપન સમારોહમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમજ હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ