તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકાને જુઓ તેમના ઓરિજનલ પરિવાર સાથે
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ટેલિવીઝન ઇન્ડસ્ટ્રીની શોલે છે તેવું કહેવામાં કદાચ જરા પણ વાંધો નથી કારણ એ આ સિરિયલનું એક એક પાત્ર લોકો માટે જરા પણ અજાણ્યુ નથી અને શોલેમાં જેમ દરેક પાત્રની અલગ જ ઉડીને આંખે વળગે તેવી ખાસીયત હતી તેવી જ ખાસીયત તારક મેહતા..ની સિરઝમાં રજુ થતાં દરેક પાત્રની છે. અહીં માત્ર મુખ્ય પાત્ર જેઠા લાલ ગડા જ લોકપ્રિય નથી પણ નટુકાકા જેવું નાનું અને મુખ્ય પાત્રોના પ્રમાણમાં ઓછું દેખાતું પાત્ર પણ તેટલું જ લોકપ્રિય છે અને માટે જ સિરિયલના ચાહકોને તેમાં આવતા પાત્રો વિષે જાણવાની હંમેશા ઉત્સુકતા રહેલી હોય છે.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠા લાલની દુકાનમાં ખડે પગે નોકરી કરતાં નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક 75 વર્ષના છે જે તેમના પાત્રને જોતાં જરા પણ નથી લાગતું. તમને જાણીને આશ્ચર્ય થશે પણ નટુકાકાએ અભિનય ક્ષેત્રે 57 વર્ષ પૂર્ણ કર્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે ઘનશ્યામ નાયકના કુટુંબની ત્રણ પેઢી રંગભૂમિ ક્ષેત્રે જોડાયેલી છે. તેમના જ કુટુંબીજના સ્વ કેશવલાલ નાયક અને સ્વ પ્રભાકર નાયકે ગુજરાતી રંગભૂમિમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
દાયકા પહેલાં નટુકાકાની આર્થિક સ્થિતિ કથળેલી હતી
ઘનશ્યામ નાયક ઉર્ફે નટુકાકાએ અત્યારસુધીમાં 200 કરતાં પણ વધુ ગુજરાતી ફિલ્મો કરી છે જ્યારે હિન્દી સિરિયલ્સની વાત કરીએ તો તેમણે 350 કરતાં પણ વધારે સિરિયલોમાં કામ કર્યું છે. જોકે અભિનય ક્ષેત્રે આટલું કામ કરવા છતાં તેમની આર્થિક સ્થિતિ લગભગ દસ-બાર વર્ષ પહેલાં કથળેલી હતી. તેઓ એટલી હદે આર્થિક તંગી હેઠળ જીવી રહ્યા હતા કે તેમની પાસે ઘરનું ભાડુ ચૂકવવાના પણ પૈસા નહોતા. નબળી આર્થિક સ્થિતિના કારણે તેમણે દિવસોના દિવસો ઉધારીમાં પસાર કરવા પડ્યા હતા. પણ હાલ તેઓ જણાવે છે કે સ્થિતિ સાવ જ પલટાઈ ગઈ છે.
કુમળી કિશોરાવસ્થામાં અભિનયની શરૂઆત કરી
તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ 1960માં આવેલી માસૂમ ફિલ્મમાં ઘનશ્યામ નાયકે ચાઇલ્ડ આર્ટિસ્ટનું કામ કર્યુ હતું. અને આ સમયે તેમની ઉંમર માત્ર 14-15 વર્ષની હતી. આ ઉપરાંત તેમણે બોલીવૂડની જાણીતી ફિલ્મો હમ દિલ દે ચૂકે સનમ, ચાઈના ગેટ, લજ્જા, તેરે નામ જેવી મોટા બેનરની ફિલ્મોમાં કામ કર્યું છે.
અવિરત કામ કરી સંઘર્ષમાં દિવસો પસાર કર્યા
ફિલ્મો તેમજ સિરિયલોમાં સેંકડો પાત્રો ભજવવા તે કોઈ નાની-સૂની વાત નથી. નટુકાકાએ જીવનમાં ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો છે. કારકીર્દીમાં ટકી રહેવા અને ગુજરાન ચલાવવા માટે તેમણે કેટલાક દિવસો તો સતત 24-24 કલાક કામ કરવું પડ્યું હતું અને તેના બદલામાં તેમને માત્ર ત્રણ-ચાર રૂપિયા જ મળતાં હતા.
તેઓ જણાવે છે કે 20-25 વર્ષ પહેલાં તેમને અભિનય ક્ષેત્રે આટલા રૂપિયા નહોતા મળતાં તે સમયે તેમણે રસ્તા પર પણ અભિનય કરવો પડ્યો હતો. અને તે સમયે અભિનયની કારકીર્દીને યોગ્ય દ્રષ્ટિએ નોહતી જોવામાં આવતી તેને એક અસ્થિર કારકીર્દી ગણવામાં આવતી હતી.
આર્થિક સંકટ ભોગવી બાળકોને ભણાવ્યા
ઉપર જણાવ્યું તે પ્રમાણે નટુકાકા પાસે પરિવારનું ગુજરાન ચલાવવા પુરતો પણ રૂપિયો નહોતો મળતો તો વળી છોકરાઓને ભણાવવાની તો વાત જ ક્યાં રહી તેમ છતાં તેમણે ઉધારી કરીને પોતાના સંતાનોને ભણાવ્યા.
‘તારક મેહતા…’એ બધા જ આર્થિક સંકટો દૂર કરી દીધા
આટલી બધી ફિલ્મો તેમજ સિરિયલો કરવા છતાં કોઈ વાતે નટુકાકા પરથી આર્થિક સંકટના વાદળો વિખેરાતા નહોતા પણ 2008માં તેમને સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનય કરવાની ઓફર મળી અને તેમને નટુકાકાના પાત્ર માટે પસંદ કરવામાં આવ્યા. પણ આ સિરિઝ શરૂ થઈ તે વખતે સિરિયલમાં કામ કરતાં કે પછી તેના પ્રોડ્યુસરને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેમની સિરિયલ આટલી સફળ થશે અને આટલા વર્ષો ચાલશે. આ સિરિયલના કારણે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને આર્થિક રીતે સદ્ધર બનાવી દીધા. અને છેવટે તેમણે મુંબઈ જેવી મોંઘેરી નગરીમાં પોતાનું બે બેડ રૂમનું ઘર ખરીદ્યું.
આ મકાન તેમણે મુંબઈના મલાડ વિસ્તારમાં લીધું છે. તેમણે પોતાના માટે એક કાર પણ વસાવી હતી પણ તેમને ડ્રાઈવીંગ નોહતું આવડતું હોવાથી તેમણે કાર વેચી દીધી હતી. અને હાલ તેઓ નિયમિત રીતે ઓટોરિક્ષામાં જ આવવા જવાનું રાખે છે.
નટુકાકાની ત્રણ પેઢીનો છે અભિનય ક્ષેત્રે સંબંધ
નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક આજે 75 વર્ષના થયાં છે તેમનો જન્મ 1945નો છે. તેમના દાદા સ્વ. કેશવલાલ શિવરામ નાયક તેમના પિતા સ્વ. પ્રભાકર કેશવલાલ નાયક બન્ને રંગમંચ સાથે જોડાયેલા હતા. જોકે ત્રણ પેઢીની આ પરંપરા આગળ વધે તેવું ઘનશ્યામ નાયક નથી ઇચ્છતા. તેઓ નથી ઇચ્છતા કે તેમના સંતાનો આ ક્ષેત્રે કારકીર્દી બનાવે. તેમનો પોતાનો અનુભવ કહે છે કે આ ક્ષેત્રમાં ખુબ જ સંઘર્ષ છે. જો કે તેમના સંતાનો પણ આ ફિલ્ડમાં પ્રવેશવા નથી માગતા. માટે જ તેમનો દીકરો વિકાસ નાયક એક સ્ટોક એક્સચેન્જમાં મેનેજર છે અને એક બ્લોગર પણ છે.
એક દીકરા ઉપરાંત તેમને બે દિકેરીઓ પણ છે. તેમની બન્ને દીકરીઓએ લગ્ન નથી કર્યા. તેમની મોટી દીકરી ભાવના 49 વર્ષની છે જ્યારે નાની દીકરી તેજલ 47 વર્ષની છે જે એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ