જલ્સા કરોને જેંતીલાલ

સ્વિત્ઝરલેન્ડ ફરવા જવાનું બજેટ નથી ? તો ભારતમાં જ આવેલા આ મિનિ સ્વિત્ઝરલેન્ડની મુલાકાત લો !

ભારતમાં રહીને પણ જો તમે આ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્વિત્ઝરલેન્ડને પણ ટક્કર મારે તેવી જગ્યા ન જોઈ હોય તો હવેની રજાઓમાં અહીં જ ફરવા જવાનું આયોજન કરો.

સામાન્ય રીતે લોકો તેવી જ જગ્યાએ જવાનું પસંદ કરે છે જ્યાં બધા જ જતા હોય અથવા જે ખુબ જ લોકપ્રિય જગ્યા હોય અથવા તેની સાથે કોઈ મહત્ત્વનો ઇતિહાસ જોડાયેલો હોય. પણ ઘણીવાર કેટલીક ઓફબીટ જગ્યાની મુલાકાત તમને જીવનભર માટે એક અનોખો જ અનુભવ આપી જાય છે.

જો તમને ફરવું બહુ ગમતુ હોય અને તમે લોકોથી દૂર રેહવા માગતા હોવ તો આ જગ્યા તમારા માટે સ્વર્ગથી ઓછી નથી. અહીં તમારું સંગમ સીધું જ કુદરત સાથે થશે. અહીં તમને જે માનસિક શાંતિ મળશે તે કદાચ તમને સ્વિત્ઝરલેન્ડમાં પણ નહીં મળે. અને તે પણ તેના કરતાં ક્યાંય ઓછા ખર્ચે. અહીં તમે કુદરતના સાનિધ્યમાં સુખી અને શાંત પળોનો આનંદ માણી શકશો.

આ જગ્યાનું નામ છે ખજિયાર, ખજિયારને આમ તો મીની સ્વિત્ઝરલેન્ડ પણ કહેવાય છે જો કે કેટલાક હિમાલય પ્રેમિઓને હિમાલયના કોઈ પણ હિસ્સાની સરખામણી સ્વિત્ઝરલેન્ડ સાથે કરવામાં આવે તે નથી ગમતું. તેમનું એવું કહેવું છે કે હિમાલયની સરખામણી કોઈની પણ સાથે ન થાય. હિમાલય તો હિમાલય જ છે ! તેમ છતાં અમે અહીં રળિયામણાં ખજિયારની સરખામણી સ્વિત્ઝરલેન્ડ સાથે કરી છે.

કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ વિશ્વમાં કુલ 160 જગ્યાઓ છે જેને મિનિ સ્વિત્ઝલેન્ડ ગણવામાં આવે છે. જેમાંની ખજિયાર એક છે. અહીં તમે એક સાઇન બોર્ડ પણ જોઈ શકશો જેમાં અહીંથી એટલે કે ખજિયારથી સ્વિત્ઝરલેન્ડનું અંતર લખવામાં આવ્યું હશે. આ જગ્યા ખાસ કરીને તેના પર્વતિય ઢોળાવો, તેમાં ઉછળકૂદ કરતાં નાના-નાના ઝરણાઓ અને હિમાચ્છાદિત પહાડોના કારણે સ્વિત્ઝરલેન્ટનું એક નાનકડું સ્વરૂપ હોય તેવો ભાસ થાય છે. પણ અહીં તમને ખુબ જ ઓછા પ્રવાસીઓ જોવા મળશે જે અહીં રહેવાની મજાને બેગણી કરી નાખે છે.

ખજિયાર વિસ્તારનું નામ ત્યાં આવેલા ખજિયાર સરોવરના કારણે પડ્યું છે. આ જગ્યા સમુદ્ર સપાટીથી 1920 મીટર ઉંચી આવેલી છે. ખજિયારનું સરોવર દેવદારના લીલાછમ જંગલોથી ઘેરાયેલું છે. હિમાચલ પ્રદેશમાં આવેલા આ નાનકડાં સ્વિત્ઝરલેન્ડમાં તમને ઘણા બધા સાહસો કરવા મળશે. અહીં તમે ઘોડેસવારી ઉપરાંત પેરા ગ્લાઇડીંગનો ભરપુર આનંદ ઉઠાવી શકો છો.

ખજિયાર સરોવરમાં આવેલો તરતો ટાપુ અહીંનું મુખ્ય આકર્ષણ છે. વાસ્તવમાં આ તળવાની મધ્યમાં ઘાંસ ઉઘી નીકળ્યું છે તેના કારણે ત્યાં એક ટાપુ બની ગયો હોય તેવો ભાસ થાય છે. અહીં કેટલાક લોકો માત્ર હાઇકીંગ માટે પણ આવે છે. અને જો તમારે કંઈ જ ન કરવું હોય તો માત્ર અહીં બેસીને કુદરતી દ્રશ્યોનો નજારો લેતા પણ રીલેક્સ થઈ શકો છો. આ તળવાથી તમે માઉન્ટ કૈલાશને પણ નિહાળી શકો છો.

કાલાટોપ અભયારણ્ય

જો તમે અહીંના પ્રાણીઓને તેમની કુદરતી અવસ્થામાં એટલે કે જંગલમાં સ્વતંત્ર રીતે મહાલતા જોવા માગતા હોવ તો અહીંનું કાલાટોપ અભયારણ્ય તમારી તે ઇચ્છાને પુરી કરશે. અહીં તમને વિવિધ જાતની વનસ્પતિ તેમજ ફુલ છોડ પણ જોવા મળશે. આ ઉપરાંત પ્રાણીઓમાં તમે જંગલી શિયાળ, ચિત્તા, હરણ, રીંછ, લંગૂર પણ જોઈ શકશો.

ખજ્જી નાગનું મંદીર

ખજીયાર તળાવના કિનારે એક ખજ્જી નાગનું મંદીર પણ આવેલુ છે જે લગભગ 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદીરમાં નાગ દેવતાની પુજા કરવામાં આવે છે. આ મંદીરના બંધારણમાં તમે હિન્દુ તેમજે મુઘલ બન્ને સંસ્કૃતિને પ્રતિબિંબિત થતી જોઈ શકશો.

તમે ખજિયાર આવો તો થોડું ઘણું ટ્રેકિંગ પણ તમારે કરી જ લેવું જોઈએ.

અહીં ટ્રેકિંગ માટે ઉત્તમ ઢોળાવો છે. અહીં ટ્રેકિંગ કરતાં કરતાં તમે મનમોહક લીલી છમ ટેકરીઓ, ખળખળ વહેતા ઝરણા, દેવદારના જંગલો વિગેરેમાંથી પસાર થશો. આ ઉપરાંત અહીં તમે આસપાસના નાનકડા પણ કુદરતી સૌંદર્યથી ભરપુર ગામડાઓની મુલાકાત પણ લઈ શકશો. અહીં જો તમે હોટેલમાં ન રોકાવા માગતા હોવ તો અંતરિયાળ ગામડાઓમાં ગ્રામીણ લોકો તમને પહાડોમાં શાંત સમય પસાર કરવા તેમજ રહેવા માટે પોતાના ઘર પણ ભાડે આપે છે.

આ જગ્યામાં ભલે તમને ઘણા ઓછા ટુરીસ્ટ જોવા મળશે પણ તમને રેહવા તેમજ ખાવાની કોઈ જ સમસ્યા નહીં નડે.

કેવી રીતે પહોંચવું. અહીં સૌથી નજીકમાં કાંગરાનું એરપોર્ટ આવેલું છે. જે અહીંથી લગભગ 78 માઈલ દૂર આવેલું છે. અને જો તમે ટ્રેન દ્વારા જવા માગતા હોવ તો પઠાન કોટ માત્ર 58 કી.મી જ દૂર છે. ત્યાંથી તમે ટેક્સી કે બસ પણ ભાડે કરી શકો છો. તો હવેના વેકેશનમાં સ્વિત્ઝરલેન્ડ નહીં તે મિનિ સ્વિત્ઝલેન્ડની મુલાકાત ચોક્કસ લો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version