સુરેન્દ્રનગર જીલ્લાના પાણશીણામાં પુતળુ નહિ જીવતા રાવણને મારવાની પરંપરા…

સામાન્ય રીતે વિજયાદશમીના દિવસે સમગ્ર દેશમાં રાવણ વધના કાર્યક્રમો યોજાતા હોય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી તાલુકામાં આવેલા પાણશીણા ગામમાં દશેરાના દિવસે નહિ પરંતુ અગિયારસના દિવસે રાવણ મારવાની અનોખી પરંપરા સવાસો વર્ષથી ચાલી આવે છે. અગિયારસના દિવસે બહુચરમાના ચોકમાં સવારથી જ માનવ મહેરામણમાં લાકડી સાથે ઊમટી પડે છે રામ અને રાવણની લડાઇ ચાલુ હોય ત્યારે ગામના યુવાનો વચ્ચે લાકડીની આડાશ કરીને રાખે છે. ત્યારબાદ ચોકમાં રામ, લક્ષ્મણ અને રાવણની ભીષણ લડાઇ જામે છે. રસ્તાની બાજુમાં ઉભેલા લોકો મારો, મારો રાવણને મારો, જય શ્રીરામ ની બૂમો પાડી રામનું સમર્થન કરે છે. પાણશીણા ગામની આવી અનોખી પરંપરા જોવા માટે આસપાસના ગામના લોકો પણ ઉમટી પડે છે.

સામાન્ય રીતે નવરાત્રિ મહોત્સવ નવ દિવસ સુધી મનાવવામાં આવે છે. પરંતુ પાણશીણામાં ૧૦ દિવસ સુધી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ સાત દિવસ સુધી ગામની મધ્યમાં આવેલા બહુચરમાતા મંદિર ચોકમાં મહિલાઓ દ્વારા ગરબા ગાવામાં આવે છે. આઠમનાં દિવસથી માતાજીની જાતર રમાય છે. જે ત્રણ દિવસ એટલે કે દશમ સુધી ચાલે છે. આ ત્રણ દિવસમાં જય ચિત્તોડ, પૃથ્વીરાજ ચૌહાણ, દ્રોપદી વસ્ત્રાહરણ, શિવાજી જેવા ખેલ ભજવાય છે અને અગિયારસના દિવસે રાવણના વધ સાથે નવરાત્રી મહોત્સવની પૂણૉહુતિ કરવામાં આવે છે.

પાણશીણા ગામના બહુચર માઇ મંડળના સભ્યોએ જણાવ્યુ હતું કે, પાણશીણા ગામના મધ્યમાં બહુચરમાતાનું મંદિર આવેલું છે. બહુચરમાનાં આંગણે યોજાતા નવરાત્રિ મહોત્સવમાં ત્રણ દિવસ માતાજીની જાતરમાં ભવાઇ રમવામાં આવે છે. ત્યારબાદ અગિયારસના દિવસે રાવણ મારવામાં આવે છે. અગિયારસના દિવસે સવારથી જ બહુચર માના ચોકમાં દરેક જ્ઞાતિના લોકો રાવણવધના અનોખા ઉત્સવમાં ભાગ લેવા માટે ઊમટી પડે છે. અંદાજે સવાસો વર્ષ કરતા વધુ વર્ષોથી પાણશીણા ગામમાં અગિયારસના દિવસે રાવણ મારવામાં આવે છે.

અગીયારસના દિવસે ખેડુતો દ્વારા બળદને આરામ આપીને ખેતી સહિતના કામમાં એક દિવસની રજા રાખવામાં આવતી હતી તેથી પાણશીણા ગામના વધુને વધુ લોકો રાવણ વધ કાર્યક્રમનો લાભ લઇ શકે તે માટે વડવાઓએ દશેરાના બદલે અગીયારસના દિવસે રાવણ મારવાની પરંપરા શરૂ કરી હતી. જે આજ દિન સુધી જાળવી રાખવામાં આવી છે. ફટાકડાના રાવણથી પ્રદુષણ થઇ શકે છે તેનો વિચાર પાણશીણાના વડવાઓએ સવાસો વર્ષ પહેલા કર્યો હતો અને ફટાકડાના રાવણને બાળવાના બદલે રામ-રાવણના યુદ્ધની પરંપરા શરૂ કરવામાં આવી હતી.

પુતળુ નહિ જીવતા રાવણને મારવાની પરંપરા

દરેક જગ્યાએ દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે.પરંતુ પાણશીણા ગામમાં ગામના યુવાનો રાવણ, રામ, લક્ષ્મણ અને હનુમાનજીનો વેશ ભજવે છે ત્યારબાદ ગામના લોકો લાકડીઓ લઇને વચ્ચે ઉભા રહે છે. અને રામ-રાવણની સેના અલગ કરી બંને વચ્ચે લાકડીથી યુદ્ધ ખેલાય છે. ગામના ત્રણેય રસ્તા પર રામ-રાવણની સેના હાથમાં લાકડી સાથે યુદ્ધ કરતી કરતી ફરે છે. યુદ્ધના અંતે રાવણને મારવામાં આવે છે.

લેખક : નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ