પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવારનવાર કોઈના કોઈ મુદ્દે ભાષણ આપતાં હોય છે. તેમની રાજકીય રેલીઓમાં એવા શબ્દો બોલતાં હોય છે કે લોકો તેમને સાંભળવા ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડતાં હોય છે. આ સિવાય પણ, ક્યારેક કોઈ લોકાર્પણ સમારંભ, તો ક્યારેક વિદ્યાર્થીઓને સંબોધન તો ક્યારેક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાષણ આપતાં જોવા મળી રહે છે. આ તમામ કાર્યક્રમોમાં પીએમ મોદીનું ભાષણ સૌથી અલગ અને પ્રસંગોપાત હોય છે. તેમનાં શબ્દોથી લોકોને ઉત્સાહિત કરી દેતા હોય છે. પ્રધાનમંત્રીનું ભાષણ સૌને તેમનાં તરફ ખેચાતું હોય છે, ત્યારે એક સવાલ જે સૌના મનમાં થતો હોય છે કે, આખરે પીએમ મોદીનું આવું સરસ ભાષણ લખે છે કોણ?
ત્યારે જો તમને પણ આવો સવાલ હોય તો હવે એનો ઉત્તર મળી શકે છે. કારણ કે હાલમાં જ આ સવાલનો જવાબ જાણવા માટે વડાપ્રધાન કાર્યાલયમાં એક આરટીઆઈ કરવામાં આવી હતી. આ આરટીઆઈ અંતર્ગત એ લોકોના નામ અને નંબર જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે જુદા જુદા પ્રસંગે પીએમ મોદીનું ભાષણ તૈયાર કરે છે.
આ સાથે તેમનું ભાષણ લખનાર વ્યક્તિ વિશે પણ સૌ વધારે જાણવાં ઉત્સુક હતાં જેથી તે વ્યકતિ વિશેની તમામ માહિતી આ સવાલોના જવાબ મળે તે માટે શોધવાનો પ્રયત્ન આરટીઆઈ દ્વારા કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી મોદીના ભાષણને લઈને કરવામાં આવેલી આરટીઆઈમાં એ વાત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે, ભાષણને તૈયાર કરનારા લોકોને વળતર સ્વરૂપે કેટલા પૈસા આપવામાં આવે છે.
જો કે હવે આ આરટીઆઈનો જવાબ પણ મળી ગયો છે. જે જાણીને બધાને ખુબ નવાઈ લાગી છે, મળતી માહિતી મુજબ, પીએમ મોદી પોતે જ તેમનાં ભાષણને આખરી ઓપ આપે છે.
આ સવાલના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, જુદા જુદા માધ્યમોમાંથી ઈનપુટ એકત્ર કરવાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે જ ભાષણોની રૂપરેખા તૈયાર કરે છે. આ વિશે વધારે માહિતી આપતાં PMOએ જણાવ્યું હતું કે, જુદા જુદા કાર્યક્રમો અનુંસાર પ્રધાનમંત્રીને તેના ઈનપુટ પુરા પાડવામાં આવે છે. ત્યાર બાદ પીએમ પોતે જ પોતાના ભાષણને છેલ્લી રૂપરેખા આપે છે.
આ સાથે જ માહિતી મળી રહી છે કે પીએમનું ભાષણ તૈયાર કરવાને વળતર રૂપે કેટલા પૈસા આપવામાં આવે છે તેનો ઉલ્લેખ RTIના જવાબમાં કરવામાં આવ્યો નથી.
પીએમ મોદીનું ચૂંટણીનું ભાષણ હોય, સંસદમાં ભાષણ હોય, મન કી બાત હોય કે બાળકો સાથે ચર્ચા હોય કે પછી કોઈ વિશ્વ મંચ પર સંબોધન હોય, દરેકમાં તેમની ભિન્ન શૈલી જોવા મળે છે. જ્યારે આ વાત સામે આવી કે વડાપ્રધાન જાતે જ સ્ક્રિપ્ટ તૈયાર કરે છે ત્યારે ખરેખર સૌ તેમનાં હજી વધારે દિવાના થઈ ચૂક્યા છે. આટલાં બધાં કામો, મીટીંગો અને તેમનાં વ્યક્તિગત જીવનની પળોની વચ્ચે તેઓ આ કામ પણ કરી લે છે. માત્ર એટલું જ નહીં પણ એ ભાષણમાં એવા શબ્દો ઉમેરે છે કે બધનાં ગળે ઉતરી જાય.