સત્ય નારાયણ વ્રતનો મહિમા છે અપરંપાર, જાણો શું છે તેનો ચમત્કાર
ભગવાન વિષ્ણુની પૂજા આમ તો કોઈપણ દિવસે કરવી શુભ ફળ આપનારી જ હોય છે. પરંતુ શ્રી હરીની પૂજા જો અગિયાર, પૂનમ જેવા ખાસ દિવસોએ થાય તો તે ચમત્કારી ફળ આપનારી સાબિત થાય છે. તેમાં પણ જો ભગવાન વિષ્ણુની આરાધના કરવા માટે સત્ય નારાયણની કથા કરવામાં આવે તો ભક્તના મનની દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. આ વ્રત ઈચ્છા પૂર્ણ કરનાર વ્રત પણ સાબિત થાય છે.
લોકો ખાસ અવસર હોય ત્યારે પોતાના ઘરે સત્ય નારાયણ ભગવાનની કથા કરાવે છે. સત્ય નારાયણ ભગવાનની પૂજા વિધિ- વિધાન સાથે કરવામાં આવે છે. આ વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે ઉપરાંત આ વ્રત મોક્ષ પ્રાપ્તિના માર્ગને ખોલે છે.
આ વ્રત કરવાથી પ્રભુ કૃપા પ્રાપ્ત થાય છે તેવું નથી, જે લોકો આ વ્રત કે કથા કરાવી શકતા નથી તે જો આ કથા સાંભળે અથવા વાંચે તો પણ તેમની મનોકામના પૂર્ણ થાય છે. આજે તમને અહીં આ ચમત્કારી વ્રતની કથા વિશે જાણવા મળશે. આ વ્રત કથા સાંભળી કે વાંચીને પણ તમે મોક્ષ પ્રાપ્તિ તરફ આગળ વધી શકો છો.
વ્રત કથા
કાશીપુર નગરમાં એક ગરીબ બ્રાહ્મણને ભિક્ષા માંગતા જોઈ ભગવાન વિષ્ણુજી સ્વયં એક બુઢા બ્રાહ્મણનું સ્વરૂપ લઈ તે નિર્ધન બ્રાહ્મણ પાસે ગયા અને કહ્યું, હે વિપ્ર, શ્રી સત્યનારાયણ ભગવાન મનોવાંછિત ફળ આપનાર છે. તું તેમનું વ્રત કરી પૂજા કર. આ વ્રત કરવાથી મનુષ્ય દરેક પ્રકારના દુખથી મુક્ત થાય છે. આ વ્રતમાં ઉપવાસનું પણ આગવું મહત્વ છે. જો કે ઉપવાસ માત્ર એટલો નહીં કે ભોજન ન કરવું. ઉપવાસમાં હૃદયમાં પણ સત્યનારાયણ ભગવાનનું સ્મરણ જ મનમાં હોવું જરૂરી છે. મન શુદ્ધ વિચારો અને શ્રદ્ધાથી છલોછલ રહેવું જોઈએ. સંપૂર્ણ શ્રદ્ધા રાખી કથાનું શ્રવણ કરવું જોઈએ.
શ્રી સત્ય નારાયણ ભગવાનની કથા જણાવે છે કે વ્રત અને પૂજા કરવામાં માનવમાત્રને સમાન અધિકાર છે. તે વ્યક્તિ ભલે નિર્ધન હોય કે ધનવાન, રાજા હોય તે ગરીબ, બ્રાહ્મણ હોય કે અન્ય વર્ગના, સ્ત્રી હોય કે પુરુષ.. દરેક વ્યક્તિ આ કથા વાંચી, સાંભળી કે કરી શકે છે. આ કથામાં પણ નિર્ધન બ્રાહ્મણ, ગરીબ કઠીયારો, રાજા ઉલ્કામુખ, ધનવાન વ્યવસાયી, સાધુ વૈશ્ય અને તેની પત્ની લીલાવતી, પુત્રી કલાવતી, રાજા તુંગધ્વજ તેમજ અન્ય લોકોનો સમાવેશ થયો છે.
કથામાં જણાવાય છે કે તેવી રીતે ગરીબ કઠીયારો, બ્રાહ્મણ, ઉલ્કામુખ સહિતના ગોપગણો આ વ્રતની કથા સાંભળી સુખ, સૌભાગ્ય અને સંપત્તિ પ્રાપ્ત કરે છે. આ કથા શ્રદ્ધા, ભક્તિ તથા પ્રેમથી સાંભળવાથી દરેક વ્યક્તિ ધરતી પર સુખ ભોગવી અને પરલોકમાં મોક્ષના અધિકારી બન્યા હતા.
કથામાં એક સાધુ વૈશ્યએ આ પ્રસંગ રાજા ઉલ્કામુખ પાસેથી સાંભળ્યો પરંતુ અધુરા વિશ્વાસના કારણે નક્કી કર્યું કે સંતાન પ્રાપ્ત થશે ત્યારે કથા કરશે. સમય પસાર થયો અને તેને ત્યાં સુંદર કન્યાનો જન્મ થયો. પત્નીએ તેને વ્રત કરવાનું યાદ કરાવ્યું પરંતુ તેણે કહ્યું કે કન્યાના લગ્ન થાય ત્યારે કરશું. લગ્ન પણ થયા પરંતુ સાધુએ કથા કરી નહીં અને જમાઈ સાથે વેપાર પર નીકળી ગયો. સસર-જમાઈ રાજા ચંદ્રકેતુના રાજ્યમાં પહોંચ્યા તો રાજાએ તેમને ચોરીના આરોપ સાથે જેલમાં પુરી દીધા. અહીં તેમના ઘરે પણ ચોરી થઈ ગઈ અને સાધુ વૈશ્યની દીકરી અને પત્ની ભીક્ષા માંગવી પડે તેવી સ્થિતિમાં આવી ગયા.
એક દિવસ લીલાવતી કોઈના ઘર ભિક્ષા માંગવા ગઈ તો ત્યાં સત્ય નારાયણ ભગવાનની કથા ચાલતી હતી. તે સમયે તેને પણ યાદ આવ્યું કે તેના પતિએ કથા કરવાની વાત કરી હતી. તેણે બીજા જ દિવસે શ્રદ્ધાથી સત્ય નારાયણ દેવની કથા કરી. શ્રી હરી પ્રસન્ન થયા અને રાજાના સ્વપ્નમાં આવી સાધુ વૈશ્ય અને તેના જમાઈને મુક્ત કરવાનો આદેશ કર્યો. રાજાએ બંનેને ખૂબ ધન આપી રવાના કર્યા. ઘરે પરત ફર્યા બાદ સાધુ વૈશ્યએ જીવનભર ઘરમાં સત્ય નારાયણની કથા વાંચવાનો નિયમ બનાવ્યો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ