માણસ જ્યારે જીવનથી નિરાશ થઈ જાય છે ત્યારે તે ઘણા બધા આકરા અને ખોટા નિર્ણયો લેવા પ્રેરાઈ જાય છે. આપણા આજના હીરોની પણ કંઈક આવી જ જીવન કથની છે. તેમણે પણ જીવનના કોઈક તબક્કે જીવન ટુંકાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો જો કે આધ્યાત્મિકના માધ્યમથી તેઓ તે નિરાશામાંથી બહાર આવ્યા અને એક સંત તરીકેનું જીવન પસાર કરવા લાગ્યા. નામ છે શ્રી મધુ પંડિત દાસ. તેઓ હાલ બેંગલુરુમાં એક સંતનું જીવન જીવી રહ્યા છે. તેમજ ત્યાંના ઇસ્કોન મંદિરના કર્તા-ધર્તા છે.
તેમણે અક્ષયપાત્ર ફાઉન્ડેશનનો પાયો નાખ્યો. અક્ષયપાત્ર એક એવી ચળવળ છે જેના માધ્યમથી દેશના 7 રાજ્યોમાં 6500થી પણ વધારે શાળાઓમાં લગભગ 11 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને મફત ભોજન પુરુ પાડવામાં આવે છે.
શ્રી મધુ પંડિત દાસે આઈઆઈટી ઓફ મુંબઈમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડીગ્રી મેળવી છે. જીવનની નિરાશાએ તેમને આધ્યાત્મ તરફ દોર્યા અને તે કૃષ્ણ પર લખેલા પુસ્તકો વાંચવા લાગ્યા અને 1983માં બેંગલોર સ્થિત ઇસ્કોન મંદિરની સંભાળ રાખવામાં મગ્ન થઈ ગયા. આ ઉપરાંત તેઓ ત્રિવેન્દમ મંદિરના અધ્યક્ષની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે.
તેમના જીવનની અતિ મહત્ત્વની ઘટના એવી આ અક્ષયપાત્રની ચળવળની શરૂઆત ત્યારથી થઇ જ્યારે તેમણે એક દૃશ્ય જોયું તેમાં નિઃસહાય બાળકો કૂતરા સાથે રોટલાના એક ટૂકડા માટે ઝપાઝપી કરી રહ્યા. તેમનાથી આ દ્રશ્ય સહન ન થું અને તેમને આવા લાખો ભૂખ્યા બાળકોને રોજ ભોજન પુરુ પાડવાનું બીડું ઝડપ્યું. તેમણે નક્કી કરી લીધું હતું કે હવે તેઓ ઇસ્કોન મંદીરના 12 કીલો મિટરના ઘેરાવામાં રહેતા દરેક ભુખ્યા બાળકને ભોજન પુરુ પાડશે. તેમની આ નાનકડી જીદ્દે આજે એક મોટી ચળવળ શરૂ કરી દીધી છે. શરૂઆત બાળકોને મંદિરના પ્રાંગણમાં જ ભોજન આપવાની થઈ હતી. અને આમ અક્ષયપાત્ર ફાઉન્ડેશનની સ્થાપના કરવામા આવી.
દુનિયામાં ભૂખ્યા ગરીબ લોકોની કોઈ જ કમી નથી. મંદિરમાં નિયમિત પણે ભોજનના સમયે ભોજન આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું. બાળકો ભોજનના સમય પહેલાં જ મંદિરમાં આવવા લાગ્યા. પંડીતજીને લાગ્યું કે બાળકો કાંતો શાળાએ નથી જતા અથવા તો શાળાને અધૂરી મુકીને જ મંદીરમાં ભોજન કરવા આવી જાય છે.
થોડો સમય પસાર થયા બાદ કેટલાક ભલા માણસો પંડીતજીને મળવા આવ્યા તેમાંના એક હતા ઇન્ફોસિસના સીએફઓ મોહનદાસ પાઈ હતા. તેમણે પંડીતજીને સલાહ આપી કે મંદીર આપસાસની શાળાઓમાં જઈને બાળકોને ભોજન આપવામાં આવે જેથી કરીને બાળકોને ભોજન માટે અભ્યાસ છોડી મંદીરે ન આવવું પડે. તરત જ પંડિતજીને આ વિચાર ગમી ગયો અને તેનો અમલ કરવામાં આવ્યો અને હવે બાળકોને શાળામાં જ ભોજન આપવા લાગ્યા.
ધીમે ધીમે પંડીતજી પાસે અન્ય શાળાઓના પ્રિન્સિપાલ તરફથી પણ અરજો આવવા મંડી કે તેમની શાળામાં પણ ભોજન પુરુ પાડવામાં આવે. કારણકે તેમની શાળાના બાળકો માત્ર ભોજન માટે પોતાની શાળા છોડી ત્યાં જમવા આવી જતા હતા.
2000ની સાલમાં ઇન્ફોસીસના ફાઉન્ડર નારાયણ મૂર્તિ અને તેમના પત્ની સુધા મૂર્તિ અને પંડિતજીની આર્થિક સહાય દ્વારા એક અક્ષયપાત્ર સંસ્થાને કાયમી ધોરણે સ્થાપવામાં આવી. અને દેશના સૌ પ્રથમ કેન્દ્રીકૃત અને યાંત્રિક રસોડાની યોજના પંડીતજીનો જ આઇડિયા હતો.
અક્ષયપાત્ર સંસ્થાના રસોડે ભોજન બનાવવા અને તેને શાળાએ પહોંચાડવાની કિંમત માત્ર 5.50 રૂપિયા રાખવામાં આવી. શરૂઆતમાં તો સંસ્થા પોતે જ બધો ખર્ચો ઉઠાવતી હતી. પણ 28 નવેમ્બર 2001માં જ્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા હૂકમ કરવામાં આવ્યો કે સરકારી તેમજ બિનસરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન ફરજિયાત પણે આપવામાં આવે. આ હૂકમથી સરકારે પણ મધ્યાહન ભોજન માટે ગ્રાન્ટ ફાળવવી પડી અને સંસ્થાને આર્થિક મદદ મળવા લાગી.
અક્ષયપાત્રના રસોડાની શરૂઆત માત્ર એક ગેસની સગડી અને ગણ્યા ગાંઠ્યા વાસણોથી થઈ હતી તે આજે પોતાના 18 આધુનિક રસોડાઓ ધરાવે છે અને દેશના સાત રાજ્યોની 6500થી પણ વધારે શાળાઓમાં 11 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓને મફત ભોજન પુરુ પાડે છે. જોકે આ આંકડો માત્ર શાળાના વિદ્યાર્થીઓ પુરતો જ છે તેઓ આ ઉપરાંત પણ અન્ય બાળકોને ભોજન પુરુ પાડે છે.
લાખો બાળકોને મધ્યાહન ભોજન મફતમાં પુરુ પાડવું તે કંઈ નાનીસૂની વાત નથી. પણ એક મોટી જવાબદારી છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશન વિશ્વના બે મોટા પડકારો ભૂખ અને શિક્ષા પર વખાણવા યોગ્ય કામ કરી રહી છે. તે બાળકોને શુદ્ધ પૌષ્ટિક ભોજન આપી શાળાએ નિયમિત આવવાની પ્રેરણા આપે છે. અને તેમાના સર્વાંગી વિકાસમાં પણ રસ લઈ રહી છે.
ભારતમાં મંદીર તરીકેની એક જ છબી છે કરોડો લોકો પાસેથી સેંકડો કરોડોનું દાન લેવું. પણ મધુ પંડિતજીએ મંદીરની આ છવીને બદલવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં સફળ પણ રહ્યા છે. આ તો માત્ર ઇસ્કોન મંદીરનો ફાળો છે તે પણ સાત રાજ્યો પૂરતો જો ભારતના દરેક મંદિર પોતાની પહોંચ પ્રમાણે આ ચળવળમાં પોતાનું યોગદાન આપવાનું શરૂ કરે તો ભારતનું એક બાળક જ નહીં પણ એક વ્યક્તિ પણ ભુખ્યા પેટે ન સુવે.