ઘરમાં વાંદા અને ગરોળીના ત્રાસથી કંટાળ્યા છો? તેની સફાઈની એકદમ સરળ અને હાઇજિનિક રીત જાણી લો…

ઘરની સાફસફાઈ કરવાની વાત આવે ત્યારે સૌથી પહેલાં આપણને ઘરમાં દેખાતાં નાના મોટાં જીવડાં, ઝીણી જીવાત અને વાંદા – ગરોળીની સફાઈનો જ વિચાર આવે છે. આ એવી ચીજ છે જેનાથી ભલભલા લોકો ડરતા હોય છે. રસોડામાં રસોઈ કરતી વખતે કે બાથરૂમમાં નહાવા જાતી વખતે જો વાંદો કે ગરોળી દેખાઈ જાય તો આપણે શુંય મોટું જાનવર જોઈ લીધું હોય એવી ચીસાચીસ કરી મૂકીએ છીએ. આ જીવાત એકમાંથી અનેક ઉત્પન્ન થાય છે અને તેના ઈંડાએ એવી રીતે મૂકી દે છે કે આપણે તેની સરળતાથી સફાઈ પણ નથી કરી શકતાં.

કહેવાય છે કે ઘરમાં જેટલી સચ્છતા રાખશો એટલી લક્ષ્મીજી પ્રસન્ન થશે. એવું એટલા માટે પણ કહેવાય છે કે જો આપણે સ્વચ્છ ઘર રાખીશું તો આપણું સ્વાસ્થ્ય સારું રહેશે અને આપણે યોગ્ય ક્ષમતા મુજબ કાર્ય કરી શકીશું. વાંદા અને ગરોળી એ બીમારી ફેલાવવાનું સૌથી મહત્વનું કારણ હોઈ શકે છે. જ્યાં તેનો ઉપદ્રવ વધારે હોય ત્યાં રોગચાળો પણ વધી જઈ શકે છે. આથી ઘણીવાર ઘરની સફાઇ કરવા છતાં, કોકરોચ અને ગરોળી એવાં જંતુ છે જેનો ઘરમાંથી આપણે સંપૂર્ણપણે નિકાલ કરી શકતાં નથી. એ યેનકેન પ્રકારે ઘરમાં પહોંચી જ આવે છે.

વંદો અને ગરોળીને જોઈને કોઈને તો એટલો ડર લાગતો હોય છે, તો કોઈને તો તેને જોઈને ઉલ્ટી થવા લાગે છે આ જીવાત એવી છે કે તેને કોઈને જોવાનું પસંદ નથી. બજારમાં એવા ઘણા ઉત્પાદનો છે કે જેનાથી વંદો અને ગરોળીથી છૂટકારો મેળવી શકાય છે, પરંતુ આ મોંઘા ઉત્પાદનો ખરીદવી એ દરેકને પોસાય તેવી વાત નથી હોતી, વળી આ દવાઓ ઝેરી હોય છે તેથી તેનો ઘરમાં વધુ પડતો ઉપયોગ કરવો પણ સલાહભર્યો નથી હોતો એમના માટે જેમના ઘરમાં નાના બાળકો હોય છે.

આ સિવાય વાંદા અને ગરોળીને ઘરમાંથી દૂર કરવા માટે એક ખાસ પ્રકારનું ઇલેક્ટ્રોનિક મશીન પણ આવે છે જે તિવ્ર એવો અવાજ કરે છે જે આપણને મનુષ્યોને નથી સંભળાતો હોતો પણ પ્રાણીઓ અને જીવાતો તેનાથી દૂર ભાગે છે. તે કેટલો ઉપયોગી છે તેની કોઈ પણ સાચી સમજ આપણે જાણી નથી શકતાં વળી તે મોંઘા પણ પડે છે. તેથી આજે અમે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીશું, જે અપનાવીને તમે તમારા ઘરમાંથી કોકરોચ અને ગરોળીથી સરળતાથી છૂટકારો મેળવી શકો. આ ઘરેલુ ઉપાયો સસ્તા પણ છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેઓ સુરક્ષિત પણ છે. સાથે તે દરેક પ્રકારના જંતુઓ અને જીવાણુંઓને પણ તમારા ઘરમાંથી દૂર રાખવામાં સક્ષમ હશે.
લસણનો ઉપયોગ કરો

લસણની ગંધ એકદમ તિવ્ર હોય છે, તેથી એવું માનવામાં આવે છે તેની દૂર્ગંધથી ગરોળીઓ ઘરમાંથી ભાગી જાય છે. ઘરમાંથી ગરોળી દૂર રાખવા માટે, આ ઉપાય અજમાવી જોવા જેવો છે, જેમાં તમારા ઘરની દિવાલના ખૂણાઓમાં લસણની કળીઓને લટકાવી રાખી શકો છો અથવા તો ઘરના ખૂણાઓમાં લસણના રસનો છંટકાવ કરી શકો છો.
કોફી વડે ફસાવો જીવાતોને

કોક્રોચ એવી જીવાત છે, જે પોતાની પાછળ ઈંડા મૂકી જાય છે તેથી એકને માર્યા બાદ પણ તેની વસ્તી ઓછી નથી જ થતી. એકાદ મહિનામાં ફરીથી તેનો ત્રાસ પેદા થઈ જાય છે. કોફી એવો પદાર્થ છે જેના વડે જીવાત આકર્ષાય છે પરંતુ તેનાથી તે ગૂંગળાઈને જીવ ગુમાવે છે. કોફી અને તમાકુની નાની ગોળીઓનો ઉપયોગ કરો. કોફી અને તમાકુના પાવડરમાંથી થોડી નાની ગોળીઓ બનાવો અને તેને બાકસની સળીઓ અથવા ટૂથપીક પર લગાવી દો. આ સળીઓને તમે વિવિધ જગ્યાઓએ જેમ કે છાજલીઓ પર અથવા એવી જગ્યાએ મૂકો જ્યાં ગરોળીઓ ઘણીવાર દેખાય છે. આ મિશ્રણ તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે, કારણ કે તેની દૂર્ગંધ તેમને માટે અસહ્ય બનતી હોય છે. તેથી બની શકે કે થોડા સમય બાદ તમારે તેમના મૃતદેહોને ફેંકીને સફાઈ કરવી પડે.
ખાંડ અને બેકિંગ સોડાનો ઉપયોગ

આ એકદમ સરળ અને સસ્તો ઉપાય છે. એ સિવાય તે સેઈફ પણ એટલો છે. બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે વંદા અને ગરોળી જેવી જીવાતથી છૂટકારો મેળવી શકશો. આમાં એક બાઉલમાં જેટલું બેકિંગ સોડા લેશો એનાથી ચોથા ભાગની ખાંડનો ભૂકો લેવો. આને એકસાથે મિશ્રણ કરીને જે જે જગ્યાએ તમે વારંવાર વાંદા અને ગરોળી સહિત અન્ય જીવાત જોતાં હશો એ જગ્યાએ છાંટવો. આવું તમે જરૂર પડે ત્યારે કરી શકો છો. એવું નથી કે ખાંડમાં કોઈ ઝેરીલો પદાર્થ હોય છે, પરંતુ ખાંડને તો જીવાતોને આકર્ષિત કરવા માટે વાપરવામાં આવે છે. બેકિંગ સોડાથી આ જીવાતો ગૂંગળાઈને ઘરમાંથી દૂર જતા રહે છે.
બોરિક એસિડ

બજારમાં મળતું બોરિક એસિડનું સોલ્યુશન એ એકદમ અકસીર ઉપાય છે. આ એક પ્રકારનો ઝેરીલો જ પદાર્થ હોય છે પરંતુ તેનાથી માત્ર વાંદા કે ગરોળી જ નહીં પરંતુ દરેક પ્રકારના કિટકો, કીડીઓ, મંકોડાઓ અને અન્ય જીવાણુઓ તેનાથી નાશ પામે છે. આનો એક મુખ્ય ઉપયોગ એજ છે કે તેના પાઉડર ઉપરથી જીવાણુંઓ પસાર થઈ શકે એ રીતે તેનો છંટકાવ કરવો જોઈએ. આ પાઉડર ઝેરી હોવાથી બાળકોના હાથમાં ન જાય એ રીતે રાખવો પડે છે અને ધ્યાન રહે કે આ મોંમાં ન જવો જોઈએ.
ઇંડાની છાલનો ઉપયોગ કરો

એવું માનવામાં આવે છે કે ઇંડાના શેલની ગંધથી ગરોળી ભાગી જાય છે. પરંતુ જેઓ ઘરમાં ખાતા હોય ઇંડા એઓ જ આ પ્રયોગ કરી શકે છે. તેમાં ઘરના દરવાજા અને બારીઓના ખૂણાઓમાં એવા કેટલાક સ્થળોએ ઇંડાની છાલ રાખી દેવામાં આવે છે જેને કારણે ગરોળી ઘરમાં પ્રવેશ કરતી નથી.
ડુંગળીનો ઉપયોગ કરો

જે રીતે લસણનો ઉપયોગ કર્યો એ જ રીતે ડુંગળીની ગંધ પણ ગરોળી અને વાંદાઓને ગમતી નથી હોતી. તેથી તેને ઘરથી દૂર રાખવા માટે ડુંગળીનો રસ એ જગ્યાઓએ છાંટવો જોઈએ જ્યાં તમે તેને વારંવાર ઉપદ્રવ જોતાં હોવ..
નેપ્થાલિન બોલમાં વાપરો

ગરોળી અને વાંદાઓના ત્રાસથી છૂટકારો મેળવવા માટે નેપ્થેલીન બોલનો ઉપયોગ કરવો પણ ખૂબ અસરકારક છે. તમે તેને તમારા રસોડાની છાજલીઓ, કબાટના ખાનાઓ અને સોફા તેમજ ફ્રિજની ચીચે જેવી વિવિધ જગ્યાઓએ રાખી દઈ શકો છો જેથી ગરોળી ત્યાં પહોંચી ન શકે. માર્કેટમાં ફિનાઈલ સહિત બીજાં ઘણા ઉત્પાદનો મળે છે, જેના વડે તમે ઘરની સાફસફાઈની કાળજી લેશો તો ઘણાં જીવજંતુઓ તમારા ઘરથી દૂર રાખી શકશો.
લીંબુની છાલ અથવા લીંબુનો રસ

લીંબુની છાલની એકદમ તાજી ગંધ હંમેશાં સ્વચ્છ ઘરની નિશાની સંકળાયેલી હોય છે, અને લીંબુનો ઉપયોગ સંભવત સૌથી વધુ લોકપ્રિય ઘરેલુ સાફસફાઈમાં થાય છે. લીંબુનો રસ એક શક્તિશાળી ક્લિનિંગ એજન્ટ છે જે ગ્રીસ અને તેલવાળા ચિકાસવાળા ડાઘોને કાઢવા માટે સક્ષમ છે તે વાતથી કોઈ ઇનકાર કરી શકશે નહી, પરંતુ ઘણા લોકોને તે નથી ખબર કે તે જીવાણુંઓને પણ દૂર કરી શકે છે. લીંબુના વિરોધી પેથોજેનિક ગુણધર્મો, અને અન્ય સાઇટ્રસ ખોરાક , જીવાતોને દૂર રાખે છે. તમારા ઘરની બહાર કોક્રોચ અને ગરોળીને રાખવા માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. આ એક સેઈફ ઉપાય છે અને તેનાથી ઘરમાં ગંધ પણ નહીં આવે.

એક સાફ કપડું લો અને તેને લીંબું અને પાણીના દ્રાવણમાં બોળીને એવા સ્થાનો ઉપર પોતું કરીને સાફ કરો જ્યાં તમને ગરોળી અને વાંદા દેખાવાની શક્યતા હોય. વધુ એક ઉપાય પ્રમાણે એક સ્પ્રે બોટલમાં તાજા નિચોવેલ લીંબુંમાં પાણી મિક્સ કરેલ લિક્વિડ ભરીને સ્પ્રે કરી દેવું જોઈએ. લીંબુની નિચોવેલી છાલને નકામી માનીને ફેંકી ન દેવી, તેન ઘરના દરવાજા અને બારીઓના ખૂણામાં રાખી દઈ શકાય છે. તેનાથી સ્મેલ પણ સારી આવશે અને જીવાત પણ નહીં આવે.
તમાલપત્રના પાન

તમને જાણીને નવાઈ લાગશે કે વાંદા અને ગરોળી જેવાં જીવાતોને તમાલપત્રની સુવાસ પસંદ નથી હોતી. અને બીજી તરફ સારી બાબત એ છે કે લોકો માટે તમાલપત્ર એક ખાદ્ય પદાર્થ છે જે રસોઈમાં વારંવાર વપરાય છે અને સહેલાઈથી મળી જતું હોય છે. તમાલપત્રને એવા સ્થાનોએ રાખી મૂકવા જોઈએ જ્યાં તમને આ જીવાતો આવતી દેખાતી હોય. તે તમારા ઘરમાંથી તેની સુવાસથી જ ગૂંગળાઈને બહાર નીકળી જશે અને તમને જીવાતને મારવાની કે તેના મર્યા બાદ સાફસફાઈ કરવાની જરૂર નહીં પડે.
ગરોળી કે વંદા શા કારણે વારંવાર ઘરમાં આવે છે? જાણો

આપણાં ઘરમાં જો અવારનવાર સફાઈ થતી રહેતી હોય તેમ છતાં ગરોળી, વાંદા અને અન્ય જીવાતો રહેતી હોય છે, તેનાથી સરળતાથી છૂટકારો નથી મળતો તેની પાછળ કેટલાંક ખાસ કારણો હોય છે. જાણો આ કારણો શું છે.

ખોરાકઃ જીવાતો બચેલો રાંધેલો ખોરાક ખાવા આપણાં ઘરમાં આવે છે. રાતના સમયે તેમનો ઉપદ્રવ વધી જતો હોય છે. તેથી ખોરાક બહાર ન રાખવો અથવા તો ઢાંકીને રાખવો અને ગેસ તેમજ પ્લેટફોર્મ રાતે સાફ કરીને જ સૂવાની ટેવ પાડો.
ભેજવાળી દિવાલો

તમારું મકાન જૂનું થયું હોય કે પછી તેમાં ભેજ લાગેલો હોય તો જીવાતોને તમારા ઘરમાં ઠંડક મળી રહે છે. તેથી તેઓ આવા ઘરમાં વધુ જોવા મળે છે જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય.
સફાઈની અનિયમિતતા

જે ઘરમાં ખૂબ સામાનનો અપરિગ્રહ હોય અને સાફ સફાઈ અનિયમિત થતી હોય ત્યાં વાંદા અને ગરોળીઓ વધારે જોવા મળે છે. તેમને માટે ભય સ્થાન નથી રહેતું હોતું કે અહીં કોઈ વારંવાર સાફસફાઈ કરતું નથી. ઘરમાં સ્વચ્છતા જાળવવા એકાંતરે કબાટ, બારી – બારણાં અને કોર્નરમાં સાફ કરતાં રહેશો તો વાંદા કે ગરોળી આવવાની શક્યતા ઘટશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ