થોડા દિવસ પહેલાંની જ વાત છે કે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી અને લોકો બળીને ભડથું થઈ ગયા હતા. ત્યારે તેના થોડા દિવસ બાદ જ સોશિયલ મીડિયામાં પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં અગ્નિકાંડના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે પહેલાં જ રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનના સીન બતાવવામાં આવ્યા છે. જેમાં અગ્નિકાંડના ત્રણેય આરોપી ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. વિશાલ મોઢા અને ડૉ. તેજસ કરમટા પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફ રૂમમાં રાખવામાં આવેલા સોફામાં આરામ ફરમાવી રહ્યા છે. સાથે જ આરોપીઓ પાસે રાખવામાં આવેલા ટેબલ પર મિનરલ વોટરની બોટલો તેમજ ફ્રૂટ પડ્યાં હોવાનું જોઈ શકાતું હતું. ત્યારે હવે બીજી એક વિપરીત માહિતી સામે આવી રહી છે અને જેમાં પરિવારનો વલોપાત જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર કેસ મામલે પરિવારજનોએ તબીબોની ઝાટકણી કાઢી જણાવ્યું હતું કે ડો. પ્રકાશ મોઢા સહિતના તબીબો આ હોસ્પિટલના સંચાલકો હતા અને તેમની બેદરકારીને કારણે અમારાં સ્વજનોએ જીવ ગુમાવવા પડ્યા છે. તબીબો પર ફરિયાદ થઈ અને ધરપકડ પણ થઈ હતી, પરંતુ હવે તેઓ છૂટથી ફરી રહ્યા છે, પોલીસ સ્ટેશનમાં સુવિધાઓ પૂરી પાડી દેવાઈ હતી.
અકસ્માત કહીને જવાબદારીમાંથી છટકી જતાં ડોક્ટરો વિશે વાત કરતાં કેશુભાઈ અકબરીના પુત્ર વિવેક જણાવે છે કે ‘અમે અમારા ઘરનું મોભી અને સ્વજન ગુમાવ્યું છે, જેનું ખૂબ દુ:ખ છે. આ મોત પાછળ જે જવાબદાર છે તેવા તબીબોને જોતાં રોષ પણ એટલો જ આવે છે. જેને સોંપ્યા હતા તેની બેદરકારીને કારણે હવે અમારી વચ્ચે પિતા નથી. કાર્યવાહી માત્ર નામ પૂરતી થઈ અને એમાં પણ તબીબોને આરામથી સુખસુવિધાઓ સાથે રાખવામાં આવતાં અમારી અંદર જે બળતરા છે એની આગમાં ઘી હોમવાનું કામ થયું છે.
આગળ વાત કરતાં વિવેકે કહ્યું કે- હવે તો મને એમ જ લાગે છે કે આ ડોક્ટરો બધી રીતે પૂરા છે, નીચેથી ઉપર સુધી બધે લાગવગ છે, એટલે ક્યાંક ને ક્યાંક લાભ લઈ નીકળી જશે અને અમને હવે ન્યાય નહીં મળે. અમારે તો ફક્ત હવે જીવ જ બાળવાનો. એ જ રીતે નીતિનભાઈ બદાણીના પુત્ર અંકિત જણાવે છે કે ‘મેં પિતા ગુમાવ્યા છે, અમારું છત્ર ગયું છે એનું દુ:ખ સહન જ નથી થતું. હું 24 કલાકમાં માંડ દોઢ કલાક સૂઈ શકું છું. આંખોમાં આંસુ સુકાતાં નથી. તેવામાં જાણવા મળ્યું કે મારા પિતાના મોત માટે જે જવાબદાર છે તેમને પોલીસ સ્ટેશનમાં પણ આરામથી સૂવા માટે ગાદલાં અપાયાં છે.
અંકિત દુખની લાગણી સાથે વાત કરે છે કે જો કોઇ સામાન્ય વ્યક્તિ હોય તો તેમને આવી સુખસુવિધા મળે? ન જ મળે. મારા સ્વજન ગયા છે એટલે જ નહિ, પણ કોઇને પણ સ્વજન ગુમાવવા પડે એ સ્થિતિ વિકટ હોય છે તેથી તે પરિવારને ન્યાય મળવો જોઇએ અને જવાબદારોને સજા આપવી જોઈએ. તબીબો એમ કહે છે કે અમારી પાસે બધાં સાધનો હતાં, આ તો અકસ્માત છે. ત્યારે એ બેદરકાર તબીબોને એટલું કહેવાનું થાય છે કે તમે કોઇ ચેરિટી કરતા ન હતા. પુરેપુરા પૈસા લીધા છે. કોઇ મફતમાં સારવાર કરે અને ખામીવાળા મશીન હોય તો સમજ્યા, તમને ક્યાં ઓછું આપ્યું છે?
કાર્યવાહીની વાત કરવામાં આવે તો ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસે રવિવારે ત્રણ નામાંકિત તબીબોની ધરપકડ કરી હતી. જે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને જામીન પર મુક્ત કર્યાં હતા. આ કેસમાં પોલીસે આજે સવારે 9:45 વાગ્યાની આસપાસ વધુ બે આરોપીઓ ડૉ. તેજસ મોતિવારસ તેમજ ડૉ. દિગ્વિજયસિંહ જાડેજાની ધરપકડ કરી છે. હવે આ બંને આરોપીઓને રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અત્યારસુધી રાજકોટ સર્જાયેલ અગ્નિકાંડ મામલે પોલીસે કુલ પાંચ ડૉક્ટરની ધરપકડ કરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ