જલ્સા કરોને જેંતીલાલ

પુટપર્થી : આધ્યાત્મિકતાની સાથે પ્રવાસનનો સમન્વય…

દેશના દક્ષિણ ભાગમાં આવેલા રાજ્ય આંધ પ્રદેશના અનંતપુર જિલ્લામાં પુટપર્થી આવેલું છે. જે આજે સાંઈબાબાના અવતાર ગણાતા ‘સત્ય સાંઈબાબા’ના લીધે વિશ્વભરમાં પ્રખ્યાતિ પામ્યું છે. પુટપર્થીનું મુખ્ય આકર્ષણ સત્ય સાંઈબાબાનો આશ્રમ ‘પ્રશાંતિ નિર્લયમ’ છે. જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશમાંથી ભાવિકો બાબાના દર્શન માટે આવે છે. જેને લીધે નાનકડું ગામ પુટપર્થી આજે શહેર બની ગયું છે. આ ઉપરાંત પર્વતીય અને કુદરતી સૌંદર્યથી આચ્છાદિત વિસ્તારની વચ્ચે આવેલું ચૈતન્ય જ્યોતિ મ્યુઝિયમ, હિલવ્યૂ સ્ટેડિયમ, મ્યુઝિક હાઉસ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને યુનિવર્સિટી આધ્યાત્મિકતાની સાથે પ્રવાસનનો પણ આનંદ આપે છે. જો તમે પુટપર્થી જવાના હોવ તો એક વાર આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતાં નહીં. તો ચાલો જાણીએ અહીં ક્યાં સ્થળો જોવા જેવા છે.

‘પ્રશાંતિ નિર્લયમ’


વિશાળ પ્રશાંતિ નિર્લયમ આશ્રમ એક આકર્ષણના કેન્દ્ર સમું સ્થળ છે. જે આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં પૂર્ણચંદ્રા ઑડિટોરિયમ અને સાંઈ કુલવંત એમ બે વિશાળ હૉલ છે. જેમાં ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ શ્રદ્ધાળુઓ એક સાથે બેસી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સત્ય સાંઈ બાબા હયાત હતા ત્યારે તેઓ રોજ તેમના ભક્તોને અહીં દર્શન આપવા આવતા હતા. હવે આ સ્થાને તેમની સમાધિ બનાવવામાં આવી છે જ્યાં ભક્તો તેમની સમાધિના દર્શન કરી શકે છે. હૉલની ઇન્ટિરિયર ડિઝાઇન તેમજ મોટા મોટા અસંખ્ય ઝૂમમરો અને લાઈટ તમારી આંખોને આંજી જશે. હૉલ ઉપરાંત આશ્રમમાં કેન્ટીનો છે જેમાં રોજ હજારો ભક્તોને અત્યંત રાહતના દરે સવાર સાંજ ચા નાસ્તો અને ભોજન આપવામાં આવે છે. આ વિશાળ આશ્રમમાં ભગવાનના મંદિરો, મેડીટેશન ઝાડ, લાઈબ્રેરી, મૉલ, આઈસ્ક્રીમ પાર્લર, બેકરી, ગાર્ડન, રેડિયો રૂમ ઉપરાંત ઘણું બધું છે. આ આશ્રમમાં રહેવાની સગવડ પણ છે. આશ્રમમાં અનેક મકાનો બાબાના દર્શનાર્થીઓને રહેવા માટે બનાવવામાં આવ્યા છે. જેમાં ૧૦૦૦થી વધુ રૂમો છે. અહીં શિસ્તતા, શાંતિ અને સ્વચ્છતા એમ ત્રણ નિયમોનું સખ્ત રીતે પાલન કરવામાં આવતું હોવાથી વિદેશીઓને પણ અહીં રહેવાનું ગમે છે. આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકર સહિત અનેક મહાનુભાવો અહીં આવી ચૂક્યા છે.

‘ચૈતન્ય જ્યોતિ’


કુદરતી સૌંદર્ય ધરાવતાં વિસ્તારમાં ટેકરીના ઢોળાવ પર આશરે ૧૫ વર્ષ અગાઉ બાંધવામાં આવેલા ચૈતન્ય જ્યોતિ મ્યુઝિયમને જોવાનો લહાવો ચૂકવા જેવો નથી. સત્ય સાંઈ બાબાના જીવનના અત્યાર સુધીના તમામ મહત્વના પાસાં અને પ્રસંગોને અહીં સચિત્ર અંકિત કરવામાં આવ્યા છે. મ્યુઝિયમમાં વીડિયો પ્રેઝન્ટેશન, ઓડિયો રેકડીગ, પ્રભાવશાળી મૂર્તિઓ અને સ્ટેચ્યૂ, આકર્ષક સજાવટ, દક્ષિણ ભારતની કલાકૃતિઓ અને લાઈટીંગ મનમોહક છે.

સામાન્ય મ્યુઝિયમથી અલગ તરી આવતા આ મ્યુઝિયમના બાહ્ય ભાગને ચીનની સાંસ્કૃતિક શૈલીથી બનાવવામાં આવી છે. જે તમને પૂર્વીય દેશોની સંસ્કૃતિની ઝાંખી કરાવશે. આ મ્યુઝિયમને જોવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી.

સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ : જ્યાં મોટા ઓપરેશન વિના મૂલ્યે થાય છે


વિશ્વભરમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી હોસ્પિટલ છે જ્યાં મોટી મોટી સર્જરી, યૂરોલોજી, આંખ, મગજ અને હૃદયના ઓપરેશન અહીં ટોચના ડોક્ટર અને મેડીકલ પ્રોફેશનલોની ટીમ દ્વારા વિના મૂલ્યે કરવામાં આવે છે. જાતિ, ધર્મ, ગરીબ, શ્રીમંતના ભેદભાવ વિના અહીં છેલ્લા ૨૫ વર્ષ કરતાં પણ વધુ સમયથી અહીં દર્દીઓને વિના મૂલ્યે મેડીકલ સેવા પૂરી પાડવામાં આવે છે. શ્રી સત્ય સાંઈ હોસ્પિટલ પ્રશાંતિ નિર્લયમથી પાંચ કિ.મી.ના અંતરે આવેલી છે. જેની સ્થાપના સત્ય સાંઈ બાબાએ કરી હતી. જ્યાં માત્ર ભારત ભરમાંથી જ નહીં પરંતુ વિદેશોમાંથી પણ દર્દીઓ અહીં મોટા મોટા ઓપરેશન કરાવવા માટે આવતા હોય છે.


શ્રી સત્ય સાંઈ યુનિવર્સિટી

અહીં આવેલી આ યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા એ++ રેટીંગ આપવામાં આવ્યું છે. જે અત્યાર સુધીમાં જૂજ જ કહી એટલી યુનિવર્સિટીને મળ્યું છે. અહીં બાલવાડીથી લઈને પ્રોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ નિઃશુલ્ક આપવામાં આવે છે.

શાળા અને કોલેજની ઇમારતો દક્ષિણ ભારતીય શૈલીથી બનાવવામાં આવી છે. ઇમારતોની બહારની કોતરણી, મૂર્તિ, નકશીકામ, રંગકામ કોઈ રાજાના મહેલને પણ શરમાવે તેવું છે. અહીં તમામ વિદ્યાર્થીઓને શિસ્તતાના પાઠ ભણાવવાની સાથે રમતગમત, યોગા, સંગીત સહિતની પ્રવૃત્તિની સાથે પણ સાંકળવામાં આવે છે.


હિલવ્યુ સ્ટેડિયમ

ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ સ્ટેડિયમ નાનું ગણાવે તેવું હિલવ્યુ સ્ટેડિયમ ટેકરી પર જ બનાવવામાં આવ્યું છે. જેમાં ૩૦,૦૦૦થી અધિક પ્રેક્ષકો બેસી શકે તેટલી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સ્ટેડિયમનું મુખ્ય આકર્ષણ અહીં ચારે તરફ ઊભી કરવામાં આવેલી દરેક ધર્મના ભગવાનની વિરાટ મૂર્તિઓ છે. હિલની ટોચે હનુમાનજીની ૬૫ ફૂટની ઊંચી મૂર્તિ બનાવવામાં આવી છે જે ઘણે દૂરથી પણ દેખાઈ આવે છે.

પ્લેનેટોરીયમ

ખગોળીય ક્ષેત્રે રુચિ ધરાવનાર લોકોને આ પ્લેનેટોરીયમ ઘણું જ ગમશે. ‘સ્પિરિટસ્પેશ સિસ્ટમસ-૫૧૨’ ની મદદથી બનાવટી આકાશ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં આકાશ ગંગા અને સૌર મન્ડલ વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવે છે. ૨૦૦ જની ક્ષમતા ધરાવતા આ થિયેટર અને પ્લેનેટોરીયમમાં હિન્દી અને અંગ્રેજીમાં શૉ બતાવવામાં આવે છે.

કેવી રીતે જશો ?


મુંબઈથી ઉપડતી અને બેંગ્લોર તરફ જતી ટ્રેનમાં બેસીને એસ.એસ.પી.એન.(સત્ય સાંઈ પ્રશાંતિ નિર્લયમ) સ્ટેશન પર ઉતરવાનું રહેશે. જ્યાંથી આશ્રમ આઠ કિલોમીટરના અંતરે છે સ્ટેશનથી તમને રીક્ષા અને ટેક્સી મળી રહેશે. આ ઉપરાંત તમે ધર્માવરમ સ્ટેશન પર ઉતરીને બસ મારફતે પણ પહોંચી શકો છે. આશ્રમની નજીક એરપોર્ટ પણ ખડું કરવામાં આવ્યું છે. જે મુખ્ય શહેરની સાથે જોડાયેલું છે જ્યાંથી સપ્તાહમાં બે વખત ફ્લાઇટ આવે છે.

ક્યારે જશો ?

પુટપર્થી દક્ષિણમાં આવેલું હોવાથી ઉનાળામાં અહીંનું વાતાવરણ ગરમ હોય છે. શિયાળામાં અહીંનું વાતાવરણ આહલાદક હોય છે. નાતાલના વેકેશનમાં અહીં વિદેશીઓ પુષ્કળ સંખ્યામાં આવતાં હોવાથી ભારે ભીડ રહેતી હોય છે.

સત્ય સાંઈ બાબા વિશે

ઇ.સ. ૧૯૨૬માં આંધપ્રદેશના પુટપર્થી ગામમાં જન્મેલા સત્ય સાંઈ બાબાનું સાચું નામ સત્યનારાયણ રાજુ હતું. બાળપણમાં જ તેમને વેદો, ગ્રંથો અને પુરાણો વિશે ઊંડું જ્ઞાન હતું. ભક્તો તેમને શિરડીના સાંઈ બાબાનો અવતાર ગણતા. તેઓ તેમના શરીરના અંગોમાંથી વિભૂતિ, મૂર્તિ અને વિવિધ વસ્તુઓ બહાર કાઢતા હતા. તેમના ભક્તોની સંખ્યા આજે લાખોની છે જે ભારત ઉપરાંત ૧૨૫થી અધિક દેશોમાં ફેલાયેલા છે. બાબા અને તેમની સંસ્થાએ નિઃશુલ્ક અને રાહતના દરે સેવા આપતી અનેક હોસ્પિટલ, ઘરો, શાળા, કોલેજો, રમતગમતના મેદાનો બનાવ્યા છે.

લેખક : દર્શિની વશી

Exit mobile version