જલ્સા કરોને જેંતીલાલ

પ્રેમાલાપ નહીં અમે મિત્રતાને પસંદ કરીએ છીએ. આલિયા ભટ્ટે કર્યો ઘટસ્ફોટ…

છેલ્લા કેટલાય સમયથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચેના કૂમળા સંબંધો જુદા – જુદા સ્વરૂપે આપણી સામે આવી રહ્યા છે. એક વખત સમાચાર એવા હતા કે અમેરિકામાં ટ્રીટમેન્ટ લઈ રહેલા પિતા ૠષિ કપૂર સાજા થઈ જશે પછી તેઓ પોતાના સંબંધ પર સિક્કો લગાવી દેશે. આલિયા તેમને મળવા યુ.એસ પણ ગઈ હતી તેવા સમાચાર પણ આવ્યા હતા. તેને એક વર્ષથી વધુ સમય થવા આવ્યો છે. પરંતુ એમના સંબંધને હજુ સુધી પાકાપાયે કોઈ મહોર લાગી નથી.


‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’માં આલિયાને લોંન્ચ કરનારા કરન જોહરને આલિયા ખૂબ માને છે. તેમણે પણ હવે સંબંધ પ્રત્યે સિરિયસ થવાની સલાહ આપી દીધી હતી. સોશિયલ મીડિયામાં તેમના અનેક અફવા ભરેલા સમાચારો દર બે ત્રણ દિવસે આવી રહ્યા છે ત્યારે આલિયાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

આલિયાએ નિખાલસતાથી કહ્યું કે હાલ અમે બંને ખૂબ જ નજીકના મિત્રો છીએ અને પ્રેમ સંબંધ કરતાં પણ મિત્રતા સૌથી સારી ફિલિંગ્સ કહેવાય. તેણે કહ્યું હું રણબીરને મિત્ર તરીકે જ જોવું છું. અને આ હું ખૂબ ઈમાનદારી રાખીને કહી રહી છું. તેણે કહ્યું અમે બંને સ્વતંત્ર રીતે હરીએ – ફરીએ છીએ અને અમે કોઈને એકબીજા પર બોજારૂપ નથી. એજ અમારા સંબંધની ખૂબસૂરતી છે.

તેણે વધુમાં કહ્યું કે હાલ હું વાદળો પર ઉડતી હોઉં તેવું લાગે છે. પણ ક્યારેક સાવ ખાલી ખાલી અનુભવ થાય છે. જોરથી રડી લેવાની પણ ઇચ્છા થાય છે. પોતાના ડિપ્રેશન ડિસઓર્ડર વિશે આટલી સહજતાથી આલિયાએ જણાવ્યું હતું.

આલિયાના જન્મદિવસે રણબીરે તેને કેક સાથે હોલીડે ગીફ્ટ પણ આપી હતી. મિત્રો અને પરિવાર સાથે બર્થ ડે સેલિબ્રેશન કર્યું હતું. અલગ – અલગ એવોર્ડ ફંકશનમાં તેઓ સાથે આવે જાય પણ છે. રણબીર પ્રેસ કેમેરા સામે મીડિયા ફંકશનમાં તેને કીસ કરવામાં પણ અચકાતો નથી. ભલે આલિયા આ લાગણીને પ્રેમ કહે પરંતુ હજુ સુધી રણબીરે મૌન સેવ્યું છે. તે શું વિચારે છે એ તો ભવિષ્યમાં જ જાણ થાશે. ત્યાં સુધી પ્યાર દોસ્તી હૈ… એવો ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મનો બે દાયકા જૂનો મંત્રા આજની પેઢી પણ જપે છે એ જાણીને નવાઈ લાગે તેવું છે.

આલિયા તેના મનોવલણોના ઉતાર – ચડાવમાંથી જલ્દી જ પોતાની જાતને સંભાળી લે, તેમના સંબંધોને એક સુંદર સ્વરૂપ મળે અને આગામી મલ્ર્ટ્ટી સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર સુપર હિટ જાય તેવા ત્રણ મનોરથો પૂરા થાય એવી શુભેચ્છાઓ આપી દઈએ…

Exit mobile version