નવપરિણિત ડૉક્ટર દંપત્તિ ખભાથી ખભો મીલાવીને કોરોના સામે લડી રહ્યું છે – વાંચો તેમની પ્રેરણાત્મક હકિકત
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી યથાવત છે જો કે કેટલાક રાષ્ટ્રોએ કોરોનાથી સંપૂર્ણ પણે મુક્તિ મેળવી લીધી છે પણ યુ.એસ.એ તેમજ ભારતની સ્થિતિ ઓર વધારે કથળી રહી છે. અને દિવસે દિવસે કોરોના સંક્રમીતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અને તેની સામે કોરોના વોરિયર્સ પણ બમણા જોરે લડી રહ્યા છે તે પણ પોતાને સંક્રમણના જોખમ વચ્ચે મુકીને. આ દરમિયાન કેટલાક કોરોના વોરિયર્સના સંક્રમીત થવાથી મૃત્યુ પણ નિપજ્યા છે. તેમ છતાં તેઓ હિંમત કેળવીને એક યોદ્ધા તરીકે લડત કરી રહ્યા છે.
આજે અમે તમને એક એવા નવદંપત્તિની વાત કરીશું જેઓ બન્ને ડોક્ટર છે અને બન્ને એક સાથે કોરોના પેશન્ટની સારવાર કરી રહ્યા છે. કોઈ પણ નવપરિણિતની જેમ તેમણે પણ એકબીજા સાથે ક્વોલીટી ટાઇમ સ્પેન્ટ કરવાની, હનીમૂન માણવાની એક બીજાને સારી રીતે ઓળખવા માટે તેમણે પણ કંઈ કેટલુંએ પ્લાનિંગ કર્યું હશે. પણ હાલ જે સંજોગો ચાલી રહ્યા છે તેણે તો તેમની યોજના જ ફેરવી નાખી. અને આ જોડીએ હોસ્પિટલમાં ફરજ બજાવવાનો વારો આવ્યો છે. આ ડોક્ટર દંપત્તિ દીલ્લીની લોકનાયક જય પ્રકાશ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. સરસ મજાના વસ્ત્રો પહેરીને ગોવા કે શિમલા કે પછી કોઈ વિદેશી ડેસ્ટિનેશનમાં હાથમાં હાથ પરોવીને મહાલવાની જગ્યાએ આ કપલ પીપીઈ કીટ પહેરીને લોકોની સેવામાં જોતરાઈ ગયું છે.
હનિમૂન કે પછી એકબીજા સાથે ભવિષ્યના સ્વપ્ન જોવાની તે મહેચ્છાને તેમણે બાજુ પર ધકેલીને કોરોના પેશન્ટને બચાવવાનું બીડું ઝડપ્યું છે. જો કે આ બધી જ અડચણરૂપ સ્થિતિથી તેમના સંબંધમાં ઓર વધારે દ્રઢતા અને ઘનિષ્ટતા આવી છે. પતિનું નામ છે ડો. ઇશાન રોહતગી અને પત્નીનું નામ છે ડો. રશ્મિ મિશ્રા. તેઓ એકબીજાને સાથ આપતા આપતા પોતાની ફરજ બજાવી રહ્યા છે. જ્યારે ભારતમાં કોરોનાની મહામારી નહોતી ફેલાઈ તે વખતે તે બન્ને દીલ્લીની એલએનજેપી હોસ્પિટલમાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને માટે તેમને કોવિડ 19ની ફરજ પર લગાવવામાં આવ્યા.
જો કે તેમના તે સમયે તાજા જ લગ્ન થયા હતા અને તેમનો વિચાર ફરજમાંથી વિશ્રામ લઈને પ્રવાસ પર જવાનું હતો પણ કોરોનાની મહામારીએ તેમની આખીએ યોજના પર પાણી ફેરવી દીધું. તમને જણાવી દઈએ કે દીલ્લીની એલએનજેપી હોસ્પિટલ ભારતની સૌથી મોટિ કોવિડ-19 હોસ્પિટલ છે. આ યુગલ સતત કોરોના વાયરસના સંક્રમણના જોખમ નીચે રહે છે માટે તેમણે પોતાના પરિવારને પોતાનાથી ચેપ ન લાગે તે માટે ઘરથી દૂર એક ગેસ્ટ હાઉસમાં રહેવાનું પસંદ કર્યું છે.
તેમ છતાં તેઓ સતત એ ચિંતા નીચે જીવી રહ્યા છે કે ક્યાંક તેઓ એકબીજાને જ સંક્રમિત ન કરી દે. રશ્મિ પોતાની વાત જણાવતા કહે છે, ‘હું મારી જાતને મારી ફરજથી દૂર રાખી શકી હોત, હું કહી શકી હોત કે અમે ફેમિલિ પ્લાનિંગ કરી રહ્યા છીએ અને એક પ્રેગ્નન્ટ ડોક્ટરને તેઓ હોસ્પિટલમાં ફરજ માટે નથી રાખી શકતા.’ પણ તેણીએ તેમ ન કર્યું.
બીજી બાજુ ડો. ઇશાન પણ જણાવે છે કે શરૂઆતમાં તેમને પણ રાજીનામુ આપીને એકબીજા સાથે સમય પસાર કરવાનો વિચાર આવ્યો હતો પણ તેમનું હૃદય તે માટે રાજી ન થયું. પણ તેમના અંતરઆત્માએ જણાવ્યું કે આ યુદ્ધની સ્થિતિમાં તેમની દેશને તેમજ લોકોને સૌથી વધારે જરૂર છે અને તેવા સંજોગોમાં તેઓ સ્વાર્થિ ન બની શકે. માટે બન્નેએ ફરજ પર રહેવાનું જ યોગ્ય માન્યું. હાલ તેઓ એલએનજેપી હોસ્પિટલના એક જ વોર્ડમાં સાથે કામ કરે છે. તે બન્નેની વારાફરતી 6 તેમજ 12 કલાકની શિફ્ટ છે.
તેમની ફરજ દરમિયાન તેમને સતત 3-4કલાક સુધી ત્રણ લેયરવાળી પીપીઈ કીટમાં રહેવું પડે છે અને દર્દીઓની સારવાર કરવી પડે છે. પીપીઈ કીટની રચના એવી છે કે તેમાંથી શરીરમાં હવાની અવરજવર નથી થઈ શકતી. સખત ગરમી લાગતી હોય છે. પીપીઈ કીટ એટલી ચૂસ્ત હોય છે તેમજ તેના ફેસ શિલ્ડ પણ એટલા ચુસ્ત હોય છે કે માત્ર 10 જ મિનિટની અંદર પ્રોટેક્ટિવ ચશ્મા પર ઝાકળ બાજવા લાગે છે જેના કારણે જોવામાં પણ મુશ્કેલી પડે છે. અને આ પીપીઈ કીટની અસર તેમની ત્વચા પર પણ થાય છે. સતત ત્રણ – ચાર કલાક સુધી પીપીઈ કીટ પહેરેલી હોય તે દરમિયાન તેઓ નથી તો પાણી પી શકતા કે નથી તો કુદરતી હાજત પર જઈ શકતા. ચુસ્ત ફેસ માસ્કના કારણે તેમણે પોતાનો જ ઉચ્છ્વાસ ફરી શ્વાસમાં લેવો પડે છે.
બીજી બાજુ એક વોર્ડમાં બે ડોક્ટર એક જ શિફ્ટમાં કામ નથી કરી શકતા. માટે નાઇટ શિફ્ટ કરીને ઇશાન જ્યારે પોતાના ગેસ્ટહાઉસ પર પાછા ફરે છે ત્યારે રશ્મિની ડ્યૂટીનો સમય થઈ જાય છે અને તેણી હોસ્પિટલ જવા નીકળી જાય છે. તેઓ પેશન્ટ પ્રત્યેની લાગણી વ્યક્ત કરતા જણાવે છે કે જ્યારે કોઈ યુવાન વ્યક્તિમાં કોરોનાના સામાન્ય લક્ષણ દેખાય અને ત્યાર બાદ તેની તબિયત લથડે અને તેને આઈસીયુમાં લઈ જવામાં આવે તેની પૂરતી સારવાર કરવામાં આવે અને તેમ છતાં તેને બચાવી ન શકાય ત્યારે ખુબ દુઃખ થાય છે અને તે સમયે પરિવારજનોને તેના મૃત્યુના સમાચાર આપવા પણ ખૂબ દીલ દુઃખાવનારું હોય છે.
સતત કામમાં વ્યસ્ત હોવાથી તેમજ એકબીજાની શિફ્ટ પણ અલગ હોવાથી તેઓ એકબીજાની સાથે જેટલું રહેવું જોઈએ તેટલું નથી રહી શકતા. સરકાર ડોક્ટર્સને ફાઈવસ્ટાર હોટેલમાં રહેવાની સગવડ આપે છે તેમ છતાં તેઓ એક ફાર્મ હાઉસમાં સાથે રહે છે. તે વિષે રશ્મિ જણાવે છે કે તેઓ એકબીજાની કેર કરે છે માટે જ જો ભગવાન ન કરે અને ઇશાનને કંઈ થાય તો તેણી પીપીઈ કીટમાં છૂપાઈ રહેવા નથી માગતી પણ તેણી તેની સાથે સતત રહેવા માગે છે બીજી બાજુ ઇશાન પણ આવી જ લાગણી પત્ની માટે વ્યક્ત કરે છે.
પોતાના જૂના સમયને યાદ કરતા રશ્મિ કહે છે, ‘પહેલાં જ્યારે અમારા બન્ને વચ્ચે દલીલો થતી, મતભેદ થતા ત્યારે અમે દિવસો સુધી એકબીજા સાથે વાત નહોતા કરતા. પણ હવે સતત એકબીજાના ખાનપાન તેમજ તબિયત માટે ચિંતિત રહીએ છીએ. અને તેના કારણે અમે એકબીજાની ખૂબ નજીક આવી ગયા છીએ.’ તેઓ ડોક્ટર હોવાના એક લાભને ટાંકતા કહે છે કે જો તેમના બન્નેમાંથી કોઈ એક કોરોના પોઝિટિવ થાય તો ડોક્ટર હોવાના કારણે અને કોરોના હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાના કારણે તેમને પોતાના જીવનસાથીને મળવાની મંજૂરી મળી શકે છે. અને તેમને મળતો આ જ લાભ તેમના ભયમાં ઘટાડો કરે છે. કારણ કે તેનાથી તેઓ એકબીજાની સાથે રહેશે અને એકબીજાનું ધ્યાન રાખી શકશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ