ફાયદો ઉઠાવો પોસ્ટ ઓફિસની આ યોજનાનો – રોકાણ કરી ઘરે બેઠા મોટી કમાણી કરો
ભારતમાં પોસ્ટ ઓફિસ રોકાણકારો માટે હંમેશા આકર્ષણ રહ્યું છે. પ્રથમ તો તે ઘણું સેફ છે, તેમાં તમારા પૈસાની ઉચાપત થવાની કોઈ જ શક્યતા નથી રહેલી અને તમને વળતરની પુરી ગેરેન્ટી મળે છે અને બીજું તેમાં બેંક કરતાં વધારે વળતર મળે છે. હાલ કોરોના મહામારીના કારણે આખાએ વિશ્વમાં મંદી ચાલી રહી છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી અને માટે છેલ્લા કેટલાક સમયથી બેંકો સતત તેના વ્યાજ દરમાં ઘટાડો કરી રહી છે.
તો બીજી બાજુ પોસ્ટ ઓફિસ પોતાના ગ્રાહકોને રોકાણ માટે આકર્ષક વ્યાજની ઓફર કરી રહી છે. પોસ્ટ ઓફિસમાં તમે તમારી ક્ષમતા પ્રમાણે રોકાણ કરી શકો છો અને તે માટે વિવિધ યોજનાઓ પણ તમારા માટે ઉપલબ્ધ છે. આજે અમે તમારા માટે પોસ્ટ ઓફિસની એવી જ એક લાભપ્રદ યોજનાની માહિતી લઈને આવ્યા છીએ જે તમને સારું વ્યાજ આપે છે. આ ઉપરાંત પણ કેટલીક ઉંચું વ્યાજ આપતી યોજનાઓ વિષેની જાણકારી આ લેખમાં સમાવવામાં આવી છે.
તમે તમારી પરસેવાની કમાણીની બચતને પોસ્ટ ઓફિસનિ ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકી શકો છો. તેનું વ્યાજ 5.5 ટકાથી શરૂ થાય છે. જો તમે પોસ્ટ ઓફિસમાં 1થી 3 વર્ષની ફિક્સ ડિપોઝીટ મુકવા માગતા હોવ તો તમને તેના બદલામાં 5.5 ટકાનું વ્યાજ આપવામાં આવશે. અને જો તમે સીધા જ 5 વર્ષ માટે આ ફિક્સ ડિપોઝિટ કરાવવા માગતા હોવ તો તમને 6.7 ટકાનું વ્યાજ આપવામાં આવે છે. અને આ 5 વર્ષની ફિક્સ ડિપોઝિટની આવક પર તમને આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80 સી હેઠળ આવકવેરામાં છૂટ પણ આપવામા આવે છે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એવા રોકાણકારો માટે ઉત્તમ છે જેમને હંમેશા પોતાની પૈસાની કમાણી હંમેશા અસુરક્ષિત રહેવાની ભીંતી હોય. આ એક સુરક્ષિત વિકલ્પ છે. આ યોજનાની પાકવાની મુદ્દત 5 વર્ષની છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર તમને હાલમાં 6.8 ટકાનું ઉંચું વ્યાજ મળે છે. આ વ્યાજ તમને ચક્રવૃદ્ધિ રૂપે મળશે.
દીકરીઓ માટે જાણી લો સુકન્યા સમૃદ્ધિ યોજના વિષે
ભારત સરકાર દ્વારા કન્યાઓના સુરક્ષિત ભવિષ્ય માટે પણ કેટલીક યોજનાઓ શરૂ કરવામા આવી છે. તેમાંની એક યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે. જેમાં માતાપિતાને રોકાણ પર 7.6 ટકાનું ઉંચું વ્યાજ મળે છે. આ યોજનામાં માતાપિતાએ માત્ર 14 વર્ષ સુધી જ રોકાણ કરવાનું હોય છે. ત્યાર બાદ 21 વર્ષ પુર્ણ થયા બાદ તમારું આ રોકાણ મેચ્યોર થઈ જાય છે એટલે કે પાકી જાય છે. આ યોજનાની ખાસિયત એ છે કે તમે આ ખાતુ 250 રૂપિયાની નાનકડી રકમથી પણ ખોલાવી શકો છો. અને દર વર્ષે તમે ઓછામાં ઓછું 1000 રૂપિયા અને વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. અહીં પણ તમને તમારા રોકાણની આવક પર ટેક્સમાં રાહત આપવામાં આવે છે.
જાણો અન્ય રોકાણ યોજનાઓ પર શું વ્યાજ મળી રહ્યું છે.
- – પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનાની વાત કરીએ તો અહીં તમને 6.6 ટકાનું વ્યાજ મળી રહ્યુ છે.
- – સુકન્યા સમૃદ્ધિ યોજનામાં માતાપિતાને તેમના રોકાણ પર 7.6 ટકાનું ભારે વ્યાજ મળી રહ્યું છે તે પણ ટેક્સની રાહત સાથે.
- – જ્યારે કિસાન વિકાસ પત્ર પર હાલ 6.9 ટકાનું ઉંચું વ્યાજ રોકાણકારોને આપવામા આવે છે.
- – જ્યારે વરિષ્ઠ નાગરિકોને પણ કેટલીક રાહત વરિષ્ઠ નાગરિક બચત યોજના દ્વારા આપવામાં આવી રહી છે. આ યોજનામાં તેમને 7.4 ટકાનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
આ સિવાય બીજી ઘણી રીતે તમે તમારી બચત કરેલી રકમને આવક ઉભો કરવાના સ્રોત તરીકે ઇનવેસ્ટ કરી શકો છો. શેરબજારમાં રોકાણ કરવાથી તમને સરેરાશ 10 %નું વળતર મળી શકે છે. પણ તેમાં સતત તમારા માથા પર નુકસાનની લટકતી તલવાર રહે છે. માટે ઉપર જણાવેલા ઉપાય જે લોકોપોતાના પૈસાને જરા પણ જોખમમાં નથી મુકવા માગતા તેમના માટે ઉત્તમ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ