પોષી પૂનમનું છે ખાસ મહત્વ ? જાણો શું કહે છે હિંદૂ ધર્મ ગ્રંથો આ પૂનમ વિશે
હિન્દુ ધર્મ અનુસાર દરેક માસમાં આવતી પૂનમની તિથિ અત્યાધિક મહત્વની હોય છે. પૂનમની તિથિનું ખાસ મહત્વ એટલા માટે પણ હોય છે કે પૂર્ણિમાની જ એકમાત્ર તિથિ છે જ્યારે ચંદ્રમા તેની પૂર્ણ કળાએ ખીલે છે. કહેવાય છે કે ચંદ્રને પૂનમની તિથિ પ્રિય હોય છે. એટલા માટે જ ચંદ્રમા પોતાના પૂર્ણ આકારમાં પૂનમના દિવસે જ જોવા મળે છે. હિન્દુ ગ્રંથોમાં પોષ પૂર્ણિમા(પોષી પૂનમ)ના દિવસનું પણ વધારે મહત્વ દર્શાવાયું છે.
આ દિવસે નદીમાં સ્નાન અને સૂર્ય દેવને અર્ધ્ય ચઢાવવાનું વિશેષ મહત્વ છે. પોષ માસની પૂનમના દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્વ હોય છે. આ વર્ષ આ પોષી પૂનમ 10 જાન્યુઆરી 2020ના રોજ આવે છે. આ દિવસે ખાસ વ્રત કરવાનું પણ મહત્વ છે. આ વ્રત કેટલીક જગ્યાએ બહેનો પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરે છે. તો ચાલો જાણીએ આ દિવસના મહત્વ વિશે.
બહેન પોતાના ભાઈ માટે કરે છે વ્રત
વિક્રમ સંવતના ત્રીજા માસ એટલે કે પોષ મહિનામાં આવતી પૂનમ એટલ પોષી પૂનમ. વર્ષભરમાં આવતી બાર પૂનમમાંથી પોષી પૂનમનું મહત્વ ખાસ હોય છે. આ પૂનમના દિવસે માં આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય છે અને સાથે જ આ પૂનમના દિવસે કુંવારી બહેનો ભાઈ માટે પૂનમનું વ્રત પણ રહે છે. વર્ષમાં બે પૂનમ આવે છે જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક હોય છે. એક શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધન અને એક પોષ મહિનાની પૂનમ.
પોષી પૂનમનું મહત્વ
વૈદિક જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્ય દેવનો મહિનો માનવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને સૂર્ય દેવની આરાધના કરવાની પરંપરા છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્દભૂત સંગમ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે.
પોષી પૂનમનું વ્રત અને પૂજા વિધિ
પોષી પૂનમમાં દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગી અને સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ કપડા પહેરવા. શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરી, સૂર્ય દેવને અર્ધ્ય ચઢાવી અને વ્રત અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો. સ્નાન કર્યા બાદ મંદિરમાં બેસી સૂર્ય મંત્રનો જાપ કરી અને સૂર્ય ભગવાનની આરાધના કરો. આ દિવસે ઉપવાસ અથવા ફળાહાર કરવો અને કોઈ યોગ્ય પાત્રને દાન,દક્ષિણા આપવા અથવા તો એક બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન આપો. આ દિવસે ખાસ કરીને તલ અને ગોળ દાનમાં આપવા ઉત્તમ માનવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ