પોષી પૂનમ કાલે, ધામધૂમથી ઉજવાશે માં આદ્યશક્તિનો પ્રાગટ્ય દિવસ
આવતી કાલે એટલે કે 10 જાન્યુઆરી 2020ના રોજ પોષી પૂનમની તિથિ છે. પોષી પૂનમનું ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ છે તેની સાથે જ આ દિવસે એટલા માટે પણ ખાસ છે કે આ દિવસ માં આદ્યશક્તિ અંબા માતાનો પ્રાગટ્ય દિવસ પણ છે. પોષ સુદ પૂનમના દિવસે જગત જનની આદ્યશક્તિ માં અંબાનું પ્રાગટ્ય થયું હતું. આ દિવસે માતાના ભક્તો માં અંબાની પૂજા, અર્ચના અને આરાધના કરીને માંના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
મા અંબાના પ્રાગટ્યને લઈને બે કથાઓ પ્રચલિત છે. એક કથા જે પોષી પૂનમ સાથે જોડાયેલી છે તેના વિશે આપણે જાણીએ. વર્ષો પહેલા એક વર્ષે ભયંકર દુકાળ પડ્યો હતો. ધરતી પર માણસ સહિત પશુ-પક્ષીઓ પર મોત સમાન જોખમ તોળાઈ રહ્યું હતું. દુકાળની સ્થિતિમાં ધરતી પરથી પાણી સુકાવા લાગ્યું અને ધીરેધીરે લીલોતરી પણ નાશ પામી.
લોકોને ખાવામાં માટે અન્ન ન બચ્યું કે ન પ્રાણીઓ માટે ખોરાક, થોડા જ સમયમાં પૃથ્વી પરના દરેક જીવ ભૂખે ટળવળતા થયા. કોઈ પાસે ખાવા માટે અન્નનો દાણો પણ રહ્યો ન હતો. આવા સમયે ભક્તોએ માં આદ્યશક્તિના શરણ સ્વીકાર્યું. ભક્તોએ માતાને આસ્થા અને શ્રદ્ધાપૂર્વક યાદ કરી આરાધના કરી. ભક્તોની પ્રાર્થના અને તેમની દયનીય સ્થિતિ જોઈ માતાજીનું મન પણ પીગળી ગયું. ભક્તોની પ્રાર્થના સાંભળી આદ્યશક્તિ માં અંબા પ્રગટ થયા.
માતાજીએ ભક્તો પર પોતાની કૃપા વરસાવી અને સૂકી તેમજ ઉજ્જળ બનેલી ધરતીને લીલીછમ્મ કરી દીધી. ધરતીના સુકાયેલા પાણીના સ્ત્રોત ફરીથી ભરાઈ ગયા અને માતાની કૃપાથી ચોતરફ હરિયાળી છવાઈ હઈ. ચારેતરફ શાકભાજી અને લીલોતરી છવાઈ જતાં લોકોને અને પશુ-પક્ષીઓને ખોરાક મળ્યો. તે સમયથી માતાજીનું નામ શાકંભરી દેવી પણ પડ્યું અને એટલે જ પોષ માસની પૂનમને શાકંભરી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અંબાજી મંદિરમાં શાકોત્સવ પણ રાખવામાં આવે છે. જેમાં વિવિધ શાકભાજી, ફળો, પકવાન સહિત ભાવતા ભોજનનો અન્નકૂટ ભાવપૂર્વક માતાજીને ધરવામાં આવે છે.
અંબાજી મંદિરમાં ઉજવણી
પોષી પૂનમના દિવસે ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અંબાજી મંદિર સવારે ધજા ચઢાવી અને માતાજીના શસ્ત્રો સાથે શક્તિના ભક્તો ગબ્બર કે જે માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન છે ત્યાં અખંડ દીવાની જ્યોતમાંથી દીવા સ્વરૂપે શક્તિ જ્યોતને ધામધૂમથી લઈને આવે છે. આ પૂજા થતી હોય ત્યારે હજારો ભાવિકો માં અંબાના જય ઘોષ સાથે જ્યોતને વધાવે છે. આ પછી માં અંબાની નગરયાત્રા શરૂ થાય છે.
પાલખીમાં માતાજીની છબી સાથે ગબ્બરની જ્યોત સાથે રાખી ધામધૂમથી અંબાજીના રાજમાર્ગો ઉપર પરિક્રમા કરવામાં આવે છે. ભક્તો માને છે કે આ નગરયાત્રા દરમિયાન જ્યોત સ્વરુપે માં આદ્યશક્તિ સાક્ષાત દર્શન આપે છે. આ સિવાય પૂનમના દિવસે સુવર્ણ જડિત માતાજીના મંદિરને દિવ્ય રોશનીથી શણગારવામાં છે. આ પૂજા બાદ માતાજીના ભક્તોને સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ