વપરાયા પછી હવે નકામી નહીં રહે આ પ્લાસ્ટીક બેગ્સ. માટીમાં દબાવી દેવાથી બની જશે ખાતર અને સાથે તેની અન્ય વિશેષતા જાણો..
આ વાત જાણીને પણ નવાઈ લાગશે અને તેના ઉપર વિશ્વાસ કરવાનું કદાચ મન પણ ન થાય પરંતુ એ હવે શક્ય છે કે હવે એવા પ્રકારની પ્લાસ્ટીક બેગ આવશે કે જેને નકામી ગણીને કચરામાં ફેંકી દેવાને બદલે તે જમીનને ફળદ્રુપ બનાવનાર ખાતરમાં પરિવર્તિત થઈ જશે.
આપણે બજારમાંથી માલ – સામાન લાવવા માટે વપરાતી થેલીઓનો ઉપયોગ કર્યા પછી તેને કચરામાં ફેકી દઈએ છીએ. જેને કારણે આજના સમયમાં કચરાના વધી રહેલા ઢગલા અતિ વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
પરંતુ એવો એક વિકલ્પ મળી ગયો છે જેને જમીનમાં દાટી દીધા પછી તે થોડા સમય બાદ ખાતર બની જશે.
જેમ જેમ આપણે વૈજ્ઞાનિક રીતે વધુ સમૃદ્ધ થતાં જઈએ છીએ એમ અન્ય અવનવી સમસ્યાઓ પણ આપણી સામે આવતી રહે છે. જેમાં કચરાનો નિકાલ પણ એક એવી સમસ્યા છે જેના અંગે હવે જાગૃતતા નહીં આવે તો દિવસેને દિવસે તે વધતો જ જશે.
આવો એક એવી ઉપયોગી વસ્તુની બનાવટ વિશે જાણકારી મેળવીએ કે જેના વપરાશને કારણે પર્યાવરણ બગડશે નહીં ઉલ્ટાનું તે જમીની ફળદ્રુપતા સુધારવામાં થશે મદદરૂપ…
પ્લાસ્ટીક બેગ્સ બનશે ઉપયોગી ખાતર…
કાશીપુર, ઉધમસિંહ નગરમાં સ્થાપિત એક સ્ટાર્ટ અપ કંપનીએ જર્મની તકનીકનો ઉપયોગ કરીને સ્ટાર્ચમાંથી કંપોસ્ટેબલ બાયોડિગ્રેડેબલ બેગ વિકસાવી છે. આ નવી ટેક્લોનોલોજીથી બનેલી થેલીઓમાં આજની પર્યાવરણને લગતી સમસ્યા હળવી થાય તે હેતુથી તેનું ઉત્પાદન કરાવવાનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
આ થેલીની વિશેષતા એ છે કે તેનો ઉપયોગ કર્યા પછી તે બગડી જઈને નકામી થયા બાદ જો તેને જમીનમાં દબાવી દેવામાં આવે તો પછી તેન ખાતરમાં ફેરવાઈ જાય છે.
જેનો ઉપયોગ છોડ અને અન્ય પ્રકારના પાકમાં થઈ શકે છે.ફળો અને શાકભાજી, અન્ય ઘરની વસ્તુઓ લાવવા લઈ જાવવા માટે ઉપયોગી છે.
વધુ એક ખાસિયત એ પણ છે કે આ થેલીઓમાં ગરમ ખોરાક પણ ભરી રાખી શકાય છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે પરીક્ષણના ધોરણોને પૂર્ણ કર્યા પછી આ વિશિષ્ઠ પ્રકારના મટિરિયલમાંથી બનેલ થેલીઓને માન્યતા પણ આપી છે.
જાણો શું છે આ ઇકો ગ્રીન થેલીઓ…
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પર્યાવરણીય સંરક્ષણ માટે પ્લાસ્ટીકની થેલીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. એ વાતથી આપણે સૌ અવગત છીએ.
પરંતુ તેની અવેજીમાં કોઈ નવો વિકલ્પ પણ શોધવો જરૂરી બની રહે છે કે જો પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ બંધ થઈ જશે તો તેને બદલે વસ્તુઓ લાવવા લઈ જવા માટે શું વાપરશું?
આ પ્રશ્નના ઉકેલમાં એક નવી આશાનું કિરણ એવી શોધ છે જેના વિશે જાણીને નવાઈ લાગશે. કાશીપુર સ્થિત એક સ્ટાર્ટ-અપ કંપની ઇકો ગ્રીન ઇન્ડસ્ટ્રીએ તેનો વિકલ્પ તૈયાર કર્યો છે.
આ સંસ્થાએ જર્મન તકનીકી દ્વારા મકાઈ, સ્ટાર્ચ, સાબુ દાણામાંથી પ્રક્રિયા કરીને તેમાંથી કંપોસ્ટેબલ બાયોડિગ્રેડેબલ થેલીઓ બનાવવામાં આવી રહી છે. એટલે કે આમાં કોઈ કેમિકલ નહીં પણ કુદરતી પદાર્થોનો જ ઉપયોગ કરીને થેલીઓ બનાવવામાં આવી છે.
આ થેલી વિશે કહેવાય છે કે તેનો ઉપયોગ કર્યા બાદ તેને મેદાનમાં, વાડી – ખેતરમાં અથવા ઉપયોગ પછી આસપાસની જમીનમાં તે થેલીઓને દાટી દીધા પછી તે ખાતર સ્વરૂપે આશરે ત્રણથી છ મહિનાની અંદર તૈયાર થાય છે.
પર્યાવરણીય પ્રદૂષણ બોર્ડ દ્વારા આ થેલીને મંજૂરી આપવામાં આવી છે. હાલના સમયમાં, પ્લાન્ટમાં દરરોજ ૫૦ ટન જેટલી બેગના ઉત્પાદન કરવાની ક્ષમતા છે. પરંતુ ભવિષ્યમાં તેને વધારીને સો ટનથી પણ વધુ કરવા માટે, કંપનીએ જર્મનીથી મશીનરીની નિકાસ પણ કરી છે.
ઇકો ગ્રીન ઇન્ડસ્ટ્રીના ડિરેક્ટર અમિત જૈને તેમના આ પ્રોજેક્ટ વિશે કહ્યું છે કે અગાઉ તે કાશીપુરમાં કાગળનું કામ કરતા હતા. તેમણે જર્મની જઈને ત્યાંની ટેક્નોલોજી મુજબ પ્લાસ્ટીક બેગના વિકલ્પ તરીકે કમ્પોસ્ટેબલ બાયોડિગ્રેડેબલ બેગ બનાવવાની તાલીમ લીધી હતી.
આ પછી, આ થેલી ઉત્તરાખંડમાં પ્રથમ વખત તૈયાર કરવામાં આવી હતી. આ બેગ બન્યા બાદ સારા સમાચાર એ મળ્યા હતા કે તે પર્યાવરણીય સુરક્ષાના ધોરણોને પૂરા કરતી હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે બેગ વપરાઈને ખરાબ થઈ જાય છે, ત્યારે તે કુદરતી રીતે તેનો નાશ થઈ જાય છે અને જમીનમાં મળીને તે ખાતર બની જાય છે. જેનો ઉપયોગ ઘરના બગીચા અથવા અન્ય પાકમાં થઈ શકે છે.
બેગનો ભાવ, કિલો દીઠ કેટલા રૂપિયા છે જાણીએ.
વિવિધ કદના આ નવી ટેક્નોલોજીની કમ્પોસ્ટેબલ બાયોડિગ્રેડેબલ બેગની કિંમત કિલો દીઠ રૂ. ૩૭૫ છે.
વર્તમાન સમયમાં આ બેગ ઉપર ૧૮ ટકા જીએસટી પણ લાગે છે. કંપનીએ બેગ પર જીએસટીનો દર ઘટાડીને પાંચ ટકા કરવાની માંગ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ પણ કરી છે.
આ થેલીની કિંમત ઘટાડશે તો લોકો તેનો વધુ ઉપયોગ કરશે, એવું આ સંસ્થાના પ્રણેતાઓ અનુમાન કરી રહ્યા છે. વપરાશ કર્તાઓ વધશે તો ત્યાર બાદ તેની કિંમત પણ ઘટશે અને લોકોમાં આ પ્રકારની થેલીઓને વાપરવાની જાગૃતિ આવશે.
નોન વોવેન બેગમાં પ્લાસ્ટીક
પ્રવર્તમાન સમયમાં પ્લાસ્ટીકની બેગ્સને બદલે માર્કેટમાં નોન વોવન બેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને સામાન્ય ભાષામાં કપડાની થેલી કહેવામાં આવે છે.
આ થેલીઓના વપરાશ બાદ પણ પ્લાસ્ટીકનો ઉપયોગ સદંતર બંધ નથી થઈ શક્યો જેથી કેન્દ્ર સરકારે નોન વોવન બેગ પર પ્રતિબંધ મૂક્યો છે.
સરકારે પણ બેગની પ્રશંસા કરી
સ્ટાર્ટ અપ કંપનીએ આ થેલી શહેરી વિકાસ સચિવ શૈલેષ બગોલી અને મહાનગર પાલિકા દહેરાદૂના અધિકારીઓ સમક્ષ રજૂ કરી છે. બેગની ગુણવત્તા જોઇને સરકારે તેની પ્રશંસા કરી છે.
આવા ઉત્પાદનો વધુ પ્રમાણમાં બને અને તેનો વપરાશને પ્રોત્સાહન આપવાની પણ વાત કરી હતી. ખરેખર સરકારી ધોરણે આ પ્રકારના વિવિધ પ્રોજેક્ટસને સપોર્ટ મળતો થાય તો ઉદ્યોગ અને રોજગારને પણ સારો સહકાર મળી રહેશે.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશ આખામાં જુદી જુદી ઝૂંબેસો ચાલી રહી છે. જેમાં અનેક મુદ્દાઓને આવરી લેવાયા છે. તેમાં શૈચાલય, જાહેર રસ્તાઓની સફાઈ, કચરાઓનો યોગ્ય નિકાલ અને પ્લાસ્ટીક બેગ્સને બંધ કરીને નવા વિલકલ્પની થેલીઓ વિશે શોધ થઈ રહી છે.
અગાઉ એવો જમાનો જ હતો કે લોકો શાકભાજી લેવા અને અન્ય ચીજવસ્તુઓ લેવા ઘરે જ સીવેલી થેલીઓ લઈ જતાં. બગલ થેલાઓનું પણ એ સમયે ખાસ્સુ ચલણ હતું. પરંતુ જેમ જેમ પ્લાસ્ટીક કેરી બેગ્સનું ઉત્પાદન વધતું ગયું તેમ તેમ લોકો તેનો વધુને વધુ ઉપયોગ કરતા ગયા.
આજે સમય એવો આવ્યો છે કે ખૂણેખાચરે બધી જ જગ્યાઓએ ઉકરડાઓમાં પ્લાસ્ટીકની કોથળીઓના ઢગલા જોવા મળે છે. તે એવો કચરો છે કે જેને આપણે બાળી પણ નથી શકતા.
એક સર્વે મુજબ નદી, સરોવરો અને સમુદ્રોમાં દરરોજ અધધ પ્રમાણમાં પ્લાસ્ટીકનો કચરો ઠલવાઈ રહ્યો છે. આ કચરો પાણીમાં પણ ઓગળી જતો નથી અને તે વધુ પ્રદૂષણ ફેલાવે છે.
જળચર પ્રાણીઓ અને ગામ – શહેરમાં શેરીમાં રહેતાં ઢોરના મોંમાં પણ આ પ્લાસ્ટીક જવાથી તેમને પણ નુક્સાન થાય છે અને એક આખેઆખી પ્રાણીઓની પેઢી આ રીતે મૃત્યુ પામીને લુપ્ત થતી જશે એવી ભવિષ્યમાં ભીતિ છે.
આખી બાબતને સમજીએ તો ખરેખર ચિંતાજનક સંજોગો છે, એવામાં અનેક જગ્યાએ આશાસ્પદ સમાચારો પણ આવે છે, જેના વિશે જાણીએ ત્યારે એવું જરૂર લાગે છે કે આ સમસ્યાઓ વિશે કંઈ તો ઉકેલ જરૂર આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ