આટલી સરળતાથી તમે બની શકો છો સાયબર મની ફ્રોડનો શિકાર! આવા મેસેજ પર ન કરશો ક્લિક
આંગળીના ઇશારે રૂપિયાની આપલે. આ શબ્દો અગાઉ જેટલા રોમાંચક લાગતા હતા એટલા જ હવે, ઘણા લોકોને ડરામણા લાગે છે. અખબારોમાં આપણે લગભગ રોજેરોજ લોકોએ સાયબર ફ્રોડનો ભોગ બનીને અમુક હજાર કે લાખ રૂપિયા ગુમાવ્યા હોવાના સમાચાર વાંચીએ છીએ. ઠગનો શિકાર બનતા લોકોમાં ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટર, પ્રોફેસર જેવા લોકો પણ સામેલ હોય છે. શું થાય છે? આપણી બેન્કની વિગતો/ઓટીપી તફડાવવામાં ઠગને રિમોટ એક્સેસ એપ ઉપયોગી થાય છે અને આવી એપ આપણે પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરવી જરૂરી છે એવું ઠસાવવા માટે ઠગને કોઈ મજબૂત કારણ જોઇતું હોય છે. એ માટે મોટા ભાગે તેઓ વોલેટ કે બેન્કની કેવાયસી પ્રોસેસ પૂરી કરવાનું કારણ આપે છે.
ઠગ સાવ નજીવા ખર્ચે હજારો-લાખો લોકોને તેમની કેવાયસી પ્રોસેસ પૂરી કરવી જરૂરી હોવાના મેસેજ મોકલી શકે છે. આમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ ઠગે જણાવેલ વોલેટ કે બેન્કનો ઉપયોગ કરતી હોય એ સ્વાભાવિક છે. તેઓ છટકામાં આવી જાય છે. શું ધ્યાન રાખવું? એસએમએસ કે અન્ય રીતે આવેલ કેવાયસી સંબંધિત મેસેજ પર ધ્યાન આપો નહીં. તેમાં જણાવેલ નંબર પર ક્યારેય કોલ કરશો નહીં કે એ વ્યક્તિના કહેવાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરશો નહીં અને ટ્રાન્ઝેકશન કરશો નહીં. તમારા વોલેટની કેવાયસી પ્રક્રિયા કદાચ ખરેખર અધૂરી હોય તો બહુ બહુ તો વોલેટનો ઉપયોગ બંધ થશે, પરંતુ મોટા નુકસાનમાંથી તમે બચી શકશો.
આ જ કારણે, જે ખરેખર સૌને ઉપયોગી સગવડ છે એને હવે સૌ શંકાની નજરે જોવા લાગ્યા છે. આજના સમયમાં, કોન્ટેક્ટલેસ પેમેન્ટ અનિવાર્ય બન્યું છે, પાણીપુરીના ખૂમચાથી શરૂ કરીને બધી જગ્યાએ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે ક્યુઆર કોડનાં પાટિયાં દેખાવા લાગ્યાં છે, એટલે લોકોએ પણ તેનો ઉપયોગ શરૂ તો કર્યો છે, પણ તેની બારીક આંટીઘૂંટીઓ હજી સૌ સમજ્યા નથી.
બીજી તરફ, ઝારખંડ, બિહાર, રાજસ્થાન જેવાં ઘણાં રાજ્યોમાં સાયબર ફ્રોડ કરીને લોકોને લૂંટવા એ જાણે ગૃહ ઉદ્યોગ બની ગયો છે. આમ જુઓ તો આ લોકોની મોડસ ઓપરેન્ડી લગભગ એક સરખી છે. કોઈ ને કોઈ રીતે આપણને ડરાવવા કે લલચાવવા, પછી ગાફેલ બનાવવાને પછી આપણા ખાતામાંથી રકમ સેરવી લેવી. લોકો ઓનલાઇન પેમેન્ટ એપ્સના ઉપયોગમાં રાખવી જોઈતી સાવધાનીની કેટલીક પાયાની બાબતો જાણતા નથી એનો ઠગ લોકો પૂરો ગેરલાભ લે છે. અજાણી વ્યક્તિના કહેવાથી આપણે ક્યારેય પોતાના ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ ન કરવી જોઈએ, પણ લોકો કરે છે.
અજાણી વ્યક્તિના કહેવાથી આપણે ક્યારેય કોઈ જગ્યાએ (પોતાના ખાતામાં પણ નહીં) ટ્રાન્ઝેક્શન ન કરવું જોઈએ, છતાં લોકો કરે છે. પોતે રકમ મેળવવી હોય તો પોતાની પિન આપવાની શી જરૂર એવી સાદી વાત પણ લોકો ભૂલી જાય છે. આવું કેમ થાય છે? સાયબર ફ્રોડનો ભોગ બનેલી લગભગ દરેક વ્યક્તિ કબૂલે છે કે ઠગ તેમને વાતચીતમાં એવા પરોવી લે છે કે એ સમયે જાણે મતિ ફરી જાય છે!
હકીકત એ છે કે ઠગ આપણી નબળાઈઓ જાણે છે, એટલા આપણે ઠગની તરકીબો જાણતા નથી. આવા ઘણા લોકોનો અનુભવ છે કે એક વાર સાયબર ફ્રોડનો ભોગ બનીએ એ પછી ગુમાવેલા રૂપિયા પરત મેળવવા એ મુશ્કેલ, બહુ લાંબી અને ઘણા કિસ્સામાં અશક્ય પ્રક્રિયા બની જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ