કાલિન ભૈયા ઉર્ફે પંકજ ત્રિપાઠીની સંઘર્ષ કથા – કામ માટે દર-દર ભટકવું પડ્યું હતું, વિદ્યાર્થી રાજકારણ – હોટેલના રસોડામાં કામ કર્યા બાદ છેવટે બન્યા અભિનેતા
ભારતીય ઓટીટી પ્લેટફોર્મની સફળ વેબ સિરિઝ મિર્ઝાપુરમાં અખંડાનંદ ત્રિપાઠી એટલે કે કાલીન ભૈયાના પાત્રને લોકપ્રિય બનાવનાર પંકજ ત્રિપાઠીની આજે એક અત્યંત ઉત્કૃષ્ઠ અભિનેતાઓમાં ગણતરી થાય છે. પણ અહીં પહોંચવા માટે તેમણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમણે થોડા સમય પહેલાં એક ઇન્ટર્વ્યુમા પોતાના સંઘર્ષ વિષે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં તો તેમણે કામ શોધવા માટે ઓફિસે ઓફિસે રખડવુ પડતુ હતું. પણ હવે સમય બદલાઈ ગયો છે અને કામ તેમને શોધતું આવે છે. તેમણે કામ મેળવવા માટે કલાકોના કલાકો ઓફિસ બહાર બેસીને રાહ જોવી પડી છે. લોકોને સમજાવવું પડ્યું છે કે તેઓ એક એક્ટર છે અને તેમને કામ જોઈએ છે. પણ હવે તેમની પાસે 2021ના પ્રોજેક્ટ પણ આવી ગયા છે.
માણસમાં પ્રતિભા સમયેલી હોય પણ તેને તે દર્શાવવાનો જ અવસર ન મળે ત્યારે ઘણું અઘરું થઈ પડે છે. પંકજ ત્રિપાઠી કઈ ફિલ્મના શુટિંગ ક્યાં ચાલી રહ્યા છે તે જાણવા જતાં ત્યારે તેમને તેવું કહીને જાકારો મળતો હતો કે ફિલ્મનું શૂટિંગ થઈ ગયું છે અને યુનિટ લોકેશન પરથી જતું રહ્યું છે.
સમય બદલાયો – કામને ના પાડવી પડી રહી છે
પણ સમય બદલાતા વાર નથી લાગતી. તમારામાં પ્રતિભા હોય અને તમે થોડી ધીરજ રાખો તો સમયનું ચક્ર બદલાય છે અને તમને અઢળક કામ મળે છે આજે પંકજ ત્રિપાઠીના સમયનું ચક્ર પણ બદલાઈ ગયું છે અને તેમણે કામ માટે ના પાડવી પડી રહી છે. તેઓ જણાવે છે કે તેમનો સંઘર્ષ શરૂ થયો ત્યારે સોશિયલ મિડિયા નહોતું અથવા કહો કે આજે જેટલું એક્ટિવ છે તેટલું ત્યારે નહોતું અને બીજી બાજુ કાસ્ટિંગ ડીરેક્ટર પણ નહોતા. પણ હવે કામકાજની સ્ટાઇલ બદલાઈ ગઈ છે. પહેલાં કામ શોધવા ઓફિસે ઓફિસે ભટકવું પડતું હતું પણ હવે કામ માટે ના પાડવી પડી રહી છે.
હવે જ્યારે તેમની પાસે કામનો ભરાવો થઈ ગયો છે. અને તેમની પાસે પસંદગીના વિકલ્પો છે ત્યારે તેમણે બીજા કામોને ના પાડવી પડે છે બની શકે કે તેમ કરતાં સામેવાળા ફિલ્મ મેકરનું અહમ ઘવાય પણ તેમાં તે કંઈ જ કરી શકે તેમ નથી. તેઓ માત્ર એટલું કહીને ના પાડી દે છે કે તેઓ તે પ્રોજેક્ટ પર કામ નહીં કરી શકે. અને તેમનું એવું માનવું છે કે જો સામેવાળી વ્યક્તિને એક પ્રામાણિક જવાબ મળે તો તેમને દુઃખ નથી થતું.
પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે તેઓ પ્રથમવાર એક મિત્ર સાથે નાટક જોવા ગયા હતા ત્યાર બાદ તેમને નાટક જોવાનો ચસ્કો લાગી ગયો. ત્યારે તેમને વિચાર આવ્યો કે તેમને પણ તે જ કરવું છે. તેઓ (અભિનેતાઓ) લોકોને રડાવે પણ છે અને હસાવે પણ છે.
અભિનેતા પંકજ ત્રિપાઠીના જીવનની સફર પણ ફીલ્મી જ છે. તેઓ સંઘની શાળામાંથી નીકળીને વિદ્યાર્થી રાજકારણમાં જેલમાં ગયા બાદ અભિનેતા બનતા પહેલાં કોઈ હોટેલમાં શેફનું પણ કામ કરી ચુક્યા છે.
જે હોટેલના રસોડામાં ડુંગળી છોલતા હતા ત્યાં તેઓ ઇન્ટર્વ્યૂ આપે છે
ક્યારેક જે હોટેલના કીચનમાં તેઓ ડુંગળી છોલતા હતા આજે તેઓ ત્યાં બેસીને ઇન્ટર્વ્યૂ આપે છે. પંકજ ત્રિપાઠીએ રાજ્યસભા ટીવીના એક કાર્યક્રમ ગુફ્તગુમાં પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક નવી વાતો શેર કરી હતી.
તેમણે કહ્યું કે હું મારા ગામમાં કેટલાક દિવસ સંઘની શાખા પર જતો હતો. પણ ત્યાં રાજકારણની ટ્રેનિંગ નહોતી આપવામા આવતી. એક નેતૃત્વ ક્ષમતા તેમનામાં પહેલેથી જ હતી. તેઓ રમતગમતમાં પણ આગળ હતા. તેઓ આગળ અભ્યાસ માટે પટના આવ્યા, પણ અભ્યાસમાં તેમનું મન ન લાગ્યું તેઓ છાત્ર રાજકારણમાં રસ દાખવવા લાગ્યા. તેઓ એક સામાન્ય વિદ્યાર્થી નેતા હતા. પણ એટલુ ચોક્કસ હતું કે કેટલાક વ્યંગ, જોક્સ વિગેરે સંભળાવીને હું ભીડ ભેગી કરી લેતો હતો, જેથી ત્યાર બાદ નેતાજી આવે અને પોતાનું ભાષણ આપે.
તેમણે ત્રણ-ચાર વર્ષ વિદ્યાર્થી રાજકારણ કર્યું. અને તેના કારણે તેમણે એકવાર જેલમાં પણ જવું પડ્યુ હતું. પણ છેવટે તેમને ખ્યાલ આવ્યો કે ત્યાં તેમનું સામાજિક હિત નથી. તેમને થયું કે તેઓ કેટલા દીવસ ચમચાગીરી કરશે ? અને છેવટે તેમનું મન તેના પરથી ઉતરી ગયું.
ત્યાર બાદ તેમને નાટકો જોવાનો શોખ જાગ્યો અને પછી એક્ટિંગનો. 1995થી 2001 સુધી પટનામાં નાટકનો સીલસિલો ચાલ્યો. ધીમે ધીમે નાટકોમાં તેમને નાનીનાની ભૂમિકાઓ મળવા લાગી. અને લોકો તેમને ખૂબ પસંદ પણ કરતા. પણ તેમને ખબર હતી કે નાટકથી કંઈ પેટ નથી ભરાતા. માટે તેમણે પટનામાં રહ્યા તે દરમિયાન હોટેલ મોર્યમાં કિચન સુપરવાઇઝરની નોકરી કરી. અને ક્યારેક ક્યારેક મેનેજરના ગુસ્સાનો સામનો પણ કરવો પડતો પણ તેમ છતાં તેઓ કામ કરતા રહેતા.
છેવટે 2001માં તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ગયા. અહીં તેઓ ચાર વર્ષ રહ્યા. ત્યાર બાદ તેમણે નાની-મોટી એડમાં કામ કર્યું પછી ધીમે ધીમે તેમને ફિલ્મો મળવા લાગી. તેમના કુટુંબમાં તેઓ પહેલી વ્યક્તિ હતા જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. ક્યાંક કોઈ ઓળખાણ નહોતી, માટે તેમનો સંઘર્ષ ગણો લાંબો રહ્યો. જો કે તેમના સંઘર્ષના કારણે તેમનો અભિનય ઓર વધારે પરિપક્વ બન્યો.
પંકજ ત્રિપાઠી એક બિહારી છે તેઓ બિહારના ગોપાલગંજના છે. તેઓ ચાર ભાઈ-બહેનો છે અને તેમાં સૌથી નાના છે. તમને કદાચ યાદ નહીં હોય પણ 2004માં અભિષેક બચ્ચનની ફિલ્મ આવી હતી રન તેમાં તેમણે પ્રથમવાર કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમનો ખૂબ જ નાનો રોલ હતો. પણ 2012માં ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર આવી અને ત્યારથી તેમના સિતારા ચમકવા લાગ્યા કારણ કે ત્યારથી તેમના કામને ઓળખ મળવા લાગી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ