વધારાની ચરબી ઉતારવા માટે ઉપયોગી સરગવો

આપણે સૌ સરગવાથી તો પરિચિત છીએ જ. સરગવાનું શાક, સરગવા નો સૂપ, સરગવા ની ચટણી આવી અવનવી રીતે ખોરાકમાં આપણે સરગવાનો ઉપયોગ કરીએ છીએ. આપણા સૌના પ્રિય ચટપટા સાંભારમાં સરગવો જુદો જ સ્વાદ ધરાવે છે.

શાક તરીકે વપરાતો સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. કેવળ સરગવાની દાંડી જ નહીં પરંતુ સરગવાની છાલ ,મુળ ,ગુંદર, પાન ,તેના ફૂલ અને તેનું બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે.

સરગવા ના બે પ્રકાર છે સફેદ ફુલવાળો સરગવો અને લાલ ફુલવાળો સરગવો. સીઝન વગર સરગવો સુકવણી કરીને પણ વાપરી શકાય છે.

ભારત, પાકિસ્તાન ,બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં સરગવાની ખેતી પ્રમાણમાં વધુ કરવામાં આવે છે. સરગવાની પૌષ્ટિકતાને ધ્યાનમાં રાખીને હવે આફ્રિકામાં પણ સરગવાની ખેતી શરૂ કરવામાં આવી છે. ઘણા રોગના નિવારણમાં સરગવો ઔષધીય ગુણધર્મો ધરાવતો હોવાથી ઉપયોગી છે.

સરગવાના ઘણા ઉપયોગ છે. સરગવો ભૂખ લગાડનાર, આહારનું પાચન કરનાર, કબજિયાતમાં રાહત આપનાર અને પચવામાં હળવો છે. ઉપરાંત હૃદયરોગના દર્દીઓ માટે પણ સરગવો હિતકર છે. મોઢામાં પડતાં ચાંદા, આંતરડાના કૃમિ ,ચામડીના રોગ ,મેદસ્વિતા જેવા અનેક રોગમાં સરગવો હિતકારી છે.

સરગવામાં રહેલું એમિનો એસિડ, પ્રોટીન ,બીટા કેરોટીન અને વિવિધ પ્રકારના ફેનોલિક જેવા ઘટક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

હાઈ બ્લડપ્રેશર ના દર્દીઓ માટે સરગવાના પાંદડાના રસમાથી બનતો કાવો રાહતરૂપ છે. સરગવાના પાનના રસ થી ચક્કર અને ઊલટી જેવી સમસ્યામાં પણ રાહત મળે છે.

સરગવામાં ભરપૂર કેલ્શિયમ રહેલું હોય છે. જે નાના બાળકો માટે વિશેષ લાભદાયી છે. નાનપણથી જ બાળકોને ખોરાકમાં સરગવો આપવામાં આવે તો તેમના હાડકા અને દાંત મજબૂત બને છે. ગર્ભવતી મહિલાએ પણ આવનારા બાળક ને ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે તે માટે સરગવાનું સેવન કરવું જોઈએ.
સરગવામાં રહેલું મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયન શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

સરગવામાં રહેલું ફોસ્ફરસનું પ્રમાણ શરીરમાંથી વધારાની ચરબી દૂર કરવામાં ઉપયોગી છે સરગવાના પાંદડાના રસનું નિયમિત સેવન કરવાથી શરીરની ચરબી ઓગળે છે,
અને ક્રમશઃ વજનમાં પણ ઘટાડો થાય છે. મેદસ્વિતા ધરાવતા લોકો માટે સરગવો અતિ ઉપયોગી છે. સરગવાનો સૂપ પીવાથી પણ વજનમાં ઘટાડો થઈ શકે છે.

સરગવાની શિંગના નાના ટુકડા કરી ,થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં નાખી તે પાણી ધીમા તાપે અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળી, ઠંડુ થયા બાદ થોડું ધાણા-જીરુ અને હળદર તેમજ સીંધવ નાખી સવારમાં નરણાં કોઠે નીયમીત પીવામાં આવે તો મહિનામાં બે કિલો વજનનો ઘટાડો થઈ શકે છે. પરંતુ જ્યારે આ પ્રયોગ ચાલતો હોય ત્યારે આહાર નિયમન કરવું પણ એટલું જ જરૂરી છે. આહારમાં ચરબીવાળો ખોરાક બંધ કરવો જોઇએ અથવા તો ઓછો લેવો જોઈએ
સરગવામાં રહેલું વિટામીન-એ ત્વચાની સુંદરતા બરકરાર રાખવામાં ઉપયોગી છે. સરગવાના બીજમાંથી બનેલું તેલ લગાડવાથી ત્વચા સુંવાળી અને ચમકતી રહે છે એટલું જ નહીં સરગવામાં રહેલું લોહતત્વ લોહીને શુદ્ધ રાખે છે અને ચહેરા પર થતા ખીલને પણ નષ્ટ કરે છે.

સરગવાના ઉપયોગથી પાચનતંત્ર સંબંધી સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે.
સરગવાના પાંદડાના એક ચમચી રસ અને એક ચમચી મધ અને નાળિયેર પાણી સાથે મિક્સ કરીને પીવાથી પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે .સરગવાનું શાક કબજિયાત દૂર કરે છે અને સાથે સાથે કિડની તથા મૂત્રાશયમાં જામેલી પથરી ઓગાળી ને કાઢવામાં પણ સરગવો અતિ ઉપયોગી સાબિત થાય છે.
સરગવાનાં પાનને વાટીને તેને ગરમ કર્યા બાદ માથા પર તેનો લેપ લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે . સરગવાના બીજ સુંઘવાથી પણ માથાના દુખાવામાં રાહત મળે છે..

કાનના દુખાવામાં પણ સરગવાનાં પાંદડાનો રસ કાઢી તેના ટીપાં કાનમાં નાખવાથી રાહત થાય છે. પાયોરિયા જેવા દાંતના રોગ માં પણ સરગવાના પાંદડા ઉપયોગી છે.
સરગવાના ફુલ પેટમાં રહેલા કૃમિ દૂર કરે છે તથા પિત્ત અને કફ વચ્ચે પણ સરગવો સંતુલન જાળવવામાં મદદરૂપ છે એટલું જ નહીં સરગવાની નિયમિત સેવનથી ગર્ભવતી મહિલાની ડિલિવરી પણ ઓછા દુખાવાથી સરળતાપૂર્વક થઈ શકે છે.

સરગવા અંગે થોડી ધ્યાનમાં રાખવા જેવી બાબત
સરગવો તીખો અને ઉષ્ણ ગુણ ધરાવતો હોવાને કારણે એસીડીટી ની તકલીફ ધરાવતા લોકોએ તેનું સેવન અનુકુળતા મુજબ કરવું જોઈએ. માસિકધર્મ સમયે સરગવાનો વધુ પડતો ઉપયોગ કરવાથી પિત્ત વધી શકે છે.
ખાસ ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈપણ ઘરગથ્થુ ઉપાય ,કોઈપણ રોગમાં કરવામાં આવે ત્યારે સાથે સાથે એ રોગના ચિકિત્સકની સલાહ લેવી પણ જરૂરી બને છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
– તમારો જેંતીલાલ