જલ્સા કરોને જેંતીલાલ

રોટલીની સુવાસની સમકક્ષ સુગંધ દુનિયાના કોઈ પણ ફૂલમાં નથી..! :નાના પાટેકર

‘મહાસાગર’ નામના નાટકના ત્રણ શો હતા. વિક્રમ ગોખલે, મોહન ભંડારી અને ત્રીજી એક વ્યક્તિ: એ ત્રણે અભિનેતા હતા. એ ત્રીજી વ્યક્તિના પિતા શો દરમ્યાન મૃત્યુ પામ્યા. બાકીના શો કેન્સલ કરવાનું બધાએ કહ્યું, પેલાએ ના પાડી. બીજો શો ચાલુ થયો.

નાટક ચાલુ હતું, દર્શકો જોઈ રહ્યા હતા, એટલે પેલી વ્યક્તિએ સામેથી યાદ દેવડાવ્યું-કહ્યું કે, ‘બોલ.. તું શું કેહવા માંગે છે?!’… અને એ શો પૂરો થયો. બીજા અને ત્રીજા શોની વચ્ચેના સમયમાં પિતાજીના અંતિમસંસ્કાર થયા. શો જરૂરી હતો. કેમ કે, શોમાંથી મળતા પૈસા જરૂરી હતા! પિતાનું મૃત્યુ પણ સરકારી હોસ્પીટલમાં, તેમની સારવાર કરાવવા જેટલા પૈસા ન હોવાથી થયું હતું.. આવા અંગત દુઃખોના બચાવેલા આંસુને કેમેરા સામે રોઇને વેંચી નાખનાર એ અભિનેતાનું નામ છે: નાના પાટેકર!

ખેડૂતોની કંગાળ અને દયનીય હાલત જોઇને હ્રદય હચમચી ઉઠ્યું. નાનાએ તરત જ જરૂરિયાતમંદ ખેડૂતોને રૂ. ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ સુધીનું પેકેજ આપ્યું. અત્યાર સુધી રૂપિયા ૬૦ લાખ વહેંચી ચુક્યા છે. આ વાત જૂની નથી, ઓગસ્ટ ૨૦૧૫ની છે. કોઈ પણ હોહા કર્યા વિના કે ગામમાં ઢંઢેરો પીટ્યા વગર ગરીબોની સહાય કરવામાં મચી પડ્યા. થોડા સમય પછી એક ન્યુઝપેપરમાં એ વિષે ન્યુઝ છપાયા બાદ દરેકને જાણ થઇ. અક્ષય કુમાર પણ નાનાસાથે જોડાયો છે.

તરી આવે છે? એની પાછળ એમનું બચપણ, એમણે ખાધેલી ઠોકરો, રોટલીના ટુકડામાટેનો વલવલાટ- એમનો સંઘર્ષ છુપાયેલો છે..

નાનાને સમંદર ગમે. તેઓ કવિતા-શાયરી, લેખો લખે. લખવામાં પણ બોલવા જેવા જ. જેવું મોઢું ચાલે, એવા જ હાથ! તેમણે વર્ષેક પહેલા સોસીયલ મીડિયા પર મરાઠીમાં એક લેખ લખેલો. મુંબઈગર દોસ્ત હિતેશ જોશીએ એનો અનુવાદ કરી શેર કરેલો. મારી નજર પડી, ભીતર અડકી ગયો. ફરી ફરી મરાઠીમાં વાંચ્યો, ગુજરાતીમાં જોયો અને થોડા ફેરફાર સાથે તૈયાર કર્યો.. તો અહીં પેશકશ છે નાનાની જુબાની, એમની કહાની..

આવનારી ક્ષણ કેટલી પણ દુઃખદાયક હોય, સામે જઈને એને ભેટવાનુ હતુ. મારે મરવાનુ નહોતું..! બીજો કોઈ પર્યાય જ નહોતો ને! રાતે કામ ઉપર જમતી વખતે, પાછળ ઘરે રહેલા ભાઈ અને મા-બાપની યાદ આવતી. ‘એમણે કાંઈ ખાધુ હશે કે ?’ એવો વ્યર્થ વિચાર મનમાં આવતો અને પેટની ભૂખની આગમાં જ ન જાણે ક્યાં ભસ્મ થઈ જતો..

ક્યારેક કોઈ પાછળ આવે તો વખત જોઈ ભાગી પણ જવું પડતું અને પછી મનથી ગાળો દેવાની. એહસાસ જ ન થાય એ રીતે મૌતનો ડર ગાયબ થઇ રહ્યો હતો… આંખો સામેના અનુભવો તેરમા વર્ષે ત્રીસમાં વર્ષની સમજ સીંચતા જતા હતા. રસ્તામાં ઘણી વાર પાછા ફરતી વખતે ફુટપાથ ઉપર ચાલતો શૃંગાર જોવા મળતો. એક જ સાથે ધ્રુણા અને કિશોરવય સહજ સંવેદનો અનુભવતો. નજર છોકરીઓના ચેહરાથી એમની છાતી તરફ સરકવા લાગી હતી. પણ કોણ જાણે કેમ પેટની ભૂખ એથી નીચે ઉતરી નહીં ક્યારેય..!

રોટલીની સુવાસની સમકક્ષ સુગંધ દુનિયાના કોઈ પણ ફૂલમાં નથી..!

મારી સૌથી બેસ્ટ દોસ્ત: ભુખ.! શું નથી આપ્યું એણે..? એ ઉમ્રનો અપ્રતિમ પ્રવાસ, કદમ કદમ ઉપર કેટલુ શીખવ્યું છે એણે.! બધી જ શિક્ષાનો રસ્તો પેટમાંથી જ છે.. મારી કિશોર અવસ્થામાં મારી સાથે હમેંશા રેહનારી મારી બેહનપણી. મારી ખાત્રી છે, જેમને પણ અજાણતા જ એની(ભૂખની) મીત્રતાનો લાભ મળ્યો છે તે મંડળી આગળના વર્ષોમાં સુખથી રહેશે હમેંશા…

હું ખાઉં છું, એ કલ્પના જ સુખદ હતી એ દિવસોમાં. અને અભિનયમાંથી પણ છેલ્લે શું સરે છે? કલ્પના જ તો..!

ઘણીવાર મોડો પડતો અને ગુરુજી હમેંશા અંગુઠા પકાડાવતા કે મુર્ગો બનાવતા. આજે આટલા વર્ષે પણ પીઠની તકલીફ નથી એ ગુરુજીના આભારે, જેમણે મને પગના અંગુઠા પકડાવ્યા. મારી ભૂખે મને ક્યારેય લાડનો મૌકો નથી આપ્યો. જે પણ સામે હોય એ ખાવાનું, કોઈ નખરા નહીં…

આજે અહીં એકલો બેઠો બેઠો હું મારા ગુરુ તરફ જોઈ રહ્યો છું. મારી મદદે મારે રસ્તે હવે એ આવતા નથી. જાણે ઓળખતા જ ન હોય એમ ચાલી જાય છે. પણ હું હજુ એમને ભુલ્યો નથી.. ભૂલી શક્યો નથી..!’

***
અસલમાં એ જ તો રસ્તાની ચાલ સમજે છે,
સફરની ધૂળને જેઓ ગુલાલ સમજે છે.
-‘લક્ષ્ય’ ઠક્કર

લેખન.સંકલન – પાર્થ દવે

Exit mobile version