જીવન – મરણ સંસારનું એક એવું ચક્ર છે એક એવું સત્ય છે જેને આપણે બદલી નથી શકતાં કે અસ્વીકાર કરી શકતાં નથી. પૃથ્વી પર જન્મલેનાર દરેકને તેમાંથી પસાર થવું પડે છે. હંમેશાં એવું થતું હોય છે કે જ્યારે પણ કોઈનું મૃત્યુ નિપજે કે તરત જ એ નિર્જીવ દેહને અગ્નિદાહ જેમ બને એમ ઝડપથી આપી દેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. આવું શા માટે…? તેની પાછળના કારણો આપણે ઘણીવાર વિચારતાં હોઈએ છીએ. વળી એવો પણ પ્રશ્ન થતો હોય છે કે કેમ માત્ર હિંદુ ધર્મ નિભાવતા લોકોમાં છે આ પ્રથા…? આજે આ ગંભીર અને ઊંડી સમજણ ધરાવતા પ્રશ્નોનો ઉત્તર અહીં આપીએ છીએ. જાણો શું છે તેની પાછળના કારણો અને જાણો શું છે ધાર્મિક મર્મ આ વિધિવિધાનોનું આ બધા પ્રશ્નોનો ઉલ્લેખ આપણી ભારતીય સંસ્કૃતિના પુરાતન ગ્રંથ ગરુડ પુરાણમાં વાંચવા મળે છે. તેમાં રજૂ થયેલ લેખિત વર્ણન મુજબ જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે એ મૃતદેહની આસપાસ લાગતાં વળગતાં લોકો એકઠાં થવા લાગે છે. તે ઘર, શેરી અને મહોલ્લામાં કોઈપણ શુભ કાર્યોનું આયોજન કરવામાં નથી આવતું. જ્યાં સુધી શબ ત્યાં જ પડ્યું હોય ત્યાં સુધી તેની આસપાસ સહુ કોઈ ઈશ્વરનું નામ લઈને મંત્ર – જાપ કરતાં રહે છે. એથી વિશેષ તે ઘરમાં તો ચુલો પણ સળગતો નથી. હિંદુ ધર્મ માન્યતા પ્રમાણે શબની કાળજી રાખવી જરૂરી છે. શબને જો કોઈ પ્રાણી કે જીવજંતુ સ્પર્શે તે મૃતક માટે અશુભ મનાય છે. તે જીવની દુર્ગતિ થશે તેવું પણ મનાય છે.