છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ લોકોને હેરાન પરેશાન કરી મુક્યા છે, એવામાં જો રસીકરણ કરવામાં આવે તો કોરોનાને કાબુમાં લઈ શકાય તેમ છે પણ ગુજરાતમાં 21 જૂનથી મોટા ઉપાડે શરૂ થયેલા વેક્સિનેશન મહાઅભિયાનનો સાત દિવસમાં જ ફિયાસ્કો થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા સાત દિવસમાં સુરતમાં વેક્સિનેશનમાં 75 ટકાનો ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં રસીકરણ કેન્દ્રો પણ 50 ટકા ઘટાડી દેવામાં આવ્યાં છે. સરકાર પાસે વેક્સિનનો જથ્થો ઓછો આવતો હોવાના કારણે રસીકરણ કેન્દ્રો ઘટાડવામાં આવ્યાં છે
ગુજરાત સરકાર દ્વારા 30 જૂન સુધીમાં વેપારીઓ અને દુકાનદારોને વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે. જો કે નજીકમાં આવેલા મોટા ભાગના સેન્ટરો પર તાળા છે તો કેટલાય સેન્ટર પર વેકસીન ન હોવાના બોર્ડ લગાવેલા છે જેના કારણે હાલ વેપારીઓ અને દુકાનદારો વેક્સિનનેશન સેન્ટરો પર ધક્કા ખાઈ રહ્યા છે.
વડોદરામાં પણ રસી ન હોવાથી લોકોને વેકસીનેશન સેન્ટરના ધક્કા પડી રહ્યા છે. રવિવારે રેલવે સ્ટેશન ખાતેના કેમ્પમાં કોવિશીલ્ડ વેકસીન લેવા લોકોની લાઈનો લાગી હતી. બીજી તરફ સયાજી હોસ્પિટલ સહિતના વિવિધ સેન્ટરો ખાતે માત્ર કોવેક્સિન ઉપલબ્ધ હોવાથી સેન્ટરો ખાલીખમ જોવા મળ્યાં હતાં. શહેરમાં રવિવારે કોરોનાનો બીજો ડોઝ લેવા આવેલા 1 હજારથી વધુ લોકોને કોવિશીલ્ડ ન આવતાં પરત જવું પડ્યું હતું. જ્યારે રેલવે સ્ટેશન અને મુસ્લિમ સમાજ દ્વારા યોજાયેલા રસીકરણમાં કોવિશીલ્ડ ફાળવી હોવાથી લાઈનો જોવા મળી હતી. બીજી તરફ કોવેક્સિન લેવા પ્રત્યે લોકોમાં ઉદાસીનતા હોવાથી રસીકરણ કેન્દ્રો ખાલીખમ રહ્યાં હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજ 20 હજાર વેક્સિનના ડોઝ આપવાનો ટાર્ગેટ છે. પરંતુ તેની સામે છેલ્લા એક અઠવાડિયાથી 50 ટકાથી પણ ઓછું વેક્સિનેશન થઇ રહ્યું છે. રાજકોટમાં કોરોના પ્રતિરોધક રસી માટે આજે પણ વેક્સિનેશન કેન્દ્ર પર વહેલી સવારથી જ લોકોની લાઇનો જોવા મળી હતી. પરંતુ વેક્સિનનો પુરતો જથ્થો ન હોવાને કારણે વેક્સિનેશનના મહાઅભિયાનને બ્રેક લાગી ગઈ છે. જેમાં કોવિશીલ્ડનો અપુરતો જથ્થો હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં આજે 50 ટકા રસીકરણ કેન્દ્ર બંધ છે.
તમને જણાવી દઈએ કે વેક્સિનેશન મહાઅભિયાનમાં 84 દિવસ ઉપર થઈ જતાં હેલ્થકેર-ફ્રન્ટલાઈનવર્કરો-સિનિયર સિટિઝન્સને બીજો ડોઝ આપવાની આવશ્યકતા ઊભી થઈ છે, પરંતુ સરકાર દ્વારા વેક્સિનનો ડોઝ ઓછો સપ્લાય થઈ રહ્યો છે. ગઈ કાલે માંડ 13,153ને જ રસી મુકાઈ છે, એમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં 1097 તો સેન્ટ્રલ ઝોનમાં માંડ 590ને જ રસી મુકાઈ છે. આજે પણ 20થી 21 હજાર જ ડોઝ અપાશે.
એક સમય એવો હતો જ્યારે રાજ્યનાં અનેક શહેરોમાં લોકો રસી લેતાં થોડા ખચકાતા હતા. એટલું જ નહીં, રસી પણ 45 વર્ષથી વધુ વયના લોકોને જ અપાતી હતી. આ બંને કારણસર રસીકરણ ખૂબ ધીમું હતું, પરંતુ હવે સ્થિતિ એ સર્જાઈ છે કે લોકો રસી લેવા ઉત્સાહ બતાવી રહ્યા છે ત્યારે તંત્ર પાસે રસીના ડોઝ ઓછા છે.