ધન, વૈભવ અને યશની દાત્રી માતા લક્ષ્મીને રીઝવવા કરશો આ ઉપાયો અને ધ્યાનમાં લેશો શું નિષેધ છે.
ઇશ્વરીય ચેતનાનો આધાર આપણે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ ત્યારે આપણે દૈવીય શક્તિનું સ્વરૂપને પૂજીએ છીએ.
દેવીઓ અને દેવતાઓને આપણે એમની લાક્ષણિકતા મુજબ તેમનું પૂજન – અર્ચન કરતાં હોઈએ છીએ. જેમાં તેમને પૂજવાના અનેક લાભકર્તા યોગને અનુસરીએ છીએ. દેવીઓને શક્તિ સ્વરૂપા કહેવાય છે. તેમાંય મા સરસ્વતી, એ વિદ્યાની દેવી, જેમાં તેમની ઉપાસના કર્તા જાતકો જ્ઞાન અને કળાના યાચકો હોય છે. મા દુર્ગાની ઉપાસના કરતા ભક્તો શક્તિ ઇચ્છે છે. તેનો ન્યાય અને વિજયના યાચકો હોય છે.
આ સંસારમાં સૌ કોઈ લોકો એવા હોય છે જેમને એક દ્રવ્યની સૌથી વધુ જરૂર હોય છે તે છે ધન. દરેકને જીવન નિર્વાહ માટે નાણાંની જરૂર હોય છે. કોઈ સંતોષી જીવ હોય તો પર્યાપ્ત ધન પ્રાપ્તિ પછી તેનામાં વધુ લોભ જોવા નથી મળતો. પરંતુ અનેક લોકો એવા હોય છે જેમને અપાર ધન પણ ઓછું પડે! અલક્ષ્મી ન હોય ત્યાં મા લક્ષ્મીનો વાસ જરૂર હોય છે. એટલે જ્યાં ધન કમાવવાની રીત સાચી અને સારી હોય ત્યાં શુભ લક્ષ્મીનો કાયમી નિવાસ હોય છે.
મા લક્ષ્મીની સ્તુતિ કરવા હેતુ કેટલાક એવા પાસાની અહીં ચર્ચા કરીએ અને જેને નિષ્ઠાપૂર્વ અનુસરવાથી નિશ્ચિતરૂપે અલૌકિક લાભ નિવડશે એવું કહી શકાય છે.
या देवी सर्व भूतेषू लक्ष्मी रूपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥
મા લક્ષ્મીની અસીમ કૃપા જ્યારે વરસે છે ત્યારે માત્ર ધનલાભ જ નથી થતો. લક્ષ્મીની સાથે વૈભવ પણ પ્રવેશે છે અને કિર્તી પણ વધે છે. માતા લક્ષ્મીના શુભાશિષ થકી એવી કોઈ જ સમસ્યાઓ બાકી નથી રહેતી. કહેવાય છે કે લક્ષ્મી હશે તો બધાં દુઃખ દર્દ નિવારી શકાય છે. એમાં ખરેખર સાવ ખોટું તો નથી જ. સુખ સંપત્તિના યાચકો મા લક્ષ્મીની ઉપાસના કરે છે.
પૂરાણોમાં લખાયેલ દંતકથા મુજબ કહેવાય છે કે મા લક્ષ્મીનો જન્મ સમુદ્રમાંથી થયો છે અને સમુદ્રની મધ્યમાં શેષ નાગ પર શયન કરનારા એવા દેવતા ભગવાન શ્રી વિષ્ણુને પરણ્યાં છે. લક્ષ્મી અને નારાયણ એકમેકના પૂરક છે. એટલે જ જેમને લગ્ન જીવન હેતુ દાપત્ય સુખાકારી અને સંતાન સંપદાની પ્રાપ્તી કરવા ઇચ્છુક યાચકો પણ મા લક્ષ્મીની પૂજા કરે છે.
આજે સદીઓથી ચાલી આવતી માન્યતા મુજબ જો કોઈના ઘરમાં દારિદ્ર આવે કે રૂપિયા – નાણાંનું નુકસાન થાય તો સમજાય છે કે મા લક્ષ્મી કોઈથી નારાજ થયાં છે. સાથોસાથ એવુંય મનાય છે કે તેમની જ કૃપાથી યશ, કિર્તી અને વૈભવયુક્ત જીવન મળે છે.
મા લક્ષ્મીની પૂજા કરતી વખતે ધ્યાનમાં લેવાની બાબતોઃ
મા લક્ષ્મીની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય છે મધ્યરાત્રી. આ સમયે યાચકે ગુલાબી વસ્ત્રો પહેરવા વધુ અસરકારક રહેશે. મા લક્ષ્મીની જે છબી પૂજા હેતુ લેવાય તેમાં ધ્યાન રહે કે માતાજીની મૂર્તિએ ગુલાબી વસ્ત્રો પહેર્યાં હોય તથા તેઓ ગુલાબી રંગના કમળ પર બિરાજમાન હોય. સાથે તે તસ્વીરમાં માતાજીની હથેળીમાંથી ધનની વર્ષા થતી હોય એ ઉત્તમ રહેશે.
મા લક્ષ્મીનું અનુષ્ઠાન કરવામાં મંત્ર જાપ કરતી વખતે સ્ફટિકની માળાનો ઉપયોગ કરવો વધુ સારું છે. સામાન્ય રીતે શુક્રવારે મા લક્ષ્મીનું વ્રત કરવું જોઈએ. જ્યોતિષિય વિદ્યા અનુસાર શુક્રના ગ્રહને મા લક્ષ્મીના ગ્રહ તરીકે ઓળખાવાયો છે.
દરેક વ્યક્તિને તેમની અંગત ઉપાધિઓ હોય છે, તેમને પોતીકી સમસ્યાઓ હોય છે. જેથી દરેક જુદી તકલીફ મુજબ ઉપાયો પણ જુદા હોઈ શકે છે.
નિયમિત ધનની પ્રાપ્તી કરવી હોય તેવા યાચકો માટેઃ ધન લક્ષ્મીની પૂજા
જેમને ધનની આવશ્યકતા હોય તેમણે પૂજા માટે એવી છબીની સ્થાપના કરવી જેમાં માતાજીની હથેળીમાંથી ધનની વર્ષા થતી હોય. પૂજન કરવા પહેલાં ઘીનો દીવો કરવાનો રહેશે. તથા માતાજીને સુગંધી અત્તર સમર્પિત કરવાનું રહેશે. અત્તર માતાજીને દરેક વખતે પૂજામાં નિયમિત રીતે અર્પણ કરવું જોઈએ.
વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકોને આ રીતની પૂજા વધુ ફળદાયી રહે છે.
ધનની બચત કરવી હોય તેવા યાચકો માટેઃ ધાન્ય લક્ષ્મીની પૂજા
કહેવાય છે કે લક્ષ્મી એ ચંચળ વૃત્તિની હોય છે. જેમ તે આવતી જાય છે તેમ તે પોતાના વ્યયનો પણ રસ્તો જાતે જ કર્યા કરે છે. તેનો સંગ્રહ કરવો ખૂબ જ કઠિન છે. ધનની બચત કરવા ઇચ્છતા યાચકોએ પૂજા સ્થાનમાં એવી છબીનું સ્થાપન કરવું જેમાં અનાજની ઢગલીનું ચિત્ર હોય.
પૂજા શરૂ કરતી વખતે તેમણે ઘીનો દીવો કરવો અને ચાંદીના સિક્કાનું સ્થાપન કરીને પૂજા સંપન્ન કરવી. પૂજા થઈ ગયા બાદ તમારી તિજોરીમાં આ ચાંદીના સિક્કાને સાચવીને સ્થાપન કરવું જોઈએ જેથી લક્ષ્મી અચલ રહેવાનો સંકલ્પ રહે.
મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકોને આ રીતે કરાતી ધાન્ય લક્ષ્મીની પૂજા ખૂબ જ લાભદાયી નિવડે છે.
વ્યવસાય – ધંધામાં બરકત રાખવા ઇચ્છતા યાચકો માટેઃ ગજ લક્ષ્મીની પૂજા
જેમને પોતાનો વ્યવસ્થાય, ધંધો કે પેઢી હોય એવા યાચકોએ ગજ લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. ગજ એટલે હાથી અને તેમની લક્ષ્મી એટલે સુખાકારી, સંમૃદ્ધિ અને સંપન્નતા હાથીની જેમ સ્થૂળ અને સ્થાઈ રહે.
આ માટે યાચકોએ મા લક્ષ્મીની એવી છબીની સ્થાપના કરવી જેમાં માતાજી વચ્ચે બિરાજેલાં હોય અને બંને તરફ બેસીને સૂંઢ ઊંચી કરેલા અને માતાજીની તરફ જોઈ રહેલા હાથી ચિતરેલા હોય. આ પૂજામાં વિશેષ એ છે કે ઘીનો એક નહીં બલ્કે ત્રણ દીવડા કરવાના રહેશે. પૂજામાં મા લક્ષ્મીને ગુલાબ અર્પણ કરવાનું રહેશે. પૂજા સંપન્ન થયા બાદ આપના ધન સંચયના સ્થાને આ ગુલાબ પધરાવી દેવું અને દરરોજ તમારી એ ધનની તિજોરીમાં નવું ગુલાબ રાખીને બદલાવી દેવું જોઈએ.
ધન, મીન, વૃષભ, કન્યા અને મકર આ રાશિઓના જાતકો જો પોતાનો કારોબાર ચલાવતા હોય તો તેમણે ધિકતી સફળતા મેલવવા દરરોજ ગજલક્ષ્મીની પૂજા અવશ્ય કરવી જોઈએ.
નોકરીમાં ચઢતી ઇચ્છતા યાચકો માટેઃ ઐશ્વર્ય લક્ષ્મીની પૂજા
જે યાચકો નોકરી કરે છે અને ઇચ્છે છે કે તેમને નોકરીમાં ઝટ પ્રમોશન મળે અને પગારમાં વધારો થાય તો તેમણે એશ્વર્ય લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. એશ્વર્ય એટલે કે તમારામાં રહેલી કુશળતાની નોંધ દુનિયામાં લેવાય. તમારી દુનિયા જ્યાં તમે નોકરી કરતાં હોવ ત્યાં તમારી આવડત અને ક્ષમતાની પ્રસંશા થાય એ તમારું ઐશ્વર્ય વધ્યું કહેવાશે.
આ યાચકોએ માતા લક્ષ્મીની છબી સ્થાપન કરતી વખતે ધ્યાન રાખવું કે તેમાં સાથે ગણેશજી પણ પડખે બીરાજમાન હોય. ગણેશનીની આગળ પીળા રંગનું ફૂલ અને માતાજીની આગળ ગુલાબી રંગનું ફૂલ અર્પણ કરવું જોઈએ. આ સાથે મા લક્ષ્મીને અષ્ટગંધ ચડાવવું. જેનો ઉપયોગે યાચકે પોતે પણ સ્નાનાદિ પતાવીને પૂજા કરતી વખતે તિલક કરવું જોઈએ.
કર્ક, વૃશ્વિક અને મીન રાશિના જાતકોને માટે ઐશ્વર્ય લક્ષ્મીની પૂજા વિશેષ લાભદાયક રહે છે.
ધનના નુકસાનથી બચવા ઇચ્છતા યાચકો માટેઃ વર લક્ષ્મીની પૂજા
જ્યારે આપણે જાતમહેનતથી કમાણી કરતાં હોઈએ છીએ ત્યારે આપણને સતત એવો ડર રહે છે કે આપણે કમાયેલ લક્ષ્મી તરત વપરાઈ ન જાય અથવા તો વ્યવસાથમાં નુકસાન થઈને એ લક્ષ્મી આપણી પાસેથી જતી ન રહે. આ રીતે લક્ષ્મીનું નુકસાન ન થાય તેના માટે વર લક્ષ્મીની પૂજા સ્થાપન કરાય છે.
વારંવાર થતા નુકસાનને નિવારવા હેતુ એવી મા લક્ષ્મીની છબીનું સ્થાપન કરવું જોઈએ જેમાં માતાજી બેસેલા સ્વરૂપે નહીં પણ ઊભા સ્વરૂપે હોય અને એમની હથેળીમાંથી ધનની વર્ષા થતી હોય. દરરોજ સવારે નિત્યક્રમ પતાવીને પૂજા કરતી વખતે મા લક્ષ્મીના ચરણોમાં એક રૂપિયાનો સિક્કો ચડાવવો જોઈએ. આ એક રૂપિયાના સિક્કાને દરરોજ બદલી લેવો અને એક પાત્રમાં ભેગા કરતું જવું. મહિનાના અંતે એ બધા સિક્કને કોઈ સૌભાગ્યવતી સ્રીને આપી દેવાના રહેશે.
મેષ, ધન અને સિંહ રાશિના જાતકો માટે આ રીતે કરેલું વર લક્ષ્મીનું પૂજન અદભૂત રીતે લાભ આપશે.
જો આપ આજ સુધી કોઈપણ પ્રકારે ધનની તંગીથી પીડાતા હશો તો ઉપર્યુક્ત કોઈ પણ વિધિ અનુસાર નિષ્ઠાપૂર્વક મા લક્ષ્મીનું નામ લઈને પૂજા કરશો તો અચૂક લાભદાયી નિવડશે તેવી શુભેચ્છાઓ…
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !