ગંભીર માનસિક બિમારી એટલે વહેલું મૃત્યુ, આ સ્થિતિમાં આપણે કેટલો સુધારો લાવી શકીએ છીએ ?
જે લોકો ગંભીર માનસિક બિમારી ધરાવતા હોય છે તેઓને સામાન્ય લોકો કરતાં મૃત્યુનું જોખમ અઢીગણું વધારે હોય છે. ગંભીર માનસિક બિમારી ધરાવતા લોકો તે જ કારણથી મરે છે જે કારણથી સામાન્ય લોકોનું મૃત્યુ થતું હોય છે. – પણ ઘણા બધા લોકો એવા છે જેઓ નાની વયે જ મૃત્યુને ભેટી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં લગભગ ચાર લાખ લોકોના મૃત્યુનું કારણ તપાસવામાં આવ્યું અને તેનું કારણ પણ શોધવામાં આવ્યું છે.
આપણે છેલ્લા લાંબા સમયથી જાણીએ છીએ કે ક્રીઝોફ્રેનિયા અને બાયપોલર ડીસઓર્ડર ધરાવતા લોકો આપણા કરતાં લગભગ 10થી 15 વર્ષ વહેલા મૃત્યુ પામે છે. તેનો અર્થ એ થાય કે યુકેમાં પુરુષની સરેરાશ આયુ 78 છે જ્યારે સ્ત્રીની 82 છે. પણ જો તેમને ગંભીર માનસિક બિમારી હોય તો આ સરેરાશ આયુ અનુક્રમે 68થી 72 સુધી ઘટી શકે છે. તેને પ્રિમેચ્યોર મોર્ટાલિટી એટલે કે અપરિપક્વ મૃત્યુ કહેવાય છે.આ સમસ્યા આધુનિક જીવનશૈલીની દેન છે. જે લોકો સામાજિક-આર્થિક રીતે એકલા પડી ગયા હોય છે તેમાં વહેલા મૃત્યુની સમસ્યા વધારે જોવા મળે છે. પણ આ વહેલા મૃત્યુને આપણે ઘણી બધી રીતે રોકી શકીએ તેમ છીએ.
4 લાખ લોકોના અભ્યાસ માં અમે સામાન્ય લોકો અને ગંભીર માનસિક બિમારી ધરાવતા લોકો વચ્ચેના મૃત્યુ વચ્ચે સરખામણી કરી. મૃત્યુના જુદા જુદા કારણો પર આ પ્રકારનું વિગતવાર પરિક્ષણ પહેલાં ક્યારેય કરવામાં આવ્યું નથી. મોટા ભાગના અભ્યાસો માત્ર કોઈ એક પ્રકારના હેલ્થ સેટિંગ પર કેન્દ્રિત છે. અમને માત્ર એટલું જ જાણવા નથી મળ્યું કે સામાન્ય લોકો કરતાં ગંભીર માનસિક બિમારી ધરાવતા લોકોને અઢીગણું વહેલા મૃત્યુનું જોખમ હોય છે પણ આવી બીમારી ધરાવતા જે લોકો હોસ્ટિપટલમાં ભરતી થયા હોય તેમને તો તે જોખમ તેનાથી પણ બેવડુ વધી જાય છે.
ગંભીર માનસિક બિમારી ધરાવતા આ લોકોમાંના બે તૃત્યાંશ લોકો હૃદય, શ્વસન (ખાસ કરીને ન્યુમોનિયા) અને કેન્સર (મોટે ભાગે ફેફસા અને આંતરડાના) કારણે મૃત્યુ પામે છે. આવા સંજોગોમાં મૃત્યુનું થોડું જોખમ પણ ઘણો બધો તફાવત ઉભો કરી શકે છે. આ વિસ્તારમાં આપણે નક્કર રીતે ઘણા બધા જીવન બચાવી શકીએ તેમ છીએ. જાણવા મળ્યું છે કે ગંભીર માનસિક બિમારી ધરાવતા લોકોમાં શ્વસનને લગતા રોગો માં જીવનું જોખમ ત્રણ ગણું વધી જાય છે જ્યારે હૃદય રોગનું જોખમ બે ગણું વધી જાય છે.
મૃત્યુના બીજા સામાન્ય કારણો પણ સામાન્ય લોકો કરતાં આવા લોકોમાં વધારે જોવા મળે છે. તેમાં ગંભીર માનસિક બિમારીની સાથે સાથે જેમને અલ્ઝાઈમર, પાર્કિન્સન અથવા ડીમેન્શિયા હોય તેમનો પણ સમાવેશ થાય છે.જે લોકો અજાણ્યા કારણોથી મૃત્યુ પામે છે તેમને (13 ગણું વધારે) અને જે લોકો આત્મહત્યાથી મૃત્યુ પામે છે તેમાં (12 ગણું વધારે) દ્રવ્યોના દુરઉપોયગ દ્વારા મૃત્યુ પામે છે તેમાં (8 ગણું વધારે) મૃત્યુનુ પ્રમાણ જોવા મળે છે. મૃત્યુ માટેના આ કારણો હૃદય રોગ જેવા સામાન્ય કારણો કરતાં વધારે અસામાન્ય છે, ખાસ કરીને સામાન્ય લોકોની સરખામણીએ.
અભ્યાસ દર્શાવે છે કે અજાણ્યા કારણસર થયેલા મૃત્યુ મોટે ભાગે આત્મહત્યા અથવા તો હૃદય રોગના કારણે થયેલા હોય છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે સામાન્ય લોકો કરતાં માનસિક બીમારી ધરાવતા લોકોમાં આત્મહત્યાનું જોખમ વધારે ઉંચુ હોય છે. (ગંભીર માનસિક બિમારી ધરાવતા લોકોમાં 12 ગણું વધારે જોખમ રહેલું હોય છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોનું જોખમનું પ્રમાણ 16 ગણું વધારે હોય છે અને જો તે સ્ત્રી હોય તો 21 ગણું જોખમ વધી જાય છે. માટે સમસ્યા આપણે સમજીએ છીએ તેના કરતાં કયાંય વધારે ખરાબ છે.
તો આપણે શું કરી શકીએ ?
જાહેર સ્વાસ્થ્યના પરિપ્રેક્ષ્યથી જોવા જઈએ તો જે લોકો ગંભીર માનસિક બિમારી ધરાવતા હોય તેમને શારીરિક બિમારીઓ માટે ઉચ્ચ જોખમ ધરાવતા લોકો તરીકે ગણવા જોઈએ.આવા લોકોને સતત સાથની જરૂર હોય છે. તેઓ માનસિક રીતે નબળા હોવાથી તમે તેમને એકલા છોડી શકો નહીં.
આવા લોકો માટે એક મિત્રતાપૂર્ણ વાતાવરણ ઉભુ કરવું જોઈએ.જ્યારે માનસિક રોગી હોવાની સાથે સાથે તેઓ બીજા પણ શારીરિક રોગોથી પિડાતા હોવ ત્યારે તેમને એક્સ્ટ્રા કેરની જરૂર પડે છે. માટે તેમની આગવી સંભાળ લેવી જોઈએ.
આવા લોકોને હંમેશા લોકોમાં ભળવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમજ ભાત-ભાતની ઇત્તર પ્રવૃત્તિઓમાં શામેલ કરવા જોઈએ.જો તેઓ વૃદ્ધ હોય તો તેમને તેમના પૌત્ર-પૌત્રી સાથે સમય પસાર કરવા દેવો જોઈએ. તે તેમના માટે હીલીંગનું કામ કરશે. તેનાથી તેમનું મન પ્રસન્ન રહેશે અને જો મન પ્રસન્ન રહેશે તો તેઓ પોતાની શારીરિક સમસ્યાઓ પર પણ ધ્યાન આપશે.
આવા લોકો નિરાશાનો ભોગ બને છે અને તે કારણે ડ્રગ્સ, આલ્કોહોલ, અને સ્મોકિંગના રવાડે ચડે છે. માટે તેમ ન થાય તે માટે તેમને ક્યારેય એકલા પાડવા નહીં અને તેમને હંમેશા પ્રેમ આપવો.