મર્ણિકર્ણિકા – જુસ્સા ઝનૂન અને જોમ સાથે અંગ્રેજો સામે હકની લડાઇ લડ્યા…

સાબરમતી નદીના કિનારા પર રીવરફ્રન્ટ પર લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે અને સવારના સમયમાં મોટી સંખ્યામાં ચાલવા માટે આવી રહ્યા છે. અનેક લોકોની સાથે બહારગામથી અમદાવાદ આવેલા નિલય અને પાયલ પણ રીવરફ્રન્ટ પર લટાર મારવાનો આનંદ માણી રહ્યા છે. આ પ્રેમી યુગલ પોતાની મસ્તીમાં મસ્ત બનીને પ્રેમની અદભુત ક્ષણોનો આનંદ લુટી રહ્યા છે.

image source

રીવરફ્રન્ટ પર પાયલ નિલયને પુછે છે કે આ સાબરમતી નદી પર આવુ અદભુત કામ કોણે કર્યુ છે ત્યારે નિલય કહે છે કે આ રીવરફ્રન્ટનું કામ આપણી સરકારે કર્યુ છે અને તેમાં હજુ પણ અનેક આકર્ષણો ઉમેરવામાં આવશે તેવું મને લાગી રહ્યુ છે. પાયલે કહ્યુ કે, આપણે લગ્ન કરીને ફરીથી અહી આવશુ ત્યારે રીવરફ્ન્ટ વધુ શાનદાર બની ગયો હશે એમ ને? હા એવુ જ હશે તું સાચુ સમજી છુ તેમ નિલયે કહ્યુ.

પાયલે એક બોર્ડ તરફ ઇશારો કરતા પ્રશ્ન કર્યો કે આ “મર્ણિકર્ણિકા” કોણ છે? ત્યારે નિલયે કહ્યુ કે, તે ઝાસીની રાણી લક્ષ્મીબાઇનું નામ તો સાંભળ્યુ જ છે તે જ “મર્ણિકર્ણિકા” છે. તો મને તું “મર્ણિકર્ણિકા” ની વિગતવાર માહીતી આપને અને તેમણે દેશ માટે શું કામ કર્યુ છે તે અંગે મને જણાવો.

નિલયે જણાવ્યુ કે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનો જુસ્સો ઝનૂન અને જોમ જેમના નામના ઉલ્લેખ વગર ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામનો ઇતિહાસ અધૂરો ગણાય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ ફક્ત ૨૩ વર્ષની ઉંમરે શહાદત વહોરનારાં એક બ્રાહ્મણ પુત્રી હતાં. લક્ષ્મીબાઈનું મૂળ નામ “મર્ણિકર્ણિકા હતું.

image source

લાડમાં બધા તેમને મનુ કહેતા હતા. ૧૯ નવેમ્બર, ૧૮૩૫ના રોજ તેમનો જન્મ કાશીમાં રહેતા એક મરાઠી પરિવારમાં થયો હતો. પિતા મોરોપંત મહારાષ્ટ્રના સતારા જિલ્લાના વાઈ ગામના વતની હતા. માતા ભાગીરથીબાઈ સુશીલ અને ધર્મપ્રેમી હતાં, પરંતુ મનુના નસીબમાં માતૃસુખ વધારે સમય લખાયું ન હોતું. ચાર વર્ષની ઉંમરે માતાનું છત્ર ગુમાવ્યું હતુ.

પુત્રી મનુ સાથે મોરોપંત બિઠુરમાં સ્થાયી થયા હતા. એક જ્યોતિષીએ તો ભવિષ્યવાણી પણ ભાખી કે આ છોકરી મોટી થઈને મહારાણી બનશે. તેર વર્ષની ઉંમરે મનુનાં લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે થયાં હતા. ગંગાધરરાવ નિ:સંતાન હોવાથી તેમણે મનુ સાથે આ બીજાં લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી મનુ લક્ષ્મીબાઈ તરીકે ઓળખાવા લાગ્યા હતા. લગ્ન પછી પણ લક્ષ્મીબાઈએ ઘોડેસવારી, નિશાનબાજી, તલવારબાજી, કુસ્તી વગેરે ચાલુ રાખ્યાં હતા. રાજ્ય કારભારમાં પણ રસ લેવા માંડ્યો હતો. આ સુખના દિવસોમાં જ તેમને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો હતો.

image source

ઘણાં વર્ષે રાજાને ત્યાં પારણું બંધાયું હોવાથી ઝાંસીની પ્રજાનો હરખ સમાતો નહોતો. પરંતુ તેમના હરખને કોઇની નજર લાગી ગઇ હોય તેવી ઘટના બને છે. રાજાના ભાગ્યમાં પુત્રસુખ લખાયું નહોતું. ત્રણ માસમાં જ પુત્ર મૃત્યુ પામ્યો. આ આઘાત રાજા માટે અસહ્ય બની રહ્યો અને પુત્રવિરહમાં તે અસ્વસ્થ રહેવા લાગ્યા હતા. અનેક સારવાર છતાં તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં. મરતાં પહેલાં તેમણે પુત્રને દત્તક લેવાનો નિર્ણય કર્યો, જેથી તેમનું રાજ્ય જળવાઈ રહે.

image source

રાણીની સંમતિથી તેમણે મિત્ર વાસુદેવ નેવાલકરના પુત્ર દામોદરરાવને દત્તક લીધો હતા. ત્યાર પછી ટૂંક સમયમાં જ ગંગાધરરાવનું અવસાન થયું હતુ. માત્ર ૧૮ વર્ષની ઉંમરે લક્ષ્મીબાઈ વિધવા થયાં હતા. પતિના મૃત્યુનો કારમો આઘાત લાગ્યો હતો. અંગ્રેજ ગવર્નર ડેલહાઉસી ઝાંસી પર ટાંપ માંડીને બેઠો હતો. ગંગાધરરાવના મૃત્યુના ચાર મહિનાની અંદર જ ડેલહાઉસીએ ઝાંસીને કંપની સરકારમાં ભેળવી દેવાનો આદેશ આપ્યો હતો.

image source

રાણીના દત્તક પુત્ર દામોદરરાવને ગેરકાયદે જાહેર કર્યો હતો. ગંગાધરરાવે પોતાના વસિયતનામામાં સ્પષ્ટ લખ્યું હતું કે જ્યાં સુધી દત્તકપુત્ર વયસ્ક ન બને ત્યાં સુધી લક્ષ્મીબાઈ ઉત્તરાધિકારી તરીકે કામ કરશે, પરંતુ ડેલહાઉસીએ તેને માન્ય ન રાખ્યું હતુ. રાણીને વાર્ષિક પાંચસો રૂપિયા પેન્શન બાંધી આપ્યું. રાણીને પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેવાના દિવસો આવ્યા, પરંતુ રાણી શાંત બેસી ન રહ્યાં. તેમણે પોતાના અધિકાર માટે લડી લેવાનો નિર્ણય કરી લીધો હતો.

પાયલે ફરી પ્રશ્ન કર્યો કે તો પછી લક્ષ્મીબાઇએ શુ કર્યુ? તેઓએ અંગ્રેજો સામે હથીયાર હેઠા મુકી દિધા કે પછી પોતાના હકની લડાઇ ચાલુ રાખી હતી. નિલયે જણાવ્યુ કે, રાણી લક્ષ્મીબાઈ અને નાનાસાહેબ વચ્ચે એકતા સ્થપાઈ હતી. બીજા એવા કેટલાક રાજાઓએ સાથે મળીને કંપની સરકાર સામે મોરચો માંડવાનું આયોજન કરવા માંડ્યું હતુ. રાણીની હિલચાલની કંપની સરકારને ગંધ આવી જતાં તેણે રાણીનું પેન્શન બંધ કરી દીધું હતુ.

image source

તેમની સેનામાંથી સૈનિકોને દૂર કરવામાં આવ્યા હતા. લોકોમાં પણ કંપની સરકાર વિરુદ્ધ આક્રોશ વધતો જતો હતો. સાધુ, સંત, ફકીર, મૌલવી વગેરે પણ તેમાં જોડાયા હતા. રોટી અને કમળના સંકેત દ્વારા સર્વત્ર કંપની સરકાર સામે લડવા તૈયાર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ૧૦ મે, ૧૮૫૭ના રોજ સ્વાતંત્ર્યસંગ્રામનો સૌપ્રથમ વિસ્ફોટ બરાકપુરની છાંવાણીમાં થયો.

image source

ત્યાંના સૈનિક મંગલ પાંડેએ એક અંગ્રેજ અધિકારીને બંદૂકની ગોળીએ ઠાર કર્યો હતો. આ ચિનગારીએ અંગ્રેજ સરકાર સામે દાવાનળનું સ્વરૂપ ધારણ કર્યું હતુ. મેરઠ, કાનપુર, દિલ્હી વગેરે સ્થળોએ તેની જ્વાળા ફેલાઈ ગઈ હતી. કંપની સરકારનો પ્રતિરોધ તેની સામે નિષ્ફળ રહ્યો હતો. ઝાંસીના કિલ્લા પર સ્વરાજનો ઝંડો લહેરાયો હતો. રાણીએ સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં હતા. રાણી દીર્ઘદ્રષ્ટા હતાં એટલે નીચિંત બનીને બેસી ન રહ્યાં. ૮ જૂન, ૧૮૫૭ થી ૪ એપ્રિલ, ૧૮૫૮ સુધી રાણીએ ઝાંસીનો કારભાર સંભાળ્યો હતો.

૨૩ માર્ચ, ૧૮૫૮ના રોજ કંપની સરકારના કર્નલ હ્યુરોજે મોટી સેના સાથે ઝાંસી પર આક્રમણ કર્યું હતુ. રાણી પણ યુદ્ધ માટે સજ્જ હતાં. રાણી પાસે રણકૌશલ્ય હતું, પરંતુ પાડોશના કોઈ રાજાઓએ સહકાર ન આપ્યો. બાજી હાથમાંથી જતી જોઈ રાણી હતાશ થઈ ગયાં હતા. તેમણે આત્મબલિદાનનો નિર્ણય કરી લીધો, પરંતુ સ્વાધીનતાનો સંગ્રામ આગળ ધપાવવાનો હોવાથી રાણીનું જીવતાં રહેવું જરૂરી હતું. ખૂબ મનામણાંને અંતે રાણી કિલ્લો છોડવા તૈયાર થયાં અને મધરાતે ઉત્તર તરફના દરવાજેથી ઝાંસીને છેલ્લા પ્રણામ કરીને સેવકો મોરોપંત અને દામોદર સાથે ઝાંસી છોડ્યું.

image source

રાણી જેવી હૂબહૂ દેખાતી ઝલકારીબાઈએ રાણીનાં કપડાં પહેરી અંગ્રેજ સેનાને અંધારામાં રાખી. અંગ્રેજો સામે યુદ્ધ કરતાં તે શહીદ થઈ ગઈ. આ બાજુ રાણી હેમખેમ કિલ્લો છોડી કાલ્પીના રસ્તે આગળ નીકળી ગયાં. કાલ્પીમાં રાવસાહેબ અને તાત્યા ટોપેને મળીને આગળની નીતિ ઘડી કાઢી હતી.

પછી શુ થયુ તેવો પાયલે ફરીથી પ્રશ્ન કર્યો ત્યારે નિલયે જણાવ્યુ કે, આખરી યુધ્ધમાં અંગ્રેજ સેના રાણી સુધી પહોંચી ગઈ હતી. એક સૈનિકે પાછળથી રાણી પર તલવારનો ઘા કર્યો. રાણીના માથાનો જમણો ભાગ ઘવાયો હતો. તેમણે ત્વરાથી પાછા ફરીને પોતાના પર હુમલો કરનાર અંગ્રેજ સૈનિકને તલવારના એક જ ઝાટકે મોતને ઘાટ ઉતારી દીધો હતો.

image source

ત્યાં તો એમના પર બીજો ઘા થયો. આ ઘા આંખ પર વાગ્યો હતો. તેમની આંખ બહાર નીકળી ગઈ. ત્યાં એમના પર ત્રીજો ઘા થયો. એમાં એમનો ઘોડો ઘાયલ થયો હતો. રાણી ઘોડા પરથી નીચે પટકાયાં અને હવે તે પૂરી રીતે ઘાયલ થઈ ગયાં હતાં. થોડી વારમાં જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતુ. પરંતુ તેમનું બલિદાન એળે ન ગયું. તેમાંથી પ્રેરણા લઈને પછીથી અનેક યોદ્ધાઓ તૈયાર થયા, જેમણે સ્વતંત્રતાની જ્યોત જલતી રાખી ભારતમાતાને વિદેશી શાસનમાંથી મુક્તિ અપાવી છે.

લેખક – નીલકંઠ વાસુકિયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ