માતૃત્વ સાથે માનવતાની મહેક, મહિલા પોલિસે લાવારિસ શિશુને સ્તનપાન કરાવ્યુ
સ્ત્રીને વાત્સલ્યનું વરદાન આપીને ઈશ્વરે સમાજ પર બહુ મોટી કૃપા કરી છે,સ્ત્રી માત્રમાં ઈશ્વરે એક માતા મુકી છે અને એટલે જ કોઈ પણ પરિસ્થિતિની અંદર સ્ત્રીનું હૃદય માતૃત્વ ને શોધી લે છે.
તાજેતરમાં જ બેંગ્લોરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે રસ્તામાંથી મળી આવેલા લાવારિસ બાળકને સ્તનપાન કરાવી માતૃત્વ સાથે માનવતાનો પણ પુરાવો પૂરો પાડયો હતો
,રસ્તાની એકબાજુ કોઈ નવજાત શિશુ લાવારિસ હાલતમાં મળી આવ્યું હતું. બાળક ઠંડીથી કાંપી રહ્યો હતો. તેના શરીર ઉપર કીડીઓ ચાલી રહી હતી.એટલું જ નહિ ઠેરઠેર એના શરીર ઉપર કીડીઓએ ચટકાં પણ ભર્યા હતા.બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યુ હતું.
બાળકની હાલત જોઈ બેંગ્લોરની મહિલા કોન્સ્ટેબલ સંગીતા હલીમાનીનું માતૃત્વ જાગી ઊઠ્યું અને તેણે હોસ્પિટલ સત્તાવાળા સમક્ષ બાળકને સ્તનપાન કરાવવા દેવા વિનંતી કરી.
સંગીતાની વિનંતી હોસ્પિટલે માન્ય રાખી અને સંગીતા એ બાળકને સ્તનપાન કરાવ્યું .હાલ બાળક નો ઈલાજ ચાલી રહ્યો છે.સંગીતા પોતે દસ મહિનાની દીકરી ની માતા છે. એટલે સ્વાભાવિક જ છે કે આવી હાલતમાં નવજાત શિશુ ને જોઈ સંગીતાનું હૃદય પણ તડપી ઊઠે અને માતૃત્વ જાગૃત થાય.
વિચાર એવો આવે કે કોણ આવા નવજાત શિશુને છોડીને ચાલ્યુ ગયુ હશે ?એ પણ એક માતા જ હશે ,શક્ય છે કે કુમારી માતા હશે અથવા તો કોઈ અન્ય મજબૂરી હશે. પણ માણસોની મજબૂરીમાં આવનાર બાળકના ભવિષ્ય તો પિખાઇ ચૂક્યું છે.
આ અગાઉ હૈદરાબાદમાં પણ આવી જ રીતે ઓસ્માનિયા જનરલ હોસ્પિટલની બહાર રડી રહેલી બાળકીને પોલીસ સ્ટેશન પહોંચાડવામાં આવી હતી . ભૂખથી રડી રહેલી બાળકીને જોઈને કોન્સ્ટેબલ પ્રિયંકાએ પણ તેને પોતાનું દૂધ પીવડાવ્યું હતું.
દુનિયાભરમાં હજી મહિલાઓ જાહેરમાં પોતાના બાળકને પણ સ્તનપાન કરાવતા શરમાય છે ત્યારે બીજાના બાળકને માત્ર જીવન આપવાના આશયથી સ્તનપાન કરાવનારી મહિલાઓની સંવેદના ખરેખર કાબિલ એ તારીફ છે.
અમેરિકામાં બનેલો એક કિસ્સો પણ અત્રે યાદ આવે છે.અમેરિકાની મોડેલ મારા માર્ટીને મિયામીમાં યોજાયેલા એક ફેશન શોમાં પોતાની પાંચ મહિના ની દીકરી આરિયાને ફેશન શોમાં રેમ્પ વોક કરતા કરતા સ્તનપાન કરાવ્યું હતું.
નવેમ્બર 2018 માં ફિલિપાઇન્સની flight attendant પેટ્રિશા ઓર્ગેનો એ પણ ફ્લાઇટની પ્રવાસી મહિલા પાસે દૂધ ખલાસ થઈ જતા ભૂખથી રડતા તેના બાળકને સ્તનપાન કરાવ્યું હતું। પેટ્રિશાના ઉમદા કાર્યની સમાજમાં ઘણી પ્રશંસા થઇ હતી.
ભારતમાં પારકાના બાળકને સ્તનપાન કરાવવાની ઘટના નવી વાત નથી .આપણે ઇતિહાસમાં પણ એવા કિસ્સા સાંભળ્યા જ છે કે રાજકુમારોને પણ દાસીઓએ સ્તનપાન કરાવી ને મોટા કર્યા હોય.
આ સાથે એક એવી પણ વાત કરી લેવાનું મન થાય કે સ્તનપાન કરાવવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.બાળક સ્વસ્થ રહે છે. માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે.ખરેખર તો જે માતા ને દૂધ વધુ આવતું હોય તેવી માતાએ જરૂરિયાતવાળા સ્તનપાન કરાવી એક ઉમદા સેવાનો દાખલો બેસાડવો જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ