મકર સંક્રાંતિ પર શા માટે ઉડે છે પતંગ ? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ
સંક્રાંતિ એટલે કે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન. આમ તો સૂર્ય દર 30 દિવસ રાશિ પરિવર્તન કરે છે. પરંતુ જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાતિ કહેવાય છે. મકર સંક્રાંતિ પર્વનું આપણા દેશમાં આગવું મહત્વ છે.
મકર સંક્રાંતિના દિવસે દાન, સ્નાન અને પૂણ્ય કર્મ કરવામાં આવે છે. સાથે જ આ દિવસે મોટાભાગના લોકો પતંગ પણ ઉડાડે છે. આ પરંપરા પણ વર્ષો જૂની છે. આ દિવસે આકાશમાં રંગ-બેરંગી પતંગો ઉડતી જોવા મળે છે.
દેશભરમાં મકર સંક્રાંતિના દિવસે આકાશ પતંગોથી છલકાતું રહે છે. ગુજરાત સહિત અનેક રાજ્યોના મુખ્ય શહેરોમાં આ દિવસે પતંગોત્સવ કે પતંગ ચગાવવાની સ્પર્ધા પણ કરવામાં આવે છે.
મકર સંક્રાંતિ પર પતંગ ચગાવવાનું આટલું મહત્વ હોવા પાછળ પણ એક કારણ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે આ દિવસે પતંગ ચગાવવામાં આવે છે ? નથી વિચાર્યું તો આજે જાણો પતંગ ચડાવવા પાછળના કારણ વિશે.
મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉડાવી આ તહેવાર મનાવવામાં આવે છે. આ ચલણ માત્ર યુવાનોમાં જ નહીં પરંતુ પતંગની મજા પરીવારના દરેક સભ્યો માણે છે. પતંગ ઉડાડવાનો રિવાજ મકર સંક્રાંતિ સાથે જોડાયેલો છે. મકર સંક્રાંતિના દિવસે લોકો પોતાના ઘરની અગાસી પર પતંગ ચગાવે છે, પરીવાર અને મિત્રો સાથે ભોજનની મજા પણ પતંગ સાથે જ માણે છે.
આ પ્રથા સાથે એક વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પતંગ ચઢાવવી એટલા માટે જરૂરી છે કે તે સમયે શરીરને સૂર્યના તડકાનો લાભ મળે. કહેવાય છે કે શિયાળાની શરૂઆત થાય ત્યારથી વ્યક્તિને શરદી, ઉધરસ, તાવ જેવા ચેપ લાગતા રહે છે. પરંતુ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે.
સૂર્ય જ્યારે ઉત્તરાયણમાં હોય છે ત્યારે તેની કિરણો એટલે કે સૂર્યનો તડકો શરીર માટે ઔષધિનું કામ કરે છે. આ જ કારણ છે કે મકર સંક્રાંતિ પર પતંગ ચડાવવાની પ્રથા શરૂ કરવામાં આવી.
એટલે કે લોકો સવારથી જ અગાસી પર ચઢી અને સાંજ થાય ત્યાં સુધી તડકામાં રહી પતંગ ચડાવે છે. આ મજા કરતી વખતે તેમના શરીરને તડકાથી શેક મળે છે. સૂર્યના તડકાથી શરીરના ચેપ દૂર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.
એક માન્યતા એવી પણ છે કે ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામએ મકર સંક્રાંતિના દિવસે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાવી હતી. ત્યારથી જ આ પરંપરા શરૂ થઈ છે. પ્રાચીન ભારતીય સાહિત્ય અને ધાર્મિક ગ્રંથોમાં પણ પતંગબાજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હિંદૂ પંચાંગ અનુસાર પોષ માસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે આ પર્વ ઉજવાય છે. પૌરાણિક માન્યતાઓ એવી પણ છે કે આ દિવસે દેવો પણ ધરતી પર અવતરિત થાય છે અને આત્માઓને મોક્ષ પ્રાપ્ત થાય છે.
મકર સંક્રાંતિના દિવસે પુણ્ય, દાન, જાપ તથા ધાર્મિક અનુષ્ઠાનને મહત્વ આપવામાં આવે છે. આ દિવસે ભગવાનને ખિચડીનો ભોગ ધરવામાં આવે છે. કેટલાક સ્થાનએ ખિચડી દાનમાં આપવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ