જાણો શા માટે સૂર્યાસ્ત પછી નથી કરવામાં આવતાં અંતિમ સંસ્કાર ?
સનાતન સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્ર મુજબ માનવ જીવનમાં જન્મથી લઈ મૃત્યુ સુધીમાં સોળ સંસ્કારો થાય છે. તેમાં પ્રથમ સંસ્કાર ગર્ભ સંસ્કાર હોય છે જેના કારણે માનવ જીવનની પ્રક્રિયા શરૂ થાય છે. ત્યારપછી જે રીતે મનુષ્યનું જીવન અને ઉંમર વધે છે તે રીતે તેના જીવનના અન્ય સંસ્કાર પૂર્ણ થાય છે. આમ કરતાં કરતાં તે તમામ સંસ્કારો પૂર્ણ કરી અને સોળમા સંસ્કારો તરફ આગળ વધે છે. આ સોળમો સંસ્કાર એટલે વ્યક્તિના અંતિમ સંસ્કાર, આ સંસ્કારમાં આત્મા પોતાના શરીરનો ત્યાગ કરે છે.
જો કે આ સંસ્કાર અત્યંત ખાસ હોય છે. એટલે જ તો શરીર છોડ્યા પછી માણસની આત્મા પરલોક ગમન કરે તે માટે પદ્ધતિસર તેને અંતિમ વિદાય આપવામાં આવે છે. માણસના અંતિમ સંસ્કાર કરી તેના નશ્વર શરીરને પાંચ તત્વોમાં ભેળવી દેવામાં આવે છે. અંતિમ સંસ્કાર કરવાના કેટલાક નિયમો શાસ્ત્રોમાં દર્શાવાયા છે. અંતિમ સંસ્કાર પદ્ધતિસરના નિયમો પાળીને જ કરવા જોઈએ. આ નિયમોનું પાલન જેના અંતિમ સંસ્કાર થાય છે જે આત્મા જીવનના મોહમાંથી મુક્ત થઈ અને ખરેખર કૈલાસવાસી બને છે.
અંતિમ સંસ્કારના ગરૂડ પુરાણમાં નિયમ
ગરુડ પુરાણ અનુસાર માનવીનું મૃત્યુ નિશ્ચિત છે અને તે કોઈપણ સમયે થઈ શકે છે. મૃત્યુ એ પરમાત્માના હાથની વસ્તુ છે અને તે ક્યારેય પણ આવી શકે છે. પરંતુ તેના અંતિમ સંસ્કાર અથવા અંતિમ વિદાય ફક્ત દિવસ દરમિયાન જ થઈ શકે છે. એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી. સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે મૃત્યુ થાય તો પણ અંતિમ સંસ્કાર માટે સૂર્યોદયની રાહ જોવી જોઈએ.
ગરુડ પુરાણમાં રાત્રે અંતિમ સંસ્કાર કરવાથી થતી અશુભ અસરોનું પણ વર્ણન છે. જો કોઈ મૃત વ્યક્તિની અંતિમ વિધિ સૂર્યાસ્ત પછી કરવામાં આવે છે તો પછી મૃતકને પરલોકમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને પછીના જન્મમાં તેના શરીરમાં ખામી હોઈ શકે છે. આથી જ સૂર્યાસ્ત પછી સ્મશાન જવું યોગ્ય માનવામાં આવતું નથી. નશ્વરદેહની મુક્તિ માટે અંતિમ સંસ્કાર વિધિ દિવસે જ થાય છે.
દિવસ દરમિયાન સ્વર્ગના દરવાજા ખુલે છે
શાસ્ત્રો અનુસાર સ્વર્ગના દરવાજા સંધ્યાસમયથી બંધ થઈ જાય છે. દિવસ પૂર્ણ થાય એટલે નરકના દરવાજા ખોલવામાં આવે છે. તેથી સૂર્યાસ્ત પહેલા અંતિમ સંસ્કાર કરવા પર મૃતકની આત્મા સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને રાત્રે અંતિમ સંસ્કાર કરવા પર આત્માને નરકમાં જવું પડે છે.
શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ સૂર્યાસ્ત પછી કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો મૃત શરીર એકલા ન છોડવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે મૃત્યુ પછી આત્મા શરીરમાંથી નીકળી જાય છે અને કોઈ દુષ્ટ આત્મા મૃત વ્યક્તિના મૃત શરીરમાં પ્રવેશ કરી શકે છે. તેથી મૃત શરીરને રાત્રે એકલા છોડવામાં આવતો નથી. ધર્મ પ્રમાણે તુલસીના છોડની પાસે મૃતદેહ રાખવાનું પણ કહેવાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ