લગ્ન પ્રસંગે સુંદર દેખાવા કરાવો આયુર્વેદિક ઉપચાર
લગ્ન પ્રસંગ દરમિયાન વર-વધૂ ઉપરાંત સૌ કોઈ સુંદર લાગવાના પ્રયત્નોમાં વ્યસ્ત રહે છે. સુંદરતા ઇશ્વરદત્ત વરદાન છે પરંતુ તેને જાળવી રાખવાનું પણ એટલું જ મહત્વ છે એટલું જ નહીં ઈશ્વરે જે બી કંઇ લાવવાનું હોય કે દેખાવ આપ્યો છે તેને વધુ ઉત્તમ બનાવવાનું વ્યક્તિના પોતાના હાથમાં છે.
લગ્નના પ્રસંગે યુવાન યુવતી પોતાના આઉટફીટ, જ્વેલરી ,મેકઅપ બાબતે અત્યંત સજાગ રહે છે. એટલું જ નહીં લગ્નની તારીખ નક્કી થતા જ ડાયટિંગ અને વર્કઆઉટ દ્વારા વજન ઉતારી વધુ સુંદર દેખાવા પણ પ્રયત્નશીલ થઈ જાય છે.
બ્યુટી ટ્રીટમેન્ટ માટે પણ બ્યુટી પાર્લર ની અપોઈન્ટમેન્ટ શરૂ થઈ જાય છે. લક્ઝરી સ્પા, હોટ સ્ટોન મસાજ, ફેશિયલ ઉપરાંત સ્કિન અને વાળને વિવિધ ટ્રીટમેન્ટ પણ કરાવવામાં આવે છે. કેમિકલયુક્ત કોસ્મેટિક પ્રોડક્ટ્સની તેમજ મોંઘી ટ્રીટમેન્ટ નો ટ્રેન્ડ લગ્ન પ્રસંગોમાં સામાન્ય થઈ ચૂક્યો છે. પરંતુ બ્યુટી પાર્લર સિવાય પણ સુંદરતા મેળવવા આયુર્વેદિક ટ્રીટમેન્ટ નો ટ્રેન્ડ પણ અપનાવવા જેવો ખરો.
સૌંદર્યની સુરક્ષા માટે આયુર્વેદિક ઉપાયો પૌરાણિક સમયથી અમલમાં છે. જે સમયે સાબુની પણ શોધ નથી થઈ એવા રાજા-મહારાજા અને એનાથી પણ આગળના સમયમાં આયુર્વેદિક ઉપાયો દ્વારા શરીરની સ્વચ્છતા અને સુંદરતા બંને ટકાવી રાખવામાં આવતા હતા. આયુર્વેદિક ઉપચાર પૌરાણિક પરંપરા છે ઉપરાંત તે વધુ અસરકારક છે. આયુર્વેદિક ઉપચાર ની કોઈ આડઅસર પણ હોતી નથી માટે ત્વચા માટે પણ તે નુકસાનકારક નથી.
રોજ બરોજની વ્યસ્ત જીવનશૈલી, આહાર અંગે અનિયમિતતા ઉપરાંત પ્રદૂષણથી ત્વચા પર થતી અસરને કારણે ત્વચા નિસ્તેજ તેમજ ઉંમર કરતાં વહેલી વૃદ્ધ દેખાવા લાગે છે. ત્વચા પર જમા થયેલી ધૂળ માટી તેને અસ્વચ્છ બનાવે છે , આહાર ની અનિયમીતતા પોષણની ખામી સર્જે છે જેને કારણે પણ ત્વચા તેનું લાવણ્ય અને ચમક ગુમાવે છે ઉપરાંત અસંતુલિત હોર્મોન્સ પણ ત્વચાના આરોગ્ય માટે અવરોધક પરિબળ છે.
આયુર્વેદ ઉપચાર ત્વચાને આંતરિક તથા બાહ્ય બંને રીતે સ્વસ્થ રાખે છે. આયુર્વેદ પદ્ધતિ થી ત્વચાની કરવામાં આવતી જાળવણીને કારણે ત્વચા આંતરિક અને બાહ્ય બંને રીતે detoxify થાય છે, ત્વચાની ચમક જળવાય છે, ત્વચા પર પડેલા ડાઘ ધબ્બા નો આંતરિક ઉપચાર પણ થાય છે. આયુર્વેદ લોહીના વિકાર દૂર કરે છે, અસંતુલિત હોર્મોન્સને સંતુલિત કરે છે જેને કારણે પણ ત્વચામાં નિખાર આવે છે.
આયુર્વેદિક ઉપચાર ની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ.
અભ્યંગ મસાજ
અભ્યંગ મસાજ દ્વારા ત્વચા કોમળ અને મુલાયમ બને છે.અભ્યંગ મસાજ શરીરના સાંધાઓને તેલ પૂરું પાડે છે,શરીરની અશુદ્ધિઓને બહાર ફેંકવામાં એટલે કે શરીરનું ડિટોક્સીફિકેશન કરવામાં પણ મદદરૂપ છે. અભ્યંગ મસાજ અનિંદ્રા પણ દૂર કરે છે. શરીરના સ્નાયુઓ નો થાક દૂર કરી શરીરને લચીલાપણું આપે છે.
અભ્યંગ મસાજમાં માથામાં ભૃંગરાજ તેલનું માલિશ કરવું. ઉપરાંત તલના તેલમાં તુલસીના પાંદડા અને આદુનો રસ ભેળવી તેને ગરમ કરી માથા તથા શરીર ઉપર હળવા હાથે મસાજ કરવું. માથામાં હળવા હાથે મસાજ કર્યા બાદ ફેશિયલ કરતા હોઈએ તે રીતે તેલથી ચહેરા ઉપર પણ વર્તુળાકારે આંગળીઓથી મસાજ કરવું.
અભ્યંગ મસાજ શરીરનું ડિટોક્સીફિકેશન કરે છે, સાંધા તેમજ સ્નાયુઓના દર્દમાં રાહત આપે છે, ચામડીને સ્નિગ્ધ રાખે છે, અભ્યંગ મસાજ થી થાક દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.
શિરોધારા
શિરોધારા સંસ્કૃત શબ્દ છે. શેર નો અર્થ થાય છે માથું અને ધારા નો અર્થ વહેણ. શિરોધારા આયુર્વેદિક થેરાપીમાં માથા પર ધીમે ધીમે તેલનો અભિષેક કરવામાં આવે છે. શિરોધારા આયુર્વેદિક થેરાપી પંચકર્મનો એક ભાગ છે. શરીરમાં ઉત્પન્ન થતો વાયુ દોષ શિરોધારાથી દૂર થાય છે. મસ્તિષ્ક અને શરીરની ત્રીજી આંખ માનવામાં આવે છે. શિરોધારા ટ્રીટમેન્ટથી મગજ માં બ્લડ સર્ક્યુલેશન પણ ફાસ્ટ થાય છે . શિરોધારા ની શરૂઆત ખભા ઉપર માલિશથી પણ કરવામાં આવે છે. મસાજથી સ્ટીફ થયેલાં સ્નાયુઓ હળવા થાય છે. તણાવ દૂર થાય છે અને નકારાત્મક વિચારો પણ દૂર થઇ શરીરમાં તેમજ મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
હર્બલ પોટલી
આયુર્વેદિક થેરાપીમાં હર્બલ પોટલી ની ટ્રીટમેન્ટ વિશેષ પ્રિય રહી છે. જેમાં મુલાયમ કપડા ની પોટલીને સાધારણ ગરમ કરી ત્વચા ઉપર શેક કરવામાં આવે છે. ખાસ કરીને શરીરના અંગોમાં થતા દુખાવા તેમજ સોજા ના ભાગ ઉપર શેક કરવાથી રાહત મળે છે, બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે, શારીરિક અને માનસિક થાક દૂર થાય છે, કપડાની પોટલી માં આયુર્વેદિક ઔષધિઓ પણ મૂકવામાં આવે છે જે શરીરના વિવિધ ભાગો ઉપર ઉપચારક નીવડે છે.
મોંઘા કોસ્મેટીક તેમજ બ્યુટી ટ્રીટમેન્ટ ને બદલે આયુર્વેદિક ઉપચાર શરીરને અંદરથી અને બહારથી નિરોગી બનાવે છે ઉપરાંત આડઅસર વગર લાંબા સમય સુધી રખેવાળી પણ આયુર્વેદિક ઉપચાર દ્વારા થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ