ક્યારેય વિચાર્યું શા માટે રાંદલ માં ના લોટા તેડવામાં આવે છે ? જાણો બુદ્ધિગમ્ય કારણ અને ઇતિહાસ..

“લિપ્યું ને ગુપ્યું મારું આંગણું, પગલીનો પાડનાર દ્યોને રન્નાદે મા ,વાંઝિયામેણા રે માડી દોહ્યલાં રે ……” ગુજરાતી ભાષાના અતિ પ્રચલિત અને અતિ લોકપ્રિય ગીતથી તો સૌ કોઈ માહિતગાર હશે. આ ગીતમાં સૂર્ય પત્ની રન્નાદેનો અપરંપાર મહિમા કરવામાં આવ્યો છે. રન્નાદેમા સંતાન સુખ આપનારી માતા તરીકે પૂજાય છે. રન્નાદે માતાને રાંદલ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રાંદલમાં એટલે ભગવાન વિશ્વકર્માના પુત્રી.

વિશ્વકર્મા ભગવાન ને ત્યાં પુત્રી રૂપે અવતરેલાં રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમની પ્રીતિ સૂર્યનારાયણ તરફ વળવા લાગી. રાંદલમા એ સીધા જ પિતા પાસે જઈ અને સૂર્યનારાયણ દેવ સાથે તેમના વિવાહની ઈચ્છા પ્રગટ કરી. પરંતુ પિતા વિશ્વકર્માએ તેમના પ્રસ્તાવને નકાર્યો. પણ એક વખત રાંદલમાના માતાજી સૂર્યનારાયણ ભગવાન ને ત્યાં માટીનું બનેલું પાત્ર માંગવા ગયા ત્યારે સૂર્યદેવે માતાજીને પાત્ર આપી શરત કરી કે જો રસ્તામાં આ પાત્ર તૂટી જશે તો તેમણે પોતાની પુત્રી રાંદલના વિવાહ તેમની સાથે કરવા પડશે.

ત્યારબાદ સૂર્ય નારાયણે પોતે યુક્તિપૂર્વક રસ્તામાં માટીનું પાત્ર ખંડિત કર્યું. અને રાંદલ માતા સૂર્યનારાયણના પત્ની બન્યા. શ્રી રાંદલ માતાની બીજી મહત્વની ઓળખ એ છે કે તેઓ મૃત્યુના દેવતા યમરાજા અને યમુનાજીના માતાજી છે.અશ્વિનીકુમારો પણ તેમનાં સંતાનો છે.

image source

આપણા દેશમાં રાંદલ દેવીનો અત્યંત મહિમા છે. જોકે ભારત વર્ષમાં નારીશક્તિને જ શક્તિસ્વરૂપા ,દેવી સ્વરૂપા કહેવામાં આવી છે. પણ કુટુંબ વત્સલ ભારતની જનતા સંતાન સુખમાં તેમનું સર્વ સુખ શોધતી હોવાને કારણે સંતાનસુખ આપતા રાંદલ માતાનો મહિમા કંઈક જુદો જ છે. આપણે ત્યાં શુભ પ્રસંગો એ રાંદલના લોટા તેડવાનો રિવાજ છે. શા માટે આ રિવાજ પડયો?

image source

રાંદલ માં ના લોટા પાછળ પણ એક મજેદાર કહાની છે. સૂર્યના પ્રખર તેજ ને કારણે રાંદલ માતા પતિના મુખ તરફ જોઈ શકતા ન હતા પરંતુ સૂર્ય ભગવાનને ગેરસમજણ થઇ કે રાંદલમાં તેમના રૂપને કારણે અભિમાનથી પતિની ઉપેક્ષા કરી રહ્યા છે. એટલે તેમણે રાંદલ માનેશ્રાપ આપી તરછોડ્યા.

રાંદલમાં એપોતાની છાયા નું સર્જન કર્યું અને પોતાના છાયા સ્વરૂપને સૂર્યની સેવામાં મૂકી પોતે પિતૃગૃહે પ્રયાણ કર્યો. પતિનું ઘર છોડીને આવેલી પુત્રીને પિતાએ પણ જાકારો આપ્યો અને રાંદલમાએ જંગલમાં રહી 14 હજાર વર્ષ સુધી તપ કર્યું. પણ આખરે સૂર્ય ભગવાન રાંદલમાં સુધી પહોંચ્યા તેમણે સત્ય જાણ્યું અને રાંદલમાંને સ્વીકાર્યા .

image source

આ સમયે રાંદલ માતાની છાયાએ આટલા વર્ષો સૂર્ય ભગવાનની સેવા કરી તે માટે આશીર્વાદ માગ્યા ત્યારે રાંદલ માં તેમને વચન આપ્યું કે જ્યારે પણ હિન્દુઓ શુભ પ્રસંગે તેમની પધરામણી કરાવશે ત્યારે રાંદલમાં તેમના છાયા સ્વરૂપને પણ હંમેશા સાથે રાખશે .એટલે આપણે તસવીરમાં રાંદલ માતાના બે સ્વરૂપ જોઈએ છીએ.

image source

આ સમયે ભગવાન સૂર્યનારાયણે પણ વચન આપ્યું કે જ્યારે કોઈ રાંદલમાના લોટા તેડાવશે ત્યારે પોતે ઘોડા સ્વરૂપે ત્યાં હાજર રહેશે અને જ્યાં સુધી ઘોડો ખુંદવાનું કાર્ય સમાપ્ત નહીં થાય ત્યાં સુધી રાંદલ માતાનો પ્રસંગ અધૂરો રહેશે. એટલે આપણે ત્યાં રાંદલમાં તેડાવી એ છીએ ત્યારે ગરબા ગાયા બાદ ઘોડા કુદવાનો પણ રિવાજ છે. રાંદલ સાથે જાગ તેડાવાનો પણ રિવાજ છે. જેમાં સૂર્યની વિશેષ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે.

પણ આ રાંદલમા પૃથ્વી પર કેવી રીતે પ્રગટ થયા?

image source

આ રાંદલ માતાની ઉત્પત્તિની વાત પણ અત્યંત રોચક છે. પૃથ્વી પર વધેલા અધર્મને જોઈને ચિંતિત સૂર્યનારાયણ ભગવાને રાંદલમાતા ને મૃત્યુલોકમાં જઈને અધર્મિ થયેલાં મનુષ્યને સતમાર્ગે વાળવાનું કામ સોંપ્યું. અને રાંદલ માતા નાની બાળા સ્વરૂપે ગુજરાતના કચ્છના રણમાં ઉતરી આવ્યા. એ સમયે ગુજરાતમાં કારમો દુકાળ પડ્યો હતો પણ આ બાળકીના આવવાથી સારામાં સારો વરસાદ શરુ થયો.

image source

લોકોએ બાળકીના આગમનને વધાવ્યું, તેના પગલા શુકનવંતા માન્યાયા અને પોતાની સાથે બાળકીને રાખીને તેને ઉછેરવા લાગ્યા. બાળકી રણમાંથી મળી આવી હતી તેથી તેનું નામ રાંદલ રાખ્યું. રાંદલના આગમને ગામની કાયાપલટ કરવા લાગી. અપંગ, દીન- દુખિયા અને રોગી લોકો રાંદલના આશીર્વાદ મેળવી સાજા થવા લાગ્યા. રાંદલમાતા યુવાનીમાં પ્રવેશતાં જ તેમની સુંદરતા અને તેમના કાર્યની ખ્યાતિ ચોમેર પ્રસરવા લાગી.

image source

રાંદલમાં પર કોઈ એક ગામના રાજાના સિપાહીઓની દૃષ્ટી પડતાં તેમની સુંદરતાના વખાણ તેમણે રાજા સમક્ષ કર્યા અને રાજાના મનમાં રાંદલમાને પામવાની ભાવના ઉત્પન્ન થઈ .તેણે રાંદલમાના ગામ પર ચડાઈ કરી. પરંતુ રાંદલમાના પ્રખર તેજે ઉભા કરેલા ધૂળના વંટોળમાં રાજાનું સૈન્ય નાશ પામ્યું. એ ગામ હતું દડવા ગામ. દડવા ગામે પ્રજાની વિનંતીને માન આપીને રાંદલમા સ્થાયી થયાં. વલભીપુરમાં પણ રાંદલ માતાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી રાંદલ માતાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

image source

જે રીતે સૂર્યનારાયણ સૃષ્ટિના પિતા ગણાય છે તે જ રીતે તેમના પત્ની રાંદલમા જગતની માતા ગણાય છે. અને એટલે જ નારીની માતૃત્વની મંગળ જંખના પરિપૂર્ણ કરવા માટે સૂર્ય પત્ની રાંદલમાંની પૂજા ,અર્ચનાનું વિશેષ મહત્વ છે. તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા લગ્ન અને જનોઈ જેવા પ્રસંગોએ ઘરમાં પહેલા રાંદલમાંને માનભેર તેડાવવામાં આવે છે.

image source

રાંદલમાના સ્થાપનમાં તાંબાના બે લોટા ઉપર નાળિયેરના ગોટા મૂકી તેને નાડાછડી વિટવામાં આવે છે. તેની પર આંખો લગાડી સોનાના ઘરેણાં પહેરાવી ,ચૂંદડી ઓઢાડી રાંદલની પ્રતિકૃતિ સર્જવામાં આવે છે. રાંદલ ની પૂજા સમયે યથાશક્તિ ગોરણી જમાડવાનો પણ રિવાજ છે.

image source

ગુજરાતી સાહિત્યમાં અને લોકસાહિત્યમાં પણ રાંદલ માતાનો ગીતો અને ગરબા સ્વરૂપે મહિમા કરવામાં આવ્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ