શરીરમાં છૂપાયેલ સુષુપ્ત શક્તિઓને જાગૃત કરીને આપે છે સુપર પાવર, કુંડલિની ચક્રોઃ
આજના સમયમાં દરેકને સુપર હીરો થવાની ઘેલછા છે. દરેકને એમ થતું હોય છે કે મારા હાથમાં જો કોઈ એવી ચમત્કારિત શક્ત્તિ આવી જાય તો હું દુનિયાને મુઠ્ઠીમાં કરી લઉં. સૌને એવી ઇચ્છા હોય કે હું ઇચ્છું તેવું થાય. દરેક સંજોગો મારી મરજી મુજબ વર્તે. સુપર પાવરવાળા હીરોની ફિલ્મો ખૂબ ચાલે છે. આપણે સૌ જાણીએ છીએ કે ફિલ્મોમાં બતાવાયેલ આ બધું જ નકલી છે છતાંય એ જોવું ગમે છે. હવામાં ઉડતા હીરો છલાંગ લગવીને કૂદે છે જે માત્ર કાલ્પનિક પાત્રો જ છે. જે આપણાં મન – મગજ પર છવાઈ જાય છે અને આપણે રોમાંચિત અનુભવીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે એ વૈજ્ઞાનિક રીતે પણ પૂરવાર થઈ ચૂક્યું છે કે આપણું શરીર અગાથ શક્તિથી ભરેલું છે અને આપણાં મગજમાં વિચારોનો સુપર પાવર સંગ્રહાયેલો છે. આખી દુનિયા જે રહસ્યમય બાબત જાણવા ઇચ્છે છે કે આ મગજની શક્તિ પાછળનું ગૂઢ રહસ્ય આખરે છે શું?
આપણાં શરીરમાં અસીમ શક્તિઓ નિષ્ક્રિય થઈને સુષુપ્ત અવસ્થામાં પડી રહેલી છે. આ શક્તિઓને જાગૃત કરવાની રહે છે. આ છૂપાયેલ અપાર શક્તિઓ કુદરતી રીતે દરેકના શરીરમાં છે પરંતુ તેને ઓળખીને એક્ટિવેટ કરવાની આપણે રીત જાણવી જોઈએ. સુષુપ્ત ઇન્દ્રિયોને જાગૃત કરવાની રીત જાણવી અને તેને અપનાવવું સાવ સહેલું પણ નથી હોતું. આ એક એવી જટિલ પ્રક્રિયા છે જે આપણાં સદીઓથી ચાલ્યા આવતા ઋષિમુનીઓની યોગ વિદ્યા અને તપ – સાધના દ્વારા પ્રાપ્ત થતી ફલશ્રુતિ સમાન છે. આ એવી પ્રક્રિયા છે જેમાં સમય અને ધીરજ માગી લે છે. આપણે કેટલાય એવા સંદર્ભો વાંચ્યા કે વિડિયોઝમાં જોયા હોય છે. કે ફકત અમુક જ મિનિટમાં તમારી અર્ધજાગૃત શક્તિઓને જાગૃત કરવાની રીત શીખો.
પરંતુ આ કોઈ સામાન્ય બાબત નથી. તેની પાછળ અપાર મહેનત અને ધ્યાનની જરૂર રહે છે. આ શક્તિઓ કોઈ જાદુ નથી કે પળવારમાં પ્રાપ્ત થઈ શકે. આ આધ્યાત્મિક શક્તિ છે. અધ્યામિક અને પુરાતન કાળથી ચાલી આવતી ધાર્મિક બાબતોને વૈજ્ઞાનિક તારણો કે નવી ટેકનોલોજીકલ સંસાધનો પણ ચેલેન્જ નથી કરી શકતાં કેમ કે તેનું બંધારણ જ અનોખું છે. જે શરીર વિજ્ઞાન અને કુદરતના નિયમોને આધિન છે. આપણે સનાતન પ્રણાલિગત શક્તિઓને ઉજાગર કરવાની વાતને પણ સરળતાથી કરી કે વિચારી શકતાં નથી. એને અપનાવવાની વાત કરવી પણ અતિ મુશ્કેલ છે. આપણે અહીં વાત કરીશું એવી આધ્યાત્મિક બાબતની જે યોગ સાધના અને શરીર વિજ્ઞાન સાથે જોડાયેલ રહીને ધાર્મિક વેદિક મંત્રોચ્ચાર સાથે સંકળાઈને ઉજાગર થતી પરમશક્તિને પામવાની.
શરીરના બંધારણમાં છૂપાયેલ એવી અસીમ શક્ત્તિઓ જે આપણાં શરીરમાં એવી રીતે ગોઠવાયેલ છે જો તેને વારાફરતી ઉજાગર કરીએ તો માત્ર શારીરિક જ નહીં, માનસિક આધ્યાત્મિક અને સામાજિક દરેક પ્રકારની દુવિધાઓ દૂર થશે. લોકોમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમારા વ્યક્તિત્વનું આભામંડળનું તેજ એટલું તેજસ્વી થશે કે તમને દરેક નિર્ણયોમાં આશ્વર્ય પમાડે તેવાં પરિણામો મળી શકે એમ છે.
આ અગાથ શક્તિને જાગ્રત કરવા મંત્ર-જાપ અને ધ્યાન કરવાથી કુંડલિની જાગ્રત થાય છે. કુંડલિની એ એક દિવ્ય સ્ત્રીશક્તિ છે જે અદ્રશ્ય સ્વરૂપે મનુષ્યના શરીરમાં કરોડરજ્જુના છેલ્લા ભાગમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. તે છ અદ્રશ્ય શક્તિ-કેન્દ્રો સાથે જોડાયેલી હોય છે જેને ચક્રો કહેવામાં આવે છે. આ ચક્રો એક બીજાની ઉપર કરોડરજ્જુમાં હરોળબંધ ગોઠવાયેલ હોય છે. જ્યારે કોઈ સિદ્ધ ગુરુ આ કુંડલિનીને દિવ્ય મંત્ર શક્તિપાત દ્વારા જાગ્રત કરે ત્યારે તે જાગૃત થઈને છ ચક્રોનું ભેદન કરી સહાસ્ત્રચક્ર સુધી પહોંચે છે.
માથાના છેલ્લા ભાગે જ્યાં આપણે મુકુટ પહેરીએ છીએ, ત્યાં ભગવાન બીરાજેલા છે. આ જાગૃત કુંડલિની ધ્યાનમાં સિદ્ધયોગનો અભ્યાસ કરવાવાળા વ્યક્તિના આખા શરીરને આસનો, ક્રિયાઓ, બંધો, મુદ્રાઓ અને પ્રાણાયામ દ્વારા શુદ્ધ કરે છે. સામાન્ય અભ્યાસુઓ આ ક્રિયાઓને જાતે શરૂ તેમજ બંધ નથી કરી શકતા. હસ્તસિદ્ધ યોગીઓ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ પર આગળ વધારીને શારીરિક અને માનસિક કષ્ટો અને વ્યસનોમાંથી મુક્ત કરી મોક્ષ તરફ લઈ જાય છે.
આ ચક્રો આસનના સ્થાને નીચેથી શરુ કરીને મસ્તિસ્કના કેન્દ્રમાં સ્થિત છે. કરોડરજ્જુને આધારભૂત માનીને દરેક ચક્રો શરીરના બરાબર મધ્ય ભાગમાં ક્રમબદ્ધ ગોઠવાયેલા છે. જેના ક્રમ છે; ૧ મૂલાધાર ચક્ર, ૨ સ્વાધિષ્ઠાન ચક્ર, ૩ મણિપુર ચક્ર, ૪ અનાહત ચક્ર, ૫ વિશુદ્ધ ચક્ર, ૬ આજ્ઞા ચક્ર, ૭ સહસ્ત્રાર ચક્ર
યોગશાસ્ત્ર મુજબ મેરુદંડ એટલે કરોડરજ્જુને આધારે ડાબી બાજુએ ‘ઇડા’ અને જમણી તરફ ‘પીંગલા’ નામે જ્ઞાનતંતુઓના બે પ્રવાહો આવેલા છે. જેના મધ્યભાગમાં ‘સુષુમણા’ નામે પોલી નાડી છે, જેને છેડે ત્રિકોણાકાર ‘કુંડલિની પદ્મ’ આવેલ છે. મનુષ્ય યોનીમાં જન્મેલ આપણે સૌનું જીવન ભોગ – સંભોગ અને નિંદ્રાની આસપાસ રહીને ઊર્જાશક્તિ સ્થગિત થઈ જતી હોય છે. પરંતુ આપણી યોગ સંસ્કૃતિના આપણે આભારી છીએ કે આપણને આ જ્ઞાનેદ્રિય ચક્રોની અદ્ભૂત શક્તિઓને ઉજાગર કરવા વિશેની અગાઢ અને ગૂઢ પદ્ધતિઓનું અમલીકરણ આપણને સદીઓથી વારસામાં મળેલ છે. છતાંય આપણે આધૂનિક જીવનની વ્યસ્તતામાં આ પૌરાણીક જ્ઞાનને વિકસાવીને અપનાવી નથી શકતાં. સાધનાથી સુપર પાવર મેળવી શકવાની રીત સવિસ્તૃત જાણીએ.
૧ મૂલાધાર ચક્રઃ
આ ચક્ર સૌથી પ્રાથમિક અને શરીરમાં સૌથી નીચેના સ્થાને ગુદા અને યોનીની વચ્ચેના પોલાણમાં આવેલ ચાર પાંખડીવાળું આધારભૂત ચક્ર છે. ખરેખર તો ૯૯.૯૯% લોકોની ચેતના આ ચક્રથી પણ આગળ વધી શકતી નથી અને આમ જ તેમનું જીવન ગ પૂરું પણ થઈ જતું હોય છે. આ ચક્રને ઉજાગર કરવા મૂળાધાર ચક્રને અનુલક્ષીને ધ્યાન કરવા બેસવું પડશે. ધ્યાન કરતી સમયે પોતાની જાતને સાક્ષીભાવે જોઈને મૂળાધાર ચક્ર પર વિચારોને કેન્દ્રિત કરવાના રહેશે. આ ચક્રને ધ્યાનમાં લેવાના સમયે જે બીજમંત્ર ઉચ્ચારવાનો છે તે છે; ‘લં’ આ મૂલાધાર ચક્રની ચેતના જ્યારે સક્રિય થાય છે એ સમયના પરિણામો ખૂબ આશ્વર્ય પમાડે તેવા હોય છે. વ્યક્તિ નિરડ બને છે તેનામાં વીરતા અનુભવાય છે અને તે વ્યક્તિને અંદરથી આનંદની અનુભૂતિ થાય છે. આ વ્યક્તિ કોઈપણ સિદ્ધિ પ્રાપ્ત કરવા સજ્જ થયેલ જણાય છે.
૨ સ્વાધિષ્ઠાન ચક્રઃ
આ ચક્ર લિંગ મૂળથી ચાર આંગળાં ઉપરની તરફ સ્થિત છે. આ ચક્રની છ પાંખડીઓ છે. આ ચક્ર આપણાં શરીરના જ્ઞાનતંતુઓ સાથે જોડાયેલ આનંદવૃતિને આધાર આપે છે. આપણે માનસિક રીતે આનંદ અને મનોરંજન મેળવીએ છીએ ત્યારે ખૂબ જ આરામ અને ખુશહાલી અનુભવીએ છીએ. આ ચક્રને વધુ જાગૃત કરવાથી મન અતિશય પ્રફુલ્લ્તિ રહે છે અને જે શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે. શરીરમાં પ્રવતતી લાગણીઓને વધુ સારી રીતે પ્રગટ કરવા આપણે કલ્પનાઓનો સહારો લઈએ છીએ. આ કુંડલિની દ્વારા આપણી એ આનંદ અવસ્થાને વધુ પ્રમાણમાં સક્રિય કરવામાં મદદરૂપ થાય છે. સતત આનંદિત સ્વભાવ થશે તો શરીરમાં બદલાવ આવવાથી તમારી ક્રુરતા, આળસ, પ્રમાદ, ઘમંડ વગેરે દૂર્ગુણોનો નાશ થાય છે અને તમે તેજસ્વી વ્યક્તિ તરીકે ઓળખાશો. આપણાં સૌમાં ઓછેવત્તે આ પ્રકારનો સ્વભાવ રહેલો છે. જેથી દરેકે આ ચક્રનું ધ્યાન કરવાથી ખૂબ સકારાત્મક પરિણામ મળી શકે છે.
આ ચક્રનું ધ્યાન કરવા માટે બીજમંત્ર છે; ‘વં’
૩ મણિપુર ચક્રઃ
આ ચક્ર મનુષ્યના શરીરના કેન્દ્રમાં નાભીના મૂળમાં સ્થિત છે. આ ચક્ર દસ પાંખડીઓનો આકાર ધરાવે છે. આ ચક્ર જાગૃત થવાથી આપણી વિચારસરણીમાં સકારાત્મક અસર થાય છે. તમે અનુભવી શકશો કે તમારા દરેક કાર્યો સરળતાથી પાર પડવા લાગે છે. આ ચક્રને સક્રિયપણે જાગૃત કરવાનો બીજમંત્ર છે; ‘રં’ ધ્યાનમાં બેસવા સમયે એકાગ્રતા સાથે આ બીજમંત્રનું ઉચ્ચારણ કરવાનું રહે છે. એ સમયે અનુભવવાનું છે કે એ ચક્ર તમારા શરીરમાં એના યથાર્થ સ્થાને ફરી રહ્યા છે અને એણે તેની ક્રિયા ચાલુ કરી દીધી છે. આ ચક્રની સિદ્ધિ મેળવ્યા બાદ તમારા શરીરમાં અસીમ શક્તિ અનુભવી શકશો અને તમે જે પણ કામ કરવા વિચારશો તે સરળતાથી પાર પાડી શકશો. તમે કાયમ સફળતાના રસ્તે જશો જ્યાંથી ક્યારેય પીછેહઠ કરવાની જરૂર નહીં પડે.
૪ અનાહત ચક્રઃ
આ ચક્ર માનવદેહના મધ્યમાં હ્રદય પાસે સ્થિત હોય છે. આ ચક્ર જ્યારે સક્રિય થતું જણાશે ત્યારે અપાર તેજ અને સકારાત્મક શક્ત્તિનો શરીરમાં સંચાર થતો અનુભવશો. તમે અનેક લોકોની ભીડ વચ્ચે પણ પોતાની જાતને જુદી સાબિત કરવામાં સફળતા મેળવી શકશો. તમે લોકોથી કંઈક જુદી વિચારસણી ધરાવવા લાગશો જે તમારા આ અનાહત ચક્રના આધારે સક્રિય થતા જ્ઞાનતંતુને આભારી હશે. બની શકે સામાન્ય લોકોની તુલનામાં તમારી વર્તણુંક હટકે થઈ શકે. ચિંતા, ભોમ, મોહ, આક્રોશ જેવી નકારાત્મક લાગણીઓ પર તમે કાબૂ મેળવી લઈ શકશો.સ
ધ્યાનની આ અવસ્થાને ઉજાગર કર્યા બાદ મહાપુરુષોની શ્રેણીમાં તમારા વ્યક્તિત્વની નોંધ લેવાતી થઈ શકે છે. આ ચક્રને સક્રિય કરવા બીજમંત્ર છે; ‘યં’
૫ વિશુદ્ધ ચક્રઃ
આ ચક્ર ગરદનના મધ્ય ભાગમાં સ્થિત છે. મનુષ્યદેહમાં મનાય છે કે કંઠમાં મા સરસ્વતીનો વાસ રહેલો છે. આ ચક્રમાં સોળ પાંખડીઓ આવેલી છે. સામાન્ય રીતે માણસની દૈહિક ઊર્જા આ ચક્રની આસપાસ રહેલી હોય છે. ધ્યાનમાં બેસવા સમયે કંઠની મધ્યમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ ચક્રને સક્રિય કરવા બીજમંત્ર છે; ‘હં’
આ ચક્રની જાગૃતિ સિદ્ધિ થકી ભૂખ – તરસ પર કાબૂ મેળવી શકો છો, તથા આસપાસના વાતાવરણમાં થતા મોસમી ફેરફાર જેમ કે ઠંડી – તાપ જેવા અનુભવોથી શરીરને અનુકૂલિત કરીને સાચવી પણ શકો છો.
૬ આજ્ઞા ચક્રઃ
આ ચક્રને લોકો થર્ડ આઈ; ત્રિનેત્ર નામથી ઓળખે છે. આ ચક્ર બે આંખોની ભૃકુટી વચ્ચે કપાળ પર આવેલ છે. આ ચક્ર પર અપાર શક્તિઓ અને સિદ્ધિઓનો વાસ રહેલો છે. આ ચક્રની જાગૃતિ બાદ તમારામાં રહેલ દરેક ચક્રો સક્રિય થઈ જાય છે. આ ચક્રનો સાધક સિદ્ધ પુરુષની ગણનામાં આવી જાય છે. બે પાંખડી ધરાવતા આ મહત્વપૂર્ણ ચક્રનો સિદ્ધ બીજમંત્ર છે; ૐ
આ ચક્ર જ્યારે સક્રિય થાય છે ત્યારે તમે એ જોઈ શકશો જે કોઈ પણ ન જાણી શકતું હોય. આ ચક્રની સિદ્ધિ એટલી પ્રચંડ છે કે તમે એવી કોઈ ઘટના કે બનાવ અગાઉથી અનુભવી શકશો જે હજુ બનવા પણ ન પામી હોય.
૭ સહસ્ત્રાર ચક્રઃ
આ ચક્ર મગજના સ્થાને મધ્ય ભાગમાં આવેલ છે. જ્યાં માથાની શિખા એટલે કે ચોટલીની જગ્યાએ સ્થિત છે. જે કોઈ સાધક વ્યક્તિ જો આ ચક્રની સક્રિય જાગૃતી સુધી પહોંચી ગઈ તો સમજવું કે તે અલૌકિક આનંદમયી અવસ્થામાં પહોંચી ગઈ છે. આ સ્થિતિએ પહોંચેલ વ્યક્તિને સંસાર, સંન્યાસ કે કોઈ પણ ઉચ્ચ સિદ્ધિઓનો મોહ નથી રહેતો. આ પ્રકારે મૂલાધાર ચક્રથી શરૂ કરેલ ધ્યાન અવસ્થાની ગતિ છેક સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચે છે એ વ્યક્તિ પરમતત્વને પામનાર બુદ્ધ પુરુષની શ્રેણીમાં આવી જાય છે. હકીકત એ છે કે એ વ્યક્તિ જેને દરેક સિદ્ધિઓ હાંસલ થાય છે તે પરમાત્માના પરમ જ્ઞાનને પમવાના સુખમાં રાચવા લાગે છે તેને જાગૃત કુંડલિનીઓની શક્તિઓનો ઉપયોગ સાંસારિક મહત્તાને પામવા કરવાની ઇચ્છા બાકી રહેતી હોતી જ નથી.
કુંડલિની જાગૃતિના ભયસ્થાનો વિશે મહત્વની વાતઃ
આ ચક્રોની સાધનાનો માર્ગ ખૂબ કઠિન છે. જે યોગવિદ્યાની ચરમસીમાને પામનાર સાધકોને પણ દુવિધામાં મૂકી દઈ શકતા હોય છે. યોગસાધના ભારતીય સંસ્કૃતિની ધરોહરના મૂળમાં છે. પાયાની વાતને ગૂઢાર્થમાં સદીઓથી સાધક ઋષિમૂનિઓ એક યા બીજી રીતે આગળ ધપાવ્યું છે. આજકાલ અનેક સાંદર્ભ પુસ્તકો ઉપલબ્ધ છે. પરંતુ યોગસાધનાની જટિલ સ્થિતિને અનુસરીને કુંડલિની જાગૃત કરવાની રીત ખૂબ કઠિન છે. જેને યોગ્ય માર્ગદર્શન તથા સચોટ વાતાવરણ જોઈએ છે. આધાત્મ જગત અને શરીરશાસ્ત્રોના તથ્યોની ખોજ કરતો આજનો આધુનિક માણસ મોક્ષ, ધ્યાન જેવા જીવન જ્ઞાનના સત્યો શોધે એ પણ એક મોટી બાબત ઘણાય છે.
આધાત્મ સાધનાનો રસ્તો કાલ્પનિક નહીં બલ્કે વાસ્તવિક છે. જેમાં આપણે કાલથી ધ્યાનમાં બેસીને આ કુંડલિનીની જાગૃતિનું તપ કરવા લાગશું તો એ નરી ભ્રહ્મણા છે. અહીં માર્ગદર્શક રૂપ સિદ્ધ પુરુષ મળે જે આપની આ જિજ્ઞાસાને તૃપ્ત કરે ત્યારે આપણે એ સાધનાને અનુસરવાનો પ્રયાસ કરવો જોઈએ. તે અનંત શક્તિનો સ્ત્રોત છે. આ યોગથી પ્રાપ્ત થતી પ્રચંડ ઊર્જાને જો નિયત રીતે સાચવી ન શકાય તો ગંભિર પરિણામ આવી શકે છે. નિષ્ણાતના માર્ગદર્શન અને નિરીક્ષણ અને જરૂરી તૈયારી વગર કોઈએ પણ આને કરવાની હિંમત ન કરવી જોઇએ. કુંડલિની યોગ એ યોગનું સૌથી ખતરનાક સ્વરૂપ છે. બેજવાબદારીપૂર્વક આ યોગસાધના આદરવી જોઈએ નહીં.
આધ્યાત્મિક માર્ગ જેટલો લાગે છે એટલો સરળ નથી. તેમાંય જ્યારે કુંડલિની વિશે વાત થતી હોય ત્યારે તેનો શબ્દ ઉચ્ચારણ કરતાં પણ વિચાર થવો જોઈએ. આ પ્રક્રિયા માટે સાધકના માનસમાં શ્રેષ્ઠ આદરભાવ હોય અને પરિણામોને સ્વીકારવાની તથા શુદ્ધ અંતઃકરણથી સાધના કરવાની નિષ્ઠા હોવી જોઈએ. આ પ્રકારની માહિતી પણ આજના ઝડપથી પસાર થઈ રહેલ ટેક્નોલોજીકલ જીવનમાં જિજ્ઞાસાવૃત્તિ અને સત્યો તથા જ્ઞાનની ખોજ કરતી નવી ઉત્સુક અને ઉત્તેજિત પેઢી માટે સાચી અને સારી જાણકારી રાખવી પણ મહત્વની વાત છે. જેના ચિંતન અને મનનથી પણ માનસિક તાકાત અને સુપર પાવરની અનુભૂતિ મળી રહે એ પણ પૂરતું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ