કુળદેવીમાં શ્રદ્ધા ધરાવતા ભક્તો ખાસ વાંચો કુળદેવીનો મહિમા
જેટલું જ પરિવારમાં માતા અને પિતાનું મહત્ત્વ છે તેટલું જ કુળ માટે કુળ દેવતા અને કુળ દેવીનું મહત્ત્વ છે. પણ ધીમે ધીમે કુળદેવી તેમજ કુળદેવતાને પુજવાનું મહત્ત્વ ઘટી રહ્યું છે. કુળની ઉન્નતી હંમેશા કુળદેવતા તેમજ કુળદેવીના આશિર્વાદથી જ થાય છે અને તેમના આશિર્વાદ મેળવવા માટે તેમની આરાધના કરવી પડે છે.
કુળદેવી તેમજ કુળદેવતાની કૃપા વગર કુળનો વંશ સુખી નથી થતો અને માટે જ સદીઓથી આપણા વડવાઓ કુળદેવતા તેમજ કુળદેવીને પુજતા આવ્યા છે. કુળદેવી તેમજ કુળદેવતાને પુજ્યા વગર તમે બીજા બધા દેવી દેવતાઓને પુજો તો તે માતાપિતાને છોડીને અન્ય લોકોને સાંચવવા જેવી વાત છે. અને આપણે એ સારી રીતે જાણીએ છીએ કે માતાપિતાની સેવા તે જ ખરી સેવા છે અને તેમના આશિર્વાદ જ સંતાનને ફળે છે તેવી જ રીતે કુળદેવી અને કુળદેવતાની પુજા પણ સર્વપ્રથમ કરવી જોઈએ. ત્યાર બાદ બીજા દેવી દેવતા આવે છે.
તેમની આરાધના કર્યા વગર અન્ય દેવી દેવતાને પુજવાથી તેમનો પ્રકોપ વધે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ દક્ષિણ ભારત તેમજ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ કુળદેવીને ઘરના મંદીરમાં મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તેમની નિયમિત પુજા કરવામાં આવે છે. અને નવરાત્રી દરમિયાન નિવેદ પણ કરવામાં આવે છે. અને તેમના નામનો લઘુરુદ્ર તેમજ નવચંડી યજ્ઞ પણ કરાવવામાં આવે છે.
આ ઉપરાંત પોતાના માતાપિતાની કુળદેવતા તેમજ કુળદેવીની આરાધના કરવાની પરંપરાને પણ આજના યુવાનોએ અપનાવવી જોઈએ અને વર્ષમાં ઓછામાં ઓછા બે વાર તો પોતાના કુળદેવી તેમજ કુળદેવતાના દર્શન કરવા જોઈએ.
આજે માણસ પેટનો ખાડો પુરવા માટે પોતાનું ગામ છોડીને શહેરોમાં વસ્યો છે અને કેટલાક તો વિદેશ પણ વસ્યા છે. કુળ દેવી કે કુળ દેવતાના મંદીર મોટે ભાગે વ્યક્તિના મૂળ ગામમાં આવેલા હોય છે જ્યાં વારંવાર જવું શક્ય નથી હોતું માટે જ સમય મળ્યે થોડો સમય માતાજી કે કુળદેવતા માટે પણ કાઢી લેવો જોઈએ.
આજના યુવાનોએ જેમ તેમના માતાપિતાએ તેમના માટે કુળદેવતા- કુળદેવી સમક્ષ પ્રાર્થના કરી હતી તેવી જ રીતે તેમણે પણ પોતાની આવનારી પેઢી માટે તેમના સારા સ્વાસ્થ્ય, સારા ભવિષ્ય તેમજ ઘરની સુખશાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ.
ઘણા ઘરોમાં આજે પણ પાણિયારા પાસે કુળદેવીના નામનો દીવો રોજ સાંજે પ્રગટાવવામાં આવે છે. નવરાત્રીમાં આજે પણ ઘણા પરિવારો સમગ્ર કુટુંબ સાથે પોતાના ગામે જઈને કુળદેવીના નિવેદ કરતા હોય છે. તમે જ્યારે ક્યારેય પણ મંદીર આગળ પુજા કરવા બેસો ત્યારે તમારે તમારા કુળદેવીનું નામ હંમેશા ઉચ્ચારવું જોઈએ. બને તો તેમના નામની માળા પણ કરી શકો છો.
શા માટે કુળદેવી કે કુળદેવતાની પુજા કરવી જોઈએ
કુળદેવી તમારા કુળનું રક્ષા કવચ છે. જેમ જેમ તેમનું કુળ તેમને ભુલતું જાય છે એટલે કે પુજા અર્ચનામાં તેમના જાપ નથી કરતું, તેમની આરાધના નથી કરતું તેમ તેમ આ રક્ષા કવચની શક્તિ ઘટતી જાય છે અને આપણા પર તેમની કૃપા પણ નથી રહેતી. જેમ અચાનક માતા ન રહેવાથી બાળકોની શું હાલત થાય છે તેવી હાલત કુળદેવી વગરના કુળની થાય છે.
પણ જો તમે નિયમિત તમારી પ્રાર્થનામાં તમારા કુળદેવી કે કુળદેવતાનું સ્મરણ કરશો, તેમની ભક્તિભાવથી પુજા કરશો તો હંમેશા તેમની કૃપા તમારા પર રહેશે અને તમારા પર ક્યારેય સંકટના વાદળો નહીં છવાય તે તમારા રસ્તામાં આવતી દરેક મુશ્કેલીઓની આડે આવીને ઉભા રહેશે. માટે હંમેશા પુજા કરતી વખતે સૌપ્રથમ સ્મરણ તમારા કુળદેવી કે કુળદેવતાનું જ કરવું જોઈએ.
કુળદેવી-દેવતાની પુજા આ રીતે કરો
ઘણા બધા લોકોના ઘરના મંદીરમાં એક સાથે ઘણા બધા દેવી-દેવતાઓની મુર્તિ રાખવામાં આવે છે પણ વાસ્તમાં આટલા બધા દેવી દેવતાની કોઈ જ જરૂર નથી હોતી. તે સંખ્યાને ઘટાડીને તમે તમારા કુળદેવી, કુળ દેવતા, ગણેશજી, હનુમાનજી અને બાળગોપાળ તેમજ અન્નપુર્ણા દેવીને રાખી શકો.
શા માટે દરેક ઘરના મંદીરમાં ગણપતિ હોવા જ જોઈએ
કેહવાય છે કે આપણી એટલે કે મનુષ્યની અને દેવતાઓની ભાષા અલગ હોય છે. મનુષ્ય નાદ ભાષા એટલે કે શબ્દોથી વ્યવહાર કરે છે જ્યારે દેવતાઓ પ્રકાશ ભાષાથી વ્યવહાર કરે છે. અને આપણી નાદ ભાષાને દેવતાઓની પ્રકાશ ભાષામાં અને પ્રકાશ ભાષાને આપણી નાદ ભાષામાં રુપાંતરિત કરવાનું કામ ગણપતિ કરે છે. માટે ગણપતિ દરેક ઘરના મંદીરમાં બીરાજમાન હોવા જોઈએ કારણ કે તેઓ જ આપણી પ્રાર્થના દેવી-દેવતાઓ સુધી પહોંચાડે છે.
મંદીરમાં દેવી-દેવતાઓની ગોઠવણી આવી રીતે કરો
ઘરના મંદીરની મધ્યમાં શ્રી ગણેશને બેસાડો તેમની જમણી બાજુ કુળદેવતા અને ડાબી બાજુ કુળદેવીને બેસાડો. હવે બીજા દેવતા જેમ કે બાળગોપાળ કે પછી હનુમાનજી મંદીરમાં રાખતા હોવ તો તેમને કુળદેવીની જમણી બાજુ રાખો અને અન્નપુર્ણા દેવી તેમજ અન્ય દેવીઓને કુળદેવીની ડાબી બાજુ રાખો. આ ચાર-પાંચ દેવી દેવતાઓ ઉપરાંત વધારાની મુર્તિઓ રાખવાની કોઈ જરૂર નથી. વધારાની મુર્તિને તમે કોઈ નદી, કુવા કે સમુદ્રમાં વિસર્જીત કરી શકો છો.
શ્રદ્ધામાં એકનિષ્ઠ રહો
તમારે તમારા કુળદેવી કે કુળદેવતાના મંદીરે ચોક્કસ જવું જ જોઈએ. ત્યાર બાદ જ બીજા મંદીરોએ જવું. જો તમારી આસપાસ તમારા કુળદેવી કે કદુળદેવતાનું મંદીર ન હોય તો તમારે કોઈ એક દેવી કે દેવતાને તમારા કુળદેવી કે કુળદેવતા માનીને તેમના દર્શન કરવા જોઈએ.
આજે ઘણા બધા લોકોને પોતાના કુળની પણ નથી ખબર હોતી અને જેને પોતાના કુળની ખબર હોય છે તેને પોતાના કુળદેવી કે કુળદેવતાની પણ નથી ખબર હોતી. આપણે બધાં કોઈને કોઈ કુળના હોઈએ છીએ. એક હિન્દુ વ્યક્તિ કોઈને કોઈ ઋષિ મુનિનો વંશજ હોય છે. અને તે ઋષિનું ગોત્ર જ આપણું ગોત્ર હોય છે. અને તેનું કુળ આપણું કુળ હોય છે અને તે જે કુળદેવી કે દેવતાના ઉપાસક હોય છે તે જ આપણા કુળદેવી કે કુળદેવતા હોય છે. માટે તમારા વડીલોને તમારા કુળ વિષે પુછો અને તે વિષે જાણકારી લઈ તમારા કુળદેવી-દેવતાની આરાધના કરો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ