ખોડિયાર માતાજીનો રસપ્રદ ઇતિહાસ અને પ્રાગટ્ય કથા આજે પણ બહુ ઓછા લોકો જાણે છે !

આઈશ્રી ખોડિયારમાની પ્રાગટ્ય કથા અને માટેલ મંદિરનો ઇતિહાસ

ગુજરાતની અગણિત જ્ઞાતિઓના કુળદેવી એવા ખોડિયારમાંનું અવતરણ આજથી લગભગ 1200 વર્ષ પુર્વે થયું હતું. લેઉઆ પટેલ, ગોહિલ, ચુડાસમા, ચૌહાણ, પરમાર જ્ઞાતિના રાજપુતો, સરવૈયા, કારડિયા રાજપુતો, ખવડ, કામદાર, જળુ, ચારણ, બારોય, બ્રાહ્મણ વિગેરે જ્ઞાતિના લોકો ખોડિયારમાની કુળદેવી તરીકે પુજા કરે છે. આશરે નવમીથી અગિયારમી સદી દરમિયાનની આ કથા છે. ગુજરાતના ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામના એક ચારણ વર્ષોથી રહેતા હતા. તે મૂળે તો માલધારી હતા પણ ભોળાનાથના પરમ ભક્ત હતા. આ બન્ને પતિ-ત્ની હંમેશા ઇશ્વરની આરાધનામાં લીન રહેતા. પત્નીનું નામ હતું દેવળબા.

image source

માલધારી હોવાથી તેમના ફળિયામાં અસંખ્ય દૂઝણાને લીધે ઘરમાં કોઈ જ ખોટ નહોતી રહેતી. ખોટ હતી તો માત્ર એટલી હતી કે તેઓ નિઃસંતાન હતા. બસ દીવસ રાત દેવળબાને તે જ વસવસો રહ્યા કરતો. પતિ-પત્ની બન્ને દયાલુ, માયાળુ અને કૃપાળુ હતું ઘરે કોઈ પણ આવે તેમને જમ્યા વગર નોહતા મોકલતા. અને તેમનું જાણે જીવનમંત્ર જ બની ગયું હતું કે ઘરેથી કોઈ વ્યક્તિ ભુખ્યું ન જવું જોઈએ.

તેમના ભલા સ્વભાવના તો ગામના લોકો પણ વખાણ કરતાં અને વલ્લભીપુરના શિલાદિત્ય નામના રાજા તો તેમના ખાસ મિત્ર જ બની ગયા હતા. પણ એક માલધારી અને રાજાની મિત્રતા પર કંઈ કેટલાએ લોકોની નજર બગડેલી હતી. હવે આ ગાઢ મિત્રો વચ્ચેની મિત્રતા કેવી રીતે તોડવી.

image source

તો તેના માટે ઇર્ષાળુ લોકોએ એક રસ્તો શોધી કાઢ્યો હતો. રાજાના નજીકના લોકોએ તેમના કાન ભંભેરવા શરૂ કરી દીધા કે મામડિયા એક નિઃસંતાન હતા માટે તેમનું મોઢું જોવાથી અપશુકન થાય છે અને જો આમને આમ અપશુકન થયા કરશે તો ભવિષ્યમાં રાજાપાટ પણ હાથમાંથી જતો રહેશે.

નિત્ય ક્રમ પ્રમાણે મામડિયા માલધારી તો મિત્રને મળવા આવી પહોંચ્યા. પણ રાજાના ચહેરા પર પહેલાં જેવી મિત્રતા તેમને ન જોવા મળી. અને રાજાએ પણ વધારે કંઈ પણ વાત કર્યા વગર “આપણી મિત્રતા પુરી થાય છે” તેમ કહી તેઓ પોતાના ખંડમાં જતા રહ્યા.

image source

પરમ મિત્રના આવા વર્તનથી મામડિયા માલધારીને ઘણું દુઃખ થયું અને થોડા દિવસમાં તેમને રાજાના આવા વર્તન પાછળનું કારણ પણ જાણવા મળ્યું અને તે જાણીને તેઓ ઓર વધારે દુઃખી થઈ ગયા. ધીમે ધીમે લોકોને પણ ખબર પડવા લાગી કે રાજાએ મામડિયા સાથે મિત્રતા કેમ તોડી નાખી અને લોકો પણ તેમને વાંઝિયાના મેણા મારવા લાગ્યા.

પતિ-પત્ની બન્ને દુઃખી-દુઃખી થઈ ગયા હતા. જીવન હવે જાણે નરક જેવું લાગવા માંડ્યું હતું. છેવટે તેમને પોતાની સમસ્યાનો ભોળાનાથ સિવાય કોઈ જ અંત નહીં લાવી શકે તેવી લાગણી થઈ અને તેમણે પ્રણ લીધું કે જો ભોળાનાથ તેમની પ્રાર્થના નહીં સ્વિકારે તો તેઓ પોતાનું મસ્તક વાઢીને શિવજીને અર્પણ કરશે.

image source

પતિ-પત્ની ભક્તિમાં લીન થઈ ગયા ઘણા દિવસો પસાર થયા પણ કોઈ જ ફળ ન મળ્યું. છેવટે મામડિયાની ધીરજ ખુટી અને તેમણે પોતાનું પ્રણ પાળવાનો નિશ્ચય લીધો અને તલવારથી હજુ તો માથુ વાઢવા જ જતા હતા કે શિવજી તેમના પર પ્રસન્ન થયા. તેમને ભગવાન દ્વારા વરદાન આપવામાં આવ્યું કે પાતાળ લોકની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં જન્મ લેશે. મામડિયા આ વરદાનથી ખુશખુશહાલ થઈ ગયા.

મામડિયાએ આ વરદાન વિષે પત્નીને જણાવ્યું અને પત્નીએ પતિના જણાવ્યા પ્રમાણે મહા સુદ આઠમના દિવસે ઘરમાં આંઠ ખોળિયા બાંધીને મુકી દીધા. જોત જોતામા આ સાતેય પારણા ભરાઈ ગયા. સાત કન્યાઓ અને એક ભાઈનું અવતરણ થયું. કન્યાઓના નામ હતા આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ. અને એકના એક ભાઈનું નામ હતું મેરખિયો. જેમાંના જાનબાઈ આગળ જતાં ખોડિયારમાતા કહેવાયા.

શા માટે જાનબાઈ બન્યા ખોડિયારમા

image source

સાત બેહનેમાં એકના એક ભાઈ એવા મેરખિયાને ઝેરી સાપ કરડી ગયો હતો. આ વાત જાણી સાતે બહેનોના જીવ તાળવે બંધાઈ ગયા હતા અને માતાપિતા તો જાણે સ્તબ્ધ જ બની ગયા હતા. પણ મૂળે તો આ સાતે ભાઈ બેહનો નાગકુળા જ હતા માટે કોઈકે પાતાળલોકમાં જઈને નાગરાજા પાસેથી અમૃત કળશ લઈ આવવાનું સુચન આપ્યું. જો કે તે સુરજ ઉગે તે પહેલાં લાવવાનો હતો જો વધારે મોડું થાય તો મેરખિયો મોતને ભેટશે.

image source

અમૃત કળશ લેવા સૌથી નાની બહેન એવા જાનબાઈ પાતાળલોકમાં નાગરાજા પાસે ગયા. તેઓ જ્યારે અમૃત કળશ લઈને પાછા આવી રહ્યા હતા ત્યારે તેમને પથ્થરથી પગને ઠેસ વાગી હતી માટે તેઓ ખોડા પગે ચાલતા આવતા હતા. અને તેના પરથી તેમનું નામ ખોડિયાર કે ખોડલ પડ્યું. જાનબાઈએ અમૃત કળશમાંના અમૃતને ભાઈના મોઢામાં રેડ્યું અને એકના એક ભાઈને પુનર્જીવીત કર્યો.

ખોડિયારમાંના ગુજરાતમાં ઘણા બધા મંદીરો આવેલા છે. મૂળ મંદીર તો તેમના જ પ્રાગટ્ય સ્થાન એવા રોહિશાળામાં આવેલું છે. આ સિવાય અમરેલિના ગળધરામાં તેમજ રાજકોટ નજીક કાગવડમાં તો તાજેતરમાં જ વિશાળ ખોડલધામ બનાવવામાં આવ્યું છે.

image source

પણ ખોડિયારમાના ભક્તોમાં માટેલ ધામનું એક અનેરુ મહત્ત્વ છે. રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકામાં માટેલ ગામે આવેલું ખોડિયારમાતાનું મંદીર સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. આ મંદીર એક વરખડીના વિશાળ વૃક્ષના સાનિધ્યમાં આવેલું છે. મંદિરમાંની ખોડિયારમાતાના હાથમાં એક ત્રીશુલ મુકવામાં આવ્યું છે જે દર ત્રણ વર્ષે એક ઇંચ વધે છે.

આ મંદીર નજીક એક માટેલ નામનો ધરો આવેલો છે અને માતાજીના દર્શને આવનાર દરેક ભક્ત આ ધરાના પવિત્ર પાણીને પોતાના માથે ચડાવી અંજલી લે છે. કેહવાય છે કે આ ધરાનું પાણી ક્યારેય બગડતું નથી તે હંમેશા સ્વચ્છ જ રહે છે અને આ ધરો ક્યારેય સુકાતો પણ નથી.

image source

અહીં મંદીરમાં ચાર મુર્તિઓ આવેલી છે આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. તેમાં ખડિયારમાતાની મુર્તિ પર સોના ચાંદિના છત્રો મુકવામાં આવ્યા છે અને તેમને ચુંદડી પણ ઓઢાડવામાં આવી છે. મૂળ મંદીરની બાજુમાં નવું વિશાળ મંદીર બનાવવામાં આવ્યું છે તેમાં ખોડિયાર માતાની આરસની સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. નજીકમાં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે જેની નીચે ખોડિયારમાતાની બીજી બહેનો, જોગડ, તોગડ અને સાંસાઈના પાળિયા ઉભા છે.

માટેલિયા ધરા નજીક આવેલો નાનો ધરો જેને ભાણેજીયા ધરો કહેવાય છે તેમાં માતાજીનું સુવર્ણ મંદીર હોવાની પણ માન્યતા છે આજથી લગભગ સેંકડો વર્ષો પહેલાં આ સુવર્ણ મંદીરની જાણ થતાં તે વખતના બાદશાહે તે મંદીરના દર્શન કરવા માટે ધરાનું પાણી ખેંચાવ્યું હતું. અને પાણી ખેંચાતા મંદીરનું સોનાનું શીખર દેખાયું હતું. પણ ખોડિયાર માતાએ ફરી તે ધરો પાણીથી ભરીને પોતાનું સત સાબિત કરીને પરચો બતાવ્યો હતો.

image source

માટેલમાં માઈ ભક્તો માટે અગણિત ધર્મશાળાઓ આવેલી છે અને અન્ય ઘણી બધી વ્યવસ્થા ઓ કરવામાં આવી છે. અહીં ખરીદી માટે ઘણી બધી દુકાનો પણ આવેલી છે જે અહીંના લોકોની આજીવીકાનું મુખ્ય સાધન છે. અહીં ભક્તો માનતા માનીને પગપાળા પણ દર્શન કરવા માટે આવે છે. અહીં માતાજીને લાપસીનો પ્રસાદ ધરવામાં આવે છે. અહીં મંદીરના ટ્રસ્ટ દ્વારા એક અન્નક્ષેત્ર પણ ચાલે છે જેમાં ભક્તોને વિનામુલ્યે ભોજન પુરુ પાડવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ