હવે ખેડૂતે ખેતી માટે નહીં ખરીદવી પડે મશીનરી ! ભાડે મળશે બધી જ મશીનરી, ખુશ થાઓ ખેડૂતો ! હવે તમારા માટે પણ સરકારે બહાર પાડી છે આ લાભપ્રદ યોજનાઓ
દેશના કોઈ પણ ખૂણે આજે દેશનો ખેડૂત આંદોલન ચલાવી રહ્યો છે. તેને પોતાના ઉત્પાદનનું જોઈતું વળતર નથી મળતું. ત્યારે તે નિરાશ થઈને અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરીને પોતાના ઉત્પાદનની ટ્રકોની ટ્રકો ભરીને રસ્તા પર નાખી દેતો જોવા મળ્યો છે તો વળી. પશુપાલન કરીને ગુજરાન ચલાવતા ખેડૂતોને પણ તમે તેમના દૂધની યોગ્ય કિંમત નહીં મળતા રસ્તા પર દૂધના ટેન્કરોના ટેંકરો ઢોળી દેતા જોયા હશે.
આજે દેશ ભલે ગમે તેટલો આગળ વધ્યો હોય તેમ છતાં દીવસેને દીવસે ખેડૂતોની સ્થિતિ કફોડી થતી જઈ રહી છે. જેના માટે સરકારે ઘણી બધી યોજનાઓ પણ ઘડી છે કે ખેડૂતોને થોડા ઘણા અંશે પોતાની તકલીફમાં રાહત મળી રહે. તાજેતરમાં કૃષિ મંત્રાલયના કસ્ટમ હાયરિંગ સેંટર્સ માટે સીએચસી ફાર્મ મશિનરી એપ લોન્ચ કરવામાં આવી છે.
આ એપનો ઉપયોગ કરીને ખેડૂતો પોતાના ખેતરના 50 કીલોમીટરના વિસ્તારમાં હાજર ખેતીના સાધનોને ભાડે લઈ શકે છે. આ એપ્લિકેશન કુલ 12 ભાષામાં ઉપલબ્ધ છે.
આઝાદી બાદ ભારતને એક કૃષિપ્રધાન દેશ તરીકે વિકસાવવાની વાત થઈ હતી અને તેના માટે ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા હતા પણ આજે આપણે બધા જાણીએ છીએ કે ખેડૂતોની સ્થિતિમાં કેટલો સુધારો થયો છે. આજે પણ દેશમાં હજારો ખેડૂતો છે જેમની પાસે સાધનોના અભાવના કારણે તેઓ યોગ્ય જમીન તેમજ પાણી હોવા છતાં પણ જમીનની ક્ષમતા પ્રમાણે તેમાંથી ઉત્પાદન નથી મેળવી શકતાં.
પણ CHC Farm Machinery એપ્લીકેશન દ્વારા તેઓ ભલે સાધનોને ખરીદવાની ક્ષમતા ન ધરાવતા હોય પણ તે સાધનો ભાડે લાવીને પણ ખેતી કરી શકશે અને ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવી શકશે.
નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો માટે આ નવી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતી કરવા માટે મોંઘા સાધનોને ખીદવાની જરૂર નહીં પડે પણ તેમને તે ભાડેથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેના માટે સરકાર પોતે જ એગ્રીગેટર બની ગઈ છે. કૃષિ મંત્રાલયએ કસ્ટમ હાયરિંગ સેંટર માટે CHCFarm Machinery એપ લોન્ચ કરી છે. તેમાં ખેડૂતો પેતાના ખેતરના 50 કિલો મીટરના દાયરામાં હાજર ખેતીના સાધનોને ભાડેથી લઈ શકશે.
દેશના ખેડૂતોને એપ્લિકેશનને સમજવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી તેને કુલ 12 ભાષાઓમાં બનાવવામાં આવી છે. સરકારને આ એપ્લિકેશન લોંચ થવાથી આશા છે કે ખેડૂતોને મોંઘા સાધનો ખરીદવાની જરૂર નહીં પડે અને થોડું ભાડું ચુકવીને તેઓ સાધનોથી યોગ્ય રીતે ખેતી કરી શકશે. આમ થવાથી તેમણે લોનો લઈ લઈને સાધનો નહીં ખરીદવા પડે પણ સીઝન પુરતા સાધનોને ભાડે લઈને તેઓ પોતાના ઉત્પાદનમાં વધારો કરી શકે છે.
આ એપ્લિકેશનની મદદથી બીજી ઘણી મદદ મળશે ખેડૂતોને
આ એપ્લિકેશન પર ખેડૂતો કારની જેમ જ ખેતીના કામ માટે ટ્રેક્ટરને અગાઉથી બુક કરી શકશે. ખેડૂતને પોતાના કામ માટે મોટાથી નાના સુધીના બધા જ સાધનો આ એપ પર ભાડેથી મળી રહેશે. તેના માટે અત્યાર સુધીમાં 35 હજાર કસ્ટમ હાયરિંગ સેંટર્સ સમગ્ર દેશમાં બનાવવામાં આવ્યા છે. આ સેંટરોની ક્ષમતા એક વર્ષમાં 2.5 લાખ ખેતીના કામમાં વપરાતા ઉપકરણો ભાડે આપવાની છે.
કેવી રીતે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો
આ એપ્લિકેશનનું નામ CHC Farm Machinery રાખવામાં આવ્યું છે. જેમ તમે તમારા મોબાઈલમાં અન્ય એપ્લિકેશનો ગુગલ પ્લેથી ડાઉનલોડ કરો છો તેવી જ રીતે આ એપને પણ તમે ગુગલ પ્લે પરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશન હિંદી, અંગ્રેજી, ઉર્દુ જેવી ભારતની 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
ભાષા પસંદગી માટે સૌ પ્રથમ તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવી પડશે અને ત્યાર બાદ તમને તેમાં તમારી ભાષા પસંદ કરવાનો વિકલ્પ પુછવામાં આવશે જેમાં કુલ 12 ભાષાઓના વિકલ્પ છે જેમાંથી તમે તમને અનુકુળ ભાષાની પસંદગી કરી શકો છો.
ભાષા પસંદગી કર્યા બાદ તમને તેમાં CHC / સર્વિસ પ્રોવાઈડર અને ખેડૂતો/ઉપયોગ કર્તાનું ઓપ્શન જોવા મળશે. તેમાં તમારે લોગીન કરવાનું રહેશે જેમાં તમારે તમારું યુઝરઆઈડી અને પાસવર્ડ નાખવાનો રહેશે આ પ્રક્રિયા તમારે એક જ વાર કરવાની રહે છે.
જો કે હજુ સુધી એપ્લિકેશનના ડેટામાં કયા બ્લોક એટલે કે દેશના કયા વિસ્તારમાં કયા કયા ઉપકરણો ઉપલબ્ધ છે તેની માહિતિ હજુ સુધી ફીડ કરવામા આવી નથી જે થોડા ક જ સમયમાં થઈ જશે. અત્યાર સુધીમાં આ એપ્લિકેશન સાથે 1 લાખ 21 હજાર ખેડૂતો જોડાઈ ચુક્યા છે.
ખેડૂતને મળી રહી છે એગ્રીકલ્ચર મશીનરી પર છૂટ
જો કોઈ ખેડૂત કૃષિ યંત્ર પર સબસીડી મેળવા માગતો હોય તો તેણે તેના માટે આવેદન આપવુ પડે છે જે તે સીએસસી સેન્ટર પર જઈને કરી શકે છે. આ સેંટર પર પહોંચીને ખેડૂત પોતાની પસંદનું યંત્ર પસંદ કરીને સીએસસી સંચાલકને જણાવી શકે છે. ત્યાર બાદ સંચાલક તેને આવેદન નંબર આપશે. આ ઉપરાંત ખેડૂત સાઇબર કાફે અથવા પોતાના નેટવર્ક થ્રુ આવેદન કરી શકે છે. તેના માટે ખેડૂતો એગ્રી મશીનરી. ઇન પોર્ટલ પર જઈને આવેદન આપવું પડે છે.
2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ઉપર લાવવાનું લક્ષ રાખ્યું હતું ત્યાર બાદ મોદી સરકાર એકધારું ખેતીને સરળ કરવા પર કેન્દ્રીત થઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે કેટલીક મુખ્ય યોજનાઓ પર કેન્દ્રીત થઈ રહી છે. જેમાં પાક વિમા યોજના, કૃષી મશીનીકરણ, જૈવિક ખેતી, સ્વાયલ હેલ્થ કાર્ડ અને ખેડૂતોને બેંકમાંથી સીધી જ મદદ મોકલવાનો પણ સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ આ મુખ્ય યોજના વિષે
પાક વીમા યોજના
કૃષિ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પાક વીમા યોજના હેઠળ 2016થી અત્યાર સુધીમાં ખેડૂતોને 47600 કરોડ રૂપિયાના ક્લેમની ચૂકવણી કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને અતિવૃષ્ઠિ, અનાવૃષ્ઠિ જેવી કુદરતી આફતોની સામે રક્ષણ આપવામા આવે છે.
કૃષી મશીનીકરણ
આજે વિજ્ઞાને ખુબ જ પ્રગતિ કરી છે જેનો ફાયદો દુનિયા ભરના વિકસિત દેશોની ખેતીવાડીમાં કરવામાં આવી રહ્યો છે. જો કે ભારતમાં હજુ પણ મોટા ભાગના પ્રદેશોમાં જૂની રીતે ખેતી કરવામાં આવે છે તો હવે પછીનું સરકારનું લક્ષ ખેતીમાં મશીનોનો બને તેટલો ઉપયોગ વધારવાનું છે. કૃષી મંત્રાલય પ્રમાણે 2016થી 2019 દરમિયા સમગ્ર દેશમાં ખેડૂતોને 29,54,484 મશીનોનું વિતરણ કરવામા આવ્યું છે. જે આગલા વર્ષોની સરખામણીમાં ડબલ કરતાં પણ વધારે છે. દરેક ખેડૂતને મશીનો મળી રહે તે હેતુથી સરકાર મશીન બેંક બનાવવા માટે 40 ટકા સબસીડી આપી રહી છે.
ખેતી માટે હેલ્થ કાર્ડ
સ્વાયલ હેલ્થ કાર્ડ એક એવું કાર્ડ છે જે ખેતીનું સ્વાસ્થ્ય કેવું છે તેમજ તેમાં કેવા પ્રકારના ખાતરની જરૂર છે અને કેવું ખાતર તેમાં ન વાપરવું જોઈએ તેની જાણકારી ખેડૂતને આપવામાં આવે છે. આ હેતુથી સરકારે સ્વાયલ હેલ્થ કાર્ડ યોજના શરૂ કરી છે. 2015થી અત્યાર સુધીમાં કુલ 10.69 કરોડ સ્વાયલ હેલ્થ કાર્ડ વહેંચવામાં આવ્યા છે.
જૈવિક ખેતી
રાસાયણિક ખાતરથી ઉત્પન્ન કરવામાં આવતા અનાજ તેમજ શાક-ભાજી તેમજ ફળોથી લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે અને સાથે સાથે જમીનની ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે. અને તે જ જોખમને ટાળવા માટે સરકારે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજના શરૂ કરી છે. જે હેઠળ જૈવિક ખેતીને એટલી પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે કે આ ક્ષેત્રમાં સારો દેખાવ કરનારા ખેડૂત મિત્રોને પદ્મશ્રીથી પણ નવાજમાં આવ્યા છે. કૃષિ મંત્રાલયના કહેવા પ્રમાણે આજે ભારતની 27.10 લાખ હેક્ટર જમીન પર જૈવિક ખેતી થઈ રહી છે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ
મોદી સરકારના ચુટણીના નવા એજન્ડામાં કહેવામાં આવ્યા પ્રમાણે આવનારા સમયમાં દેશના 14.5 કરોડ ખેડૂતોને વર્ષના 6-6 હજાર રૂપિયા ખેતીવાડી માટે આપવામાં આવશે. આ રીતે જો ગણતરી કરવા જઈએ તો 87000 કરોડની મોટી રકમ ખેડૂતોના ખાતામાં સીધી જ જમા થવાની છે.
સરકારની બધી જ યોજનાઓ ચોક્કસ લાભપ્રદ હોય છે અને તેનું લક્ષ પણ ખેડૂતોના ઉદ્ધારનું જ હોય છે પણ આજે ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે ખેડૂત સુધી સહાય પહોંચતાં પહોંચતા ઘણું મોડું થઈ જાય છે અને કેટલાક કીસ્સાઓમાં તો સહાયતા પહોંચતી પણ નથી.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !