જલ્સા કરોને જેંતીલાલ

સદગુરુ, ઇશા ફાઉન્ડેશન દ્વારા કાવેરી નદીને પુનર્જીવિત કરવાની જુંબેશ શરૂ કરવામાં આવી. દસ વર્ષના ગાળામાં 242 કરોડ વૃક્ષારોપણનું લક્ષ

આપણે સારીરીતે જાણીએ છીએ કે છેલ્લા કેટલાય વખતથી તામીલનાડુ એ પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલાની જ વાત છે કે અહીં પાણીની સમસ્યાને થોડા ઘણા અંશે દૂર કરવા માટે પાણીની ટ્રેન મંગાવવામાં આવી હતી. આ દૃશ્ય આપણને આપણા કારમા ભવિષ્યનો આયનો દર્શાવી રહ્યું હતું.


આ સમસ્યાનો રેલો હજુ સુધી આપણા પગ આગળ આવ્યો નથી એટલે આપણને કદાચ હાલ આ વાત નહીં સમજાય જો કે ક્યારેક ક્યારેક સોસાયટીનો બોર બગડી જાય અથવા તો મોટર બગડી જાય ત્યારે એક ડોલ પાણી માટે આખી સોસાયટી જે ઉંચીનીચી થઈ જાય છે તેના કરતાં પણ વધારે અકળામણ, વધારે મજબૂરી, વધારે લાચારી આપણે ત્યારે અનુભવીશું જ્યારે બોરમાં પણ પાણી નહીં હોય ભુગર્ભજળ પણ નીચે જતાં રહ્યા હશે.

શું આપણને નથી લાગતું કે આપણે હવે આપણા આ અત્યંત મહત્ત્વના સંસાધન એવા પાણી માટે યોગ્ય આયોજન યોગ્ય વ્યવસ્થાપન કરવી જોઈએ ? શું તમને એવું લાગે છે કે આ સમસ્યા માત્ર કોઈ એક જગ્યા પુરતી જ સિમિત છે ? જો એવું હોય તો આ વહેમમાંથી હાલને હાલ જ બહાર નીકળી જાઓ ? કારણ કે આ સમસ્યા સાર્વત્રિક છે, વૈશ્વિક છે. માત્ર તામિલનાડુ કે દીલ્લીમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પાણીનો પ્રશ્ન એ અસ્તિત્વનો પ્રશ્ન બનતો જાય છે.

આપણે જ્યારે નાના હતા ત્યારે ભૂગોળના વિષયમાં પાણીના સ્રોતો વિષે ભણી ગયા છીએ. પૃથ્વી પર અને ખાસ કરીને ભારતમાં પાણીનો જે સ્રોત છે તે એક જ છે અને તે છે વરસાદ. હા કેટલાક ટકા પાણી આપણને હીમનદીઓના પીગળવાથી મળી રહે છે પણ તે અમુક ટકા જ છે. તેનાથી સમગ્ર દેશની પાણીની જરૂરિયાત ન સંતોષાય.

આપણે કૃત્રિમ રીતે પાણીના સંગ્રહ માટે કેટલાએ રસ્તાઓ અપનાવ્યા છે જેમ કે નાની-નાની નદીઓમાં ચેકડેમ બાંધવા, મોટી વિશાળ નદીઓ પર સરોવર બાંધીને તેના પર ડેમ બાંધવા પણ શું સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો ? ના આ તો માત્ર એક ફીક્સ માપની ચાદરને આમ ખેંચીને અહીં ઢાંકવાની અને અહીંથી ખેંચીને ત્યાં ઢાંકવાની વાત છે.

Masonry arch dam wall at Lake Parramatta, New South Wales, Australia

કહેવાનો અર્થ એ છે કે એક પ્રદેશમાંથી પાણી ખેંચીને બીજા પ્રદેશમાં આપવું અને તે જ પ્રદેશ પાછો પાણી વિહોણો રહી જાય છે. સમસ્યામાં કોઈ જ ઘટાડો નથી થયો. આપણે પ્રશ્નના મૂળમાં જવા નથી માગતા આપણે પાણીના સ્રોતને સમૃદ્ધ બનાવવાનો છે અને તેને યોગ્યરીતે સાંચવી રાખવાનો છે. અને તે ત્યારે જ શક્ય બને જ્યારે આપણે આપણી જમીનને પણ સમૃદ્ધ બનાવીએ. હા. જો આપણે જમીન પર વધારેમાં વધારે વનસ્પતીઓનું વાવેતર કરીશું તો જમીન સમૃદ્ધ બનશે. તે પાણીને સાંચવી રાખવાની ક્ષમતા પુનઃપ્રાપ્ત કરશે. ભૂગર્ભજળ ઉંચા આવશે. અને પછી નદીઓ પણ બે કાંઠે વહેતી થશે.

નદીઓમાં તેમજ તેની આસપાસના વિસ્તારોમાંથી ધીમે ધીમે વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે. વૃક્ષો જમીનને તો એકબીજા સાથે બાંધી જ રાખે છે પણ તે પાણીને પણ પોતાનામાં સમાવે છે. અને વરસાદ લાવવામાં પણ મોટો ભાગ ભજવે છે. હાલ પુરતી વનસ્પતી નથી તેથી વરસાદનું પાણી નદીમાંથી ઝડપથી વહી જાય છે અને પૂરની નોબત ઉભી થાય છે.


આપણે વાત કરી રહ્યા હતા તામિલનાડુની પાણીની સમસ્યાની. તાલનાડુની જીવાદોરી એવી કાવેરી નદીનો હાલ તેના પાડોશી રાજ્ય કર્ણાટક સાથે ઝઘડો ચાલી રહ્યો છે અને આ ઝઘડો કંઈ અત્યારનો નહીં પણ એક સદી કરતાં પણ વધારે લાંબા સમયથી ચાલતો આવ્યો છે. તેનું ઉદ્ભવ સ્થાન કર્ણાટકમાં છે. અને હાલ આ નદી કોરી ધાકોર છે. થોડા વખત પહેલાં કાવેરી નદીમાં પાણી છોડવામાં આવ્યું ત્યારે ત્યાંના ખેડૂતોએ નદીને દંડવત પ્રણામ કર્યું હતું.


કાવેરી વિશે તમિલમાં એક કહેવત છે કે “જો કાવેરી ચાલતી આવે તો તમારા માટે સમૃદ્ધિ લાવે છે અને જો દોડતી આવે તો તે આપત્તિ લાવે છે.” વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો સ્રાવવાળા વિસ્તારમાં નોંધપાત્ર વનસ્પતિ હોય તો તેને ધીમી ગતીએ આગળ વધારી શકો છો. પણ જો આ કેચમેન્ટ એટલે કે આ સ્ત્રાવ ન હોય તો પાણી રોકાયા વગર વહી જાય છે. ઉષ્ણકટીબંધીય આબોહવામાંની જમીનમાં દર ચોરસ ઇંચે સ્રાવ હોય છે. જે –જે જમીન પર વૃક્ષો તેમજ વનસ્પતિ હોય ત્યાં ત્યાં પાણી જમીનમાં ઉતરી જાય છે અને જો ત્યાં વૃક્ષો ન હોય તો જમીનનું ધોવાણ થાય છે અને પાણી વહી જાય છે.


એક અભ્યાસ પ્રમાણે જે વિસ્તારમાં 20 હજાર વૃક્ષો હોય છે તે જમીનમાં 76થી 80 મિલિયન એટલે કે લગભગ 800 લાખ લીટર પાણી દાખલ થઈ શકે છે. કાવેરી નદી 83,000 ચોરસ કિ.મીમાં ફેલાયેલી છે જેના લગભગ 85-90 ટકા વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. તો તમે સમજી શકો છો કે આ નદીની જમીનમાં પાણી શોષવાની ક્ષમતા કેટલી ઓછી હશે.


આપણે ચોમાંસામાં જ જ્યારે વરસાદ પડે ત્યારથી જ તેના વ્યવસ્થાપન પર ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેમાં જ કેટલાએ લાખો લીટર પાણી વહી જાય છે. આપણે ભલે આજની આધુનિક ટેક્નોલોજીની વાતો કરીએ પણ તેમ છતાં આપણે અત્યારસુધી પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરી શક્યા નથી.

પુરાણ કાળમાં ભારતના એક એક શહેરમાં પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવેલું હતું. શહેરમાં ઘણી જગ્યાઓએ પાણી માટે તળાવો બાંધવામાં આવેલા હતા જે એકબીજા સાથે આંતરીક રીતે જોડાયેલા રાખવામાં આવતા જેથી કરીને વરસાદ દરમિયાન એક તળાવ ભરાઈ જાય તો આપોઆપ જ તેનું વધારાનું પાણી બીજા તળાવમા જતું રહેતું અને આમ વર્ષ દરમિયાન નગરવાસીઓને પાણી મળતું રહેતું.


પણ હવે ધીમે ધીમે શહેરોના ડેવલપમેન્ટના નામે આ બધી વ્યવસ્થાઓ પર મોટા મોટા બાંધકામો કરીને બિલ્ડિંગો બનાવી દેવામાં આવ્યા છે. વરસાદના પાણીની વ્યવસ્થા છોડો ગટર વ્યવસ્થા પણ ખોરંભે ચડી જાય છે.

માટે આપણે હવે ચોમાસાનું પાણી વહી ન જાય તેની કાળજી રાખવી પડશે. વધું વૃક્ષો વાવીને પાણીનો જમીનમાં જ સંગ્રહ થાય એટલે કે ભુગર્ભજળનું પ્રમાણ વધે તેવા પ્રયાસો કરવા પડશે. હા નહેરો, ડેમો, નાના ચેક ડેમો વિગેરેમાં વર્ષ દરમિયાન વહેતા પાણીથી આજુબાજુની જમીનમાં પાણી ચોક્કસ ઉતરશે પણ તે કોઈ કાયમી ઉપાય નથી. કાયમી ઉપાય છે ધરતીને બને તેટલી હરિયાળી બનાવીને ભૂગર્ભ જળ વધારવાનો અને વરસાદ લાવવાનો.


જો કે શહેરોને જંગલોમાં ફેરવી નાખવા તે કંઈ કોઈ વ્યવહારુ ઉપાય નથી પણ તે માટે આપણે આપણી ખેતીની જમીનનો ઉપયોગ કરવો જોઈશે. આપણા ખેડૂતોને આપણે કાર્બનિક વૃક્ષો આધારિત ખેતી કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ તેમને એગ્રોફોરેસ્ટ્રી તરફ લઈ જવા પડશે, જેથી કરીને જમીન ફળદ્રુપ બનતી રહે.

આમ કરવાથી જમીનની ગુણવત્તા સુધરે છે જમીનની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થાય છે પણ સાથે સાથે ખેડૂતનું ઉત્પાદન પણ વધે છે અને તેમની આવકમાં કેટલાય ગણો વધારો થાય છે. આ માટે ખેડૂતોને વૃક્ષ આધારીત ખેતી વિષેના પ્રદર્શનો બતાવવા જોઈશે તે વિષે બને તેટલી માહિતી પુરી પાડવી જોઈશે તેમજ તેના તેમને થતાં અંગત ફાયદાઓ વિષે પણ જણાવવું જોઈશે જેથી કરીને તેઓ સામેથી જ તેમ કરવા પ્રેરાય.

તે માટે સદગુરુ, ઇશા ફાઉન્ડેશને “કાવેરી કોલિંગ”નામની ચળવળ શરૂ કરી છે. તેઓ કાવેરી નદીને પુનર્જીવિત કરવા પર ફોકસ થઈ રહ્યા છે. તેઓ વિશ્વને જણાવવા માગે છે કે માત્ર દસથી બાર વર્ષમાં જ તેઓ કેવી રીતે એક સુકાઈ ગયેલી નદીને પુનર્જીવિત કરી શકે છે. અને સાથે સાથે ખેડૂતોને પણ સમૃદ્ધ બનાવી શકે છે.


જો કે આ લક્ષ કંઈ સહેલું નથી તેના માટે ખેડૂતોને મનાવવા એક મોટી વાત છે અને તેના માટે ખેડૂતોને સપોર્ટની પણ જરૂર પડશે. ખેડૂત બીચારો તો માંડ બે ટંકની રોટલી પણ નથી કમાઈ શકતો તેમાં વળી તેમની પાસે નદી બચાવવાની કે પર્યાવરણ બચાવવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય. તે માટે સરકારને પણ મનાવવી પડશે તેમજ આ પ્રયત્નોને એકધારા પ્રોત્સાહિત કરવા પડશે.


“કાવેરી નદી એ મારી સાથે અંતરથી જોડાયેલી નદી છે. મારુ બાળપણ આ નદીના જંગલો અને કુદરતી સૌંદર્યમાં જ વિત્યું છે. જ્યારે આ નદીઓને આમ સુકાતી જોઉં ત્યારે મને અત્યંત પિડા ઉપજે છે. દેશની નદીઓ એ આપણો રાષ્ટ્રીય ખજાનો છે. પાણી કોઈ સામાન નથી પણ જીવનનું નિર્માણ કરનાર સામગ્રી છે. માણસનું શરીર 72 % પાણી છે. આપણે પાણીથી બનેલા છીએ અને પૃથ્વી પણ. પૃથ્વી પરના જળાશયોએ આપણને હજારો વર્ષોથી પોષણ પુરુ પાડ્યું છે હવે સમય આવી ગયો છે કે આપણે પણ નદીઓને પોષિયે. કાવેરી બોલાવી રહી છે શું તેનો અવાજ સાંભળવા તમારી પાસે હૃદય છે ?” આ શબ્દો શ્રી સદગુરુજીના છે.


કાવેરી કોલિંગ ચળવળ હેઠળ 242 કરોડ વૃક્ષોના વાવેતરની યોજના છે જેમાંથી તેના પહેલાં ફેઝમાં તામિલનાડુ અને કર્ણાટકમાં 73 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ છે. તેમ કરવાથી પાંચ-પાંચ વર્ષના ગાળે ખેડૂતોની સ્થિતિમાં સુધારો જોવા મળશે. તેમજ કાવેરીમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા પણ વધતી જશે.
તો ચાલો આપણે પણ આવો એક પ્રયાસ કરીએ ભલે આટલો મોટો નહીં પણ નાનો સરખો કે વર્ષમાં આપણે ઓછામાં ઓછું એક વૃક્ષ તો વાવીએ જ જેથી કરીને આપણે આપણી આવનારી પેઢી માટે એક સમૃદ્ધ કુદરતી ખજાનાથી ભરપુર પૃથ્વીની ભેટ આપતા જઈએ.

span style=”color: #ff0000;”>સૌજન્ય : ઈશા ફાઉન્ડેશન – સદગુરુ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version