કરવા ચૌથ પર ગુરુ અને શુક્રનો અદ્ભુત સંયોગ, વ્રતકર્તા સ્ત્રી માટે લાભપ્રદ સાબિત થશે
કરવા ચૌથ પર આ વર્ષે ખુબ જ શુભ સંયોગ થવા જઈ રહ્યો છે. જે સ્ત્રીઓ પહેલીવાર આ વ્રત કરવાની હશે અથવા જે સ્ત્રીઓ નવી જ પરણી હશે અને આ વ્રત કરવાની હશે તેમના માટે આ વર્ષની કરવા ચૌથ શુભ માનવામાં આવી રહી છે. આ શુભ સંયોગ પર જે સ્ત્રીઓ વર્ષોથી કર્વા ચૌથનું વ્રત કરતી આવી છે તેઓ આ વર્ષે વિધિપુર્વક પોતાના વ્રતની સમાપ્તી પણ કરી શકશે.
જ્યોતિષોનું એવું કહેવું છે કે આ વર્ષે કરવા ચોથ પર બૃહસ્પતિ તેમજ શુક્રનો ખુબ જ સારો સંયોગ બની રહ્યો છે. આ વખતે કરવા ચોથ 17 ઓક્ટોબર ગુરુવારના રોજ આવી રહી છે.
વ્રતનું મૂહુરત
જ્યોતિષોના જણાવ્યા પ્રમાણે કરવાચૌથ કરનાર સ્ત્રીએ 17 ઓક્ટોબર, ગુરુવારના રોજ સવારે ચારથી પાંચ વચ્ચે ઉઠીને સંકલ્પ લેવાનો રહેશે. કારણ કે ગુરુવારના રોજ સૂર્યોદય સાથે ચતુર્થીનો પ્રારંભ થઈ જશે. પૂજાનો સમય સાંજે 5 કલાક અને 27 મિનિટથી રાત્રે ચંદ્ર દર્શન સુધી શુભ હશે. ચંદ્રોદય થાય એટલે દીવો પ્રજ્વલિત કરી પૂજા પૂર્ણ કરવી.
આ વર્ષે ચંદ્રમાં પોતાની પ્રિય પત્ની રોહીણે સાથે ઉદય પામવાના છે એટલે કે રોહિણી નક્ષત્રમાં ચંદ્રોદય થઈ રહ્યો છે. આ સંયોગને ખુબ જ દુર્લભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ સંયોગ 70 વર્ષ બાદ બની રહ્યો છે.
વ્રત દરમિયાન વ્રતકર્તા સ્ત્રીએ આ કાળજી રાખવી
સવારે વહેલા ઉઠી નિત્યક્રમ પતાવી વ્રતનો સંકલ્પ કર્યા બાદ મહિલાઓએ સાત્વિક વ્યવહારનું આચરણ કરવું જોઈએ. વ્રત દરમિયાન જરા પણ ઉદ્વેગ ન કરવો જોઈ. વ્રત દરમિયાન તામસ થાય તો વ્રત ફળતું નથી. માટે સ્ત્રીએ સમગ્ર દિવસ દરમિયાન પ્રસન્નચિત રહેવું.
આખો દિવસ ગણપતિના મંત્રનો જાપ કરવો, તેમજ વ્રતના દિવસે તમે ગરીબો, મંદીરો કે બ્રાહ્મણોને ફળોનું દાન પણ કી શકો છો. આ સિવાય ગરીબોને વસ્ત્રદાન પણ કરી શકો છો. જો કે દાન કરતી વખતે એ ધ્યાન રાખવું કે સફેદ વસ્તુ દાનમાં ન અપાઈ જાય.
આ દિવસે સ્ત્રીઓ પોતાના પતિદેવના નામની મહેંદી હાથમા લગાવડાવે છે. ઉત્તર ભારતમાં આ દિવસે મહેંદી લગાવવા માટે મહિલાઓની લાઈન લાગે છે. અને માટે જ ઘણી સ્ત્રીઓ તો અગાઉથી બુકીંગ પણ કરાવી લે છે. અને મહેંદી ડીઝાઈન કરતાં આર્ટીસ્ટ પણ જાત જાતની ઓફરો આપી મહિલાઓને આકર્ષે છે.
આ દિવસ દરમિયાન અણિયાળી કે ધારદાર વસ્તુઓનો ઉપોયોગ ન કરવો જોઈ. ખાસ કરીને સોઈ, કાતર વિગેરેને ઉપયોગ ટાળવો જોઈએ. એટલે કે આ દિવસે તમે કોઈ કપડું સાંધી નથી શકતા કે બટન પણ નથી લગાવી શકતા.
આ દિવસે નકારાત્મક રંગો વાળા વસ્ત્રો ન પહેરવા જેમ કે કાળો, ઘેરો ભૂરો રંગ કે સફેદ રંગ ન પહેરવો. આ દિવસે તમારા સૌભાગ્યને લાંબુ બનાવવા માટે તમારે લાલ, પીળા, કેસરી, જેવા ચટકદાર રંગોના વસ્ત્રો પહેરવા.
આ દિવસે તમારે સવારે ઉઠતાં જ અરિસો ન જોવો. સવારે ઉઠતાં જ ભગવાનનું સ્મરણ કરો અને ખાસ કરીને કરવા માતાનું સ્મરણ કરો.
તેમ જ દિવસ દરમિયાન એવી કોઈ વસ્તુ ન ફેંકો જે તમારા સૌભાગ્ય સાથે જોડાયેલી હોય જેમ કે ચાંદલો, કંકુ, બંગડીઓ, પાયલ વિગેરે ન ફેંકવા જોઈએ. તેના માટે કોઈ બીજો દિવસ રાખો. આમ કરવાથી અપશુકન થાય છે.
આ રીતે કરો વ્રત અને પુજા
મહિલાઓ આ વ્રત નિર્જળા રાખતી હોય છે. સવારના સુર્યોદયથી લઈને રાત્રે જ્યાં સુધી ચંદ્રોદય ન થાય ત્યાં સુધી તેણે ભુખ્યું રહેવાનું હોય છે.
પુજા કરતાં પહેલાં મહિલાઓએ કોઈ સુહાગણની જેમ શોળે શણગાર સજીને તૈયાર થવાનું હોય છે.
વ્રતને સફળ બનાવવા માટે દુર્વા તેમજ મોદકથી પુર્ણ શ્રદ્ધાથી ગણપતિજીની પુજા કરવી અને સાથે સાથે કરવા માતાની પણ પુજા કરવામા આવે છે.
પુજા વીધી સંપન્ન થયા બાદ પત્નિ પેતાના પતિના હાથે પાણી પીને વ્રત તોડે છે.
ગુજરાતમાં ચંદ્રોદય રાત્રીના 8.31 વાગે થશે. ઉત્તર ભારતમાં કરવા ચૌથનું ઘણું મહત્ત્વ છે. દિલ્લીના રિઝ મેદાનમાં સેંકડોની સંખ્યામાં સ્ત્રીઓ કરવાચોથનો ચંદ્ર જોવા અહીં ભેગી થાય છે. ચંદ્ર દર્શન બાદ મહિલાઓ પોતાના વ્રત તોડી શકે છે.
ધીમે ધીમે લોકોના સ્થળાંતર વધતાં હવે તહેવારો પ્રાંતિય નથી રહ્યા પણ વિવિધ પ્રાંતોમાં ફેલાતા પણ જઈ રહ્યા છે. આજે ગુજરાતમાં ઉત્તરભારતના લોકોની વસ્તિ ઘણી બધી છે જેઓ ગુજરાતની નવરાત્રિમાં ગરબામાં જુમી ઉઠે છે તો વળી ગુજરાતની ઘણી બધી સ્ત્રીઓ પણ હોંશે હોંશે કરવા ચૌથના વ્રત કરવ લાગી છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ