‘મા તે માં બીજા બધા વન વગાડાના વા’ આવી કહેવત તમે ઘણી વખત સાંભળી હશે. પરંતુ પશુ જગતમાં એક એવી ઘટના બની છે કે જેમાં આ ઉક્તિ એકદમ સાર્થક થઈ છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતો ન હોવાથી તેણે માતાનું સર્જન કર્યું છે. બાળકના જન્મથી ઉછેર સુધી કોઈપણ જીવ હોય, માતૃત્વની લાગણી એકસમાન જ હોય છે.
એમાં પણ પશુઓને તો બચ્ચાંની માવજત કે સારવાર કરવા તબીબ પણ પોતે જ હોય છે. જોકે ગુજરાતમાં 1962-એનિમલ ઈમર્જન્સી સેવા કાર્યરત હોવાથી હવે પશુઓને પણ સારવાર મળી રહે છે. પશુઓ અબોલ હોવાથી પોતાની લાગણી વ્યક્ત તો કરી શકે છે, પણ માણસ એને જલદી સમજી શકતા નથી. પશુ રડે પણ છે અને ભાવુક પણ થાય છે. ખાસ કરીને તેમનાં બચ્ચા માટે સતત ચિંતિત પણ રહે છે.
આજે પશુમાં પણ માનવતા જીવે છે એનો એક પુરાવો મળ્યો છે. વટામણ રોડ પર એક ગાય માતા પોતાની વાછરડીની સારવાર કરાવવા માટે 1962-વાનનો રસ્તો રોકી બેસી રહેતી જોવા મળે છે. વાત જાણે કે એમ છે, 6 ઓક્ટોબર 2020ના રોજ 1962-એનિમલ ઇમર્જન્સી પર કોલ આવ્યો. ગાયની સાથે ફરતી એક વાછરડીનો વટામણ રોડ પર અકસ્માતમાં એક પગ તૂટી ગયો હતો. જ્યારે બીજો એક પગ માઇનર ફ્રેક્ચર થયો હતો. આ ફોન કોલ આવતા જ 1962ની ટીમે સ્થળ પર પહોંચીને વાછરડીને સંપૂર્ણ સારવાર આપી.
તબીબી ટીમે તૂટેલા પગને કાપીને દૂર કરી તેનું ડ્રેસિંગ કર્યું હતું અને ફ્રેક્ચર વાળા પગને પ્લાસ્ટર કર્યું હતું. તેની સાથે સાથે જ ઇન્જેકશન આપ્યું અને બોટલ પણ ચડાવી હતી.પરંતુ આ બધાની વચ્ચે આટલું કર્યા પછીના બે દિવસ બાદ એટલે કે 8 ઓક્ટોબર 2020ના રોજ ‘1962’ ટીમ તે સ્થળેથી નીકળી ત્યારે તે ગાય 1962-ગાડી જોઈ ટીમને ઓળખી ગઈ. જાણે તે એનિમલ ઈમરજન્સી ટીમની રાહ જોઇ બેસી રહી હતી. ગાય દોડતી-દોડતી 1962-ગાડી સાથે આવી અને વાનને ઘેરી વળી.
માત્ર એટલું જ નહીં જેમ એક માતા પોતાના સંતાન માટે ડૉક્ટરને બોલાવતી હોય એમ ગાય તેની વાછરડીની સારવાર માટે ટીમને તેમની સાથે આવવાનું કહેતી હોય એમ ભાંભરતી હતી. જેને પગલે ટીમને પણ ગાયની ભાવનાઓ સમજાઈ ગઈ એટલે ટીમે પણ પોતાની ફરજ બજાવવા અને ગાયની પછળ-પાછળ જઈ વાછરડીને સારવાર આપી રિ-ડ્રેસિંગ કર્યું હતું. રુટિન વિલેજ વિઝીટ દરમિયાન પણ આ જ ઘટનાક્રમનું 10 ઓક્ટોબરના રોજ પણ પુનરાવર્તન થયું.
‘1962’ ટીમના પ્રયાસો બાદ હાલ આ ગાય માતા અને વાછરડીને ગામના જ એક પશુપાલકના વાડામાં આશ્રય આપવામાં આવ્યો છે. આ સમગ્ર કેસ અંગે પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહીના જણાવ્યા અનુસાર, અમદાવાદ જિલ્લામાં ગ્રામ્યમાં 11 અને શહેરમાં 3 હરતા-ફરતા પશુ દવાખાના મુકવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં 10 ગામ દીઠ 1 વાન મૂકવામાં આવી છે. આ હરતું-ફરતું પશુ દવાખાનું રોજ ત્રણ ગામની નિયમિત મુલાકાત લે છે અને બે કલાક સુધી રોકાય છે અને ગામડાના બીમાર પશુઓને સારવાર આપે છે. આમ કુલ 6 કલાકની વિલેજ વિઝીટ કરે છે. આ ઉપરાંત બીજા 6 કલાક માટે ઇમર્જન્સી સેવા માટે ખડે પગે રહે છે એમ કુલ 12 કલાક માટે હરતું-ફરતું પશુ દવાખાનું ઉપલબ્ધ રહે છે.
આગળ વાત કરી કે, વિલેજ વિઝીટ દરમિયાન જો કોઈ ઇમરજન્સી કોલ આવે તો વિલેજ વિઝીટને ત્યાં જ અટકાવી ઇમરજન્સી કોલને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ ગ્રામીણ પશુપાલકોને ઓન કોલ 1962 સેવાથી 365 દિવસ માટે સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા દરમિયાન ઘરે બેઠા નિ:શૂલ્ક પશુ સારવાર ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે હરતું-ફરતું પશુ દવાખાનું-1962 ઇમરજન્સી સેવા 22મી જૂનના રોજ મુખ્યમંત્રીએ રાજ્યભરમાં શરૂ કરાવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ