જો વારે ઘડીએ બીમાર પડવા ન ઇચ્છતા હોવ તો અપનાવો આ સરળ ટેવો અને રહો સદા નિરોગી… આ ઉપાયો તમારી શરીરની પ્રતિકારક શક્તિ વધારશે જેથી તમે વારંવાર ન પડો બીમાર…
ઇમ્યુનિટિ વધારવા માટે કેટલાંક ખાસ પગલાં લેવાં જોઈએ. જેથી આપણે વારંવાર માંદાં ન પડીએ. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનાં પગલાં લેવા માટે અનેક દવાઓ અને ઔષધીઓ લેતાં હોઈએ છીએ. આપણે સૌ આપણાં શરીરને જેમ બને તેમ વધુ તંદુરસ્ત, ચૂસ્ત અને સ્ફૂર્તિલું રાખવાના પ્રયત્નો કરતાં હોઈએ છીએ. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાથી, શરીર સરળતાથી અનેક પ્રકારના રોગોથી સુરક્ષિત થઈ શકે છે.
પ્રતિકારક શક્તિ ઉપર અસર કરનારા પરિબળો…
આધુનિક જીવનશૈલી, ખોટી ભોજનશૈલી અને ઘરેલું તેમજ વ્યાવસાયિક કામકાજમાં પડતી નાની – મોટી મુશ્કેલીઓને લીધે શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ પ્રભાવિત થાય છે. તેથી આપણે તેને મજબૂત બનાવવાના ઉપાયો વિશે જાણવું જોઈએ. યુ.એસ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થની કેટલીક યુનિવર્સિટીઓમાં કરવામાં આવેલા સંશોધન મુજબ, રોગપ્રતિકારક શક્તિની અસરકારક કામગીરી વ્યક્તિના પોતાની કાર્યક્ષમતા, તેમના વિચાર અને વર્તન પર આધારીત છે. આ સિવાય આપણો આહાર, જીવનશૈલી અને જીવન પ્રત્યેનો આપણો અભિગમ પણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
શરીરમાં પાણીની પર્યાપ્ત માત્રા હોવી જરૂરી છે…
આપણાં શરીરમાં પાણીનો પૂરતો જથ્થો હોવો ખૂબ જ જરૂરી છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે એક કુદરતી દવા છે. કિડનીની કામગીરીને એકધારી કાર્યરત રાખવા અને શરીરમાંથી નકામો કચરો અને ઝેરી તત્વો દૂર કરવા માટે આપણે પુષ્કળ પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે રોગપ્રતિકારક શક્તિને પણ વધુ મજબૂત બનાવે છે. રજિસ્ટર્ડ ડાયેટિશન અને ન્યુટ્રિશન એક્સપર્ટના જણાવ્યા મુજબ, પાણી શરીરને શુદ્ધ કરવામાં અને શરીરને નુક્સાન કરતા જંતુઓ સહિતના ઝેરને દૂર કરવામાં મદદ કરે છે. જો શરીરમાં પાણીની માત્રા પર્યાપ્ત હશે તો લોહીનું બ્રહ્મણ અને વહન પણ યોગ્ય રીતે થતું રહેશે. શ્વસનતંત્ર, પાચનતંત્ર તેમજ ઉત્સર્ગતંત્ર એમ દરેક વિભાગને પાણીની જરૂરિયાત રહે છે. તેથી સારા સ્વાસ્થ્ય માટે અને રોગો સામે સુરક્ષિત રહેવા યોગ્ય પ્રમાણમાં પાણી પીતાં રહેવું જોઈએ. શુદ્ધ પાણીમાં ઓક્સીજનનું પ્રમાણ પણ શરીરને જોઈતા પ્રમાણમાં પૂરતું હોય છે તેથી વ્યક્તિ સ્ફૂર્તિ અને તંદુરસ્તી અનુભવે છે.
પૂરતી ઊંઘ
એક સમયે થયેલ નિંદ્રા વિશેના અભ્યાસ દરમિયાન ક્લિનિકલ ન્યુરોસાયન્સ ઓફ જર્નલ સેમિનાર્સના લેખકોના જણાવ્યા મુજબ, કેટલાક દિવસ સુધી ઊંઘ ઓછી કરવી એ તમારી રોગપ્રતિકારક શક્તિ માટે હાનિકારક હોઈ શકે છે. તમારા શરીર અને મગજને યોગ્ય રીતે કાર્યરત રાખવા માટે દરરોજ ૬થી ઉ કલાકની ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને પૂરતી ઊંઘ ન આવે, તો ફરીથી થોડો વખત બાદ આરામ કરવા માટે સમય ન હોવાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. ચિંતા, તણાવ અને મુશ્કેલીઓ વિશે વિચારણા કર્યા કરવાથી ઊંઘ નથી આવતી હોતી. કામનો બોજો અને ક્યારેક તો અકારણ ટી.વી કે કોમ્પ્યુટર અને મોબાઈલ સાથે સમય વીતાવ્યા કરવાની ટેવ પણ સારી રીતે ન ઊંઘ આવવાનું કારણ બને છે. માનસિક શાંતિ અને તંદુરસ્ત શરીર જોઈતું હોય તો પૂરતી ઊંઘ કરવી જ જોઈએ.
સાત્વિક આહાર લેવો…
સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંપૂર્ણ અને સંતુલિત આહાર, જેમાં ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક પોષક તત્વો શામેલ હોય એવો ખોરાક લેવો જ સલાહભર્યો છે, તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં તમારી સહાય કરે છે. આરોગ્યપ્રદ, તાજો અને પૌષ્ટિક આહાર લેવાની જેમને ટેવ હશે તેમને બીમારોની બહુ ફરિયાદ નહીં રહે તેમજ તેમને ૠતુ બદલાવવાથી થતા ચેપી રોગો અને વાઈરલ તાવની ફરિયાદ પણ નહીં રહે. બહારના નાસ્તા, તેલ મસાલાવાળી વાનગીઓ તમારું પેટ બગાડી શકે છે, જેમ જેમ તમે આવી વાનગીઓ વધુ ખાવ છો તેમ તમારા આરોગ્યને નુક્સાન કરે છે. શરીરના અંગો ઉપર પણ તેની અસર પડી શકે છે. તમારામાં કામ કરવાની તાકાત ઘટે છે અને એકાગ્રતા પણ જોખમાય છે. સાત્વિક આહાર કદાચ તમને સ્વાદિષ્ટ બહુ ન લાગે પણ લાંબેગાળે ઓછા તેલ મસાલાવાળો ખોરાક તમને નિરોગી અને દિર્ગાયુષી રાખશે.
શાકભાજી શામેલ કરો
એક ન્યુટ્રિશનલ બાયોકેમિસ્ટ્રીમાં જનરલમાં પ્રકાશિત સંશોધન મુજબ, જ્યારે તમે બ્રોકોલી, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ, કોબી, બીટ વગેરે જેવી બ્રાસિકા કૂળના શાકભાજી ખાઓ છો, ત્યારે તે એક પ્રકારનું તે કેમિકલ ઉત્પન્ન કરે છે જે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં તમારી સહાય કરે છે. તેથી, તમારી દૈનિક પૌષ્ટિક આહારની જરૂરિયાતોને પહોંચી વળવા, તમારા આહારમાં બ્રોકોલી સહિત શાકભાજીનો સમાવેશ કરો. જેમાં તમે કંદમૂળ અને લીલાં તમામ શાકભાજીઓ પણ લઈ શકો છો. જેને કાચાં જ સલાડના સ્વરૂપે કે પછી બાફીને સૂપ કે બોઈલ્ડ સ્વરૂપે અને શાકમાં ઉમેરીને પણ ખાઈ શકો છો.
સ્વચ્છતાનું ધ્યાન રાખો
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે, આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ગંદકી ચેપમાં રોગને વકરવાનું જોખમ વધારે છે. ખાવા પહેલાં અને રાંધતા પહેલા ફળો અને શાકભાજીને સારી રીતે ધોઈ લો. રાંધેલ રસોઈ ખાતા પહેલા તમારા હાથને સારી રીતે સાફ કરો. આ સિવાય તમારા શરીર અને કપડાંની સાફસફાઈનું ખાસ ધ્યાન રાખો. તમારા રસોડાંના વાસણો, ફ્રિજ અને નાસ્તા – મસાલાના ડબાઓ જેવી વસ્તુઓનું હાઈજિનીક હોવું ખૂબ જ જરૂરી છે. એક્સ્પાઈરી ડેટ અને વાસ આવી ગયેલ, બગડી ગયેલ ખોરાક ખાવો ન જોઈએ. તેથી સ્વચ્છતાનો આગ્રહ પહેલો રાખવો જોઈએ.
તણાવ ઘટાડો
તાણ પણ પરોક્ષ રીતે રોગપ્રતિકારક શક્તિ ઉપર ખરાબ અસર કરે છે. વિચલિત મનોસ્થિતિ અને અયોગ્ય ખોરાક લેવાની ટેવો આપણાં શરીરના પાચન તંત્રને અસર કરે છે જેથી વધુ પડતા તાણના કારણે ધીમેધીમે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. એક સંશોધનમાં જણાવ્યા મુજબ, તણાવને કારણે થતાં કોર્ટીસોલ નામના હોર્મોન્સ તમને મેદસ્વીપણું, હ્રદયરોગ, કેન્સર અને અન્ય રોગો તરફ જોખમી બનાવી શકે છે. તેથી જીવનમાં તાણ દૂર કરવાનો પ્રયાસ કરો. હળવા રહેવાથી અને હસતું રહેવાથી શરીરની પ્રતિરક્ષા વધારવામાં મદદ રહે છે.
યોગ કરો
યોગ અને પ્રાણાયામ વ્યક્તિને શારીરિક રીતે સ્વસ્થ અને માનસિક રીતે સંતુલિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં વિવિધ શારીરિક પ્રવૃત્તિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈ જાણકાર વ્યક્તિ પાસેથી યોગ શીખીને તે ઘરે રોજ કરવો જોઈએ. શરીરને જેટલું કસાયેલું રાખશો તો તે એટલું જ મજબૂત બનશે અને રોગો સામે રક્ષણ મેળવવા માટે પણ ઉપયોગી નીવડે છે. શ્વાસોછચ્વાસ સાથે ઓક્સિજનનું પ્રમાણ પણ શરીરમાં વધે છે તેથી યોગ અને પ્રાણાયણ શરીરના નિરોગી રહેવા માટે ખૂબ જ જરૂરી છે.
યોગ્ય ચરબીયુક્ત ખોરાક લેવો
વધુ પડતો ચરબીયુક્ત આહાર આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. પરંતુ, યાદ રહે કે તમારા આહારમાં યોગ્ય ચરબીની માત્રાનું સેવન કરવું જોઈએ. આ તમને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. સારી ચરબીમાંથી મળતા ઓમેગા 3 ફેટી એસિડ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેથી જેઓ તેલ, ઘી, બટર અને વિવિધ ચરબીવાળા ખોરાખ ખાવામાં પરહેજ રાખે છે, તેમણે થોડા પ્રમાણમાં તો ખાવું જ જોઈએ. શરીરને ફ્લેક્શિબલ રાખવા માટે પણ તેલયુક્ત ખોરાક ખાવો જોઈએ.
નિયમિત વ્યાયામ
શારીરિક તંદુરસ્તી અને રમતો અંગે રાષ્ટ્રપતિ પરિષદના કેટલાંક અભ્યાસમાંથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, નિયમિત વ્યાયામથી માંદા પડવાની સંખ્યામાં ઘટાડો થાય છે. એક સંશોધનમાં થયેલ અભ્યાસ અનુસાર, જે મહિલાઓ અઠવાડિયાના પાંચ દિવસ ઝડપથી અને નિયમિત કસરત કરે છે, તેઓ અન્ય મહિલાઓની તુલનામાં ઓછા માંદગી અનુભવે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કસરત કરવાથી શરીરના દરેક સ્નાયુઓને પૂરતું હલનચલન મળે છે અને શરીર ઝકડાઈ જતું નથી.
ઝીંકવાળા ખોરાક
ઝીંક એ એક ખનિજ તત્વ છે જે એન્ટિબોડીઝ, ટી-સેલ અને શ્વેત રક્ત કણોને વધારીને રોગપ્રતિકારક શક્તિને વધારે છે. એક સંશોધન મુજબ, ઝીંકની ખામીને કારણે તમને બેક્ટેરિયા, વાયરસ અને પરોપજીવીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાઓથી બચાવતી રહે છે. એક મેડિકલ રિસર્ચમાં જણાવ્યા અનુસાર ઝીંક વયની સાથે રોગપ્રતિકારક શક્તિને નબળી કરવાની પ્રક્રિયા ધીમું કરે છે. તેથી, જેમ ઉંમર વધે છે તેમ તમારામાં જો ઝીંક તત્વનું પ્રમાણ ઘટે છે, જેને બેલેન્સ રાખવા તમારા આહારમાં થોડા ખનીજ તત્વો પણ લેવાના પ્રયત્ન કરો.
વજન ઓછું કરવું
યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના ચેપલ હિલ સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધન મુજબ, સ્થૂળતા રોગપ્રતિકારક શક્તિના કામમાં અવરોધે છે, ચેપનું જોખમ પણ વધારે છે. તેથી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, સૌ પ્રથમ તમારા મેદસ્વીપણાને ઓછું કરો. જો શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હશે તો થાક લાગવો, વારંવાર બીમાર પડવું અને શરીરના અન્ય અંગોને ઘસારો પહોંચવા જેવી તકલીફો પડી શકે છે. જેઓ સ્ફૂર્તિલા હશે અને ચરબી નહિવત હશે તો તેમની રોગપ્રતિકારક શક્તિ વધારે હશે એ સ્પસ્ટ સમજી શકાય તેવું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ