રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 કોરોના દર્દીના મોત થયાં છે. આ સાથે જ એક દર્દી ગંભીર સ્થિતિમાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. હાલમાં મળતી માહિતી અનુસાર રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યા.
હોસ્પિટલના લોકોને નથી આવજતો ફાયર સેફ્ટીનો ઉપયોગ
જો કે હોસ્પિટલ પાસે ફાયર સેફટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે સ્ટાફને ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરતા આવડતો ન હોવાનો પણ ખુલાસો થયો છે. હોસ્પિટલમાં બારીના કાચ તોડીને વેન્ટિલેશન માટે પ્રયાસ કરાયા છે ત્યારે વેન્ટિલેશન વ્યવસ્થા સામે પણ સવાલ થાય છે.
આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું કે ‘આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે. જે પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે.’
ધારાસભ્યોની બેદરકારી પણ આવી સામે
ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયા નહોતા.
આગ લાગતાં બૂમાબૂમ થવા લાગી
નર્સિંગ સ્ટાફે આ ઘટના નજરે જોઈ છે, પરંતુ કોઈ નામ સહિત બોલવા તૈયાર નથી. મળતી માહિતી મુજબ, આગ લાગી ત્યારે અચાનક જ વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ત્યાર બાદ ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા. થોડીવાર સુધી શું કરવું કે શું ન કરવું એની ખબર જ ના પડી. થોડીવારમાં જ અન્ય હોસ્પિટલમાંથી ડોક્ટરો દોડી આવ્યા. અમુક બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
મેયર બીનાબેને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી
• મેયર બીનાબેન આચાર્યનું કહેવું છે કે, મોટી જાનહાની ટળી ગઈ છે. ફાયર સેફ્ટીના તમામ સાધનો હતા જેથી અન્ય લોકોને બચાવી શકાયા છે. તે શું 5 લોકોના મોત થયેલા તેમી જીવતી ભૂંજાયેલી લાશો મેયરને નહીં દેખાતી હોય? મેયર મૃતકોના પરિવારને સાંત્વના પાઠવવામાંથી પણ ગયા હતા.
•
રાજકોટ માટે દુઃખદાયક ઘટનાઃ વિપક્ષના નેતા
આ મામલે RMCના વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ કહ્યું કે ‘પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની ફાયરની સુવિધા હતી, પરંતુ તેઓ ફાયર સિસ્ટમ કરી શક્યા નહીં કે તેમને ઉપયોગ કરતા આવડ્યું નહીં. આ સમગ્ર ઘટના રાજકોટ માટે દુઃખદાયક છે.’
બાકીના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયાઃ ડીસીપી
આ મામલે DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજા કહે છે કે ‘હોસ્પિટલમાં અગમ્ય કારણોસર આગી લાગી હતી. હાલ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે. આ ઉપરાંત હોસ્પિટલના અન્ય વોર્ડમાં હાજર 22 જેટલા દર્દીને ઉદય હોસ્પિટલની બીજી બ્રાન્ચમાં ખસેડવામાં આવ્યા છે.’
મૃતકોનાં નામ
• રામશીભાઈ
• નીતિનભાઈ બાદાણી
• રસિકલાલ અગ્રાવત
• સંજય રાઠોડ
• કેશુભાઈ અકબરી
અગ્નિકાંડની ટાઇમલાઇનઃ કેટલા વાગે કઈ ઘટના
12.15 વાગ્યે ICU વિભાગના મશીનમાં શોર્ટસર્કિટ થતાં ભીષણ આગ લાગી.
12.20 વાગ્યે ફાયરબ્રિગેડની ટીમને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો.
12.30 વાગ્યે વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા.
12.35 વાગ્યે હોસ્પિટલમાંથી ડોક્ટરો સહિતનો સ્ટાફ દોડી આવ્યો અને બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો.
12.45 વાગ્યે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.
1.00 વાગ્યે 11 દર્દીને બચાવી લેવાયા, 3 દર્દીનાં મોત નીપજ્યા.
1.15 વાગ્યે ગંભીર રીતે દાઝેલા વધુ 2 દર્દીએ દમ તોડ્યો, મૃત્યુઆંક 5 થયો.
1.30 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસ કમિશનર, ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.
ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ બની હતી હોસ્પિટલમાં આગની ઘટનાઓ
આ પહેલાં પણ 6 ઓગસ્ટે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી, જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીનાં મોત થયાં હતાં. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. આ આગ હોસ્પિટલના ચોથા માળે લાગી હતી. પછી 25 ઓગસ્ટે જામનગરની જીજી હોસ્પિટલમાં અગ્નિકાંડનો બનાવ બન્યો હતો તેમાં પણ શોર્ટ સર્કિટનું કારણ જ સામે આવ્યું હતું. સપ્ટેમ્બરમાં વડોદરાની એસએસજી હોસ્પિટલના આઈસીયૂમાં આગ લાગી હતી. જેમાં ઇલેક્ટ્રિક વાયરો સળગતાં ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. વોર્ડમાં આગ લાગી હતી ત્યાં રહેલા કોરોનાના દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે જાનહાનિ ટળી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ