જાણો હોળાષ્ટક વિશેની ધાર્મિક, વૈજ્ઞાનિક અને પૌરાણિક માન્યતાઓ વિશે
રંગોના તહેવાર હોળી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શાસ્ત્રોમાં ફાગણ માસની શુક્લ પક્ષની અષ્ટમીથી હોલિકા દહન સુધીના સમયગાળાને હોળાષ્ટક કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં હોળીના આઠ દિવસ પહેલાં શુભ કાર્યો કરવા પર રોક હોય છે. હોળી પહેલાના આઠ દિવસને હોલાષ્ટક કહેવામાં આવે છે. આ વર્ષે હોલાષ્ટક 03 માર્ચથી શરૂ થશે જે 09 માર્ચ સુધી ચાલશે.
તો ચાલો આજે તમને જણાવીએ કે આ આઠ દિવસોમાં શું ન કરવું જોઈએ અને હોળાષ્ટક વિશેની વિવિધ માન્યતાઓ કઈ કઈ છે.
હોલાષ્ટક દરમિયાન આ કામ ન કરો
હોલાષ્ટકના 8 દિવસ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવું જોઈએ નહીં. આ સમય દરમિયાન ખાસ કરીને લગ્ન, ભૂમિપૂજા, વાસ્તુ પૂજા, ગૃહપ્રવેશ જેવા શુભ કામ કરવા જોઈએ નહી. આ ઉપરાંત કોઈપણ નવા વ્યવસાય કે નવા કાર્યની શરૂઆત પણ કરવી જોઈએ નહીં.
શાસ્ત્રો અનુસાર હોળાષ્ટકની શરૂઆત સાથે નામકરણ, જનોઈ વિધિ, ગૃહપ્રવેશ, લગ્ન સંસ્કાર જેવા શુભ કાર્યો બંધ થઈ જાય છે. આ દિવસોમાં કોઈપણ પ્રકારના હવન, યજ્ઞ જેવા ધાર્મિક કાર્યો પણ કરવામાં આવતા નથી.
હોળાષ્ટકનું મહત્વ
હોળાષ્ટકનો સમય ભક્તિની શક્તિને દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન ભગવાનની ભક્તિમાં ધ્યાન કરવું સારું ગણાય છે. જ્યારે હોળાષ્ટક શરૂ થાય છે ત્યારે ઝાડની ડાળી કાપીને તેને જમીન પર લગાવો. તેમાં રંગબેરંગી કપડાંના ટુકડા બાંધો. તેને ભક્ત પ્રહલાદનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જ્યાં હોલિકા દહન થાય છે ત્યાં તે વિસ્તારમાં હોલિકા દહન સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.
હોળાષ્ટકની પૌરાણિક કથા
એવું માનવામાં આવે છે કે હોળીના એટલે કે અષ્ટમીથી પૂર્ણિમા સુધીના આઠ દિવસોમાં વિષ્ણુ ભક્ત પ્રહલાદને ખૂબ યાતનાઓ આપવામાં આવી હતી.
પ્રહલાદને ફાગણ માસના શુક્લ પક્ષ અષ્ટમીથી હિરણ્યકશ્યપ દ્વારા મારવા વિવિધ પ્રકારના ત્રાસ અપાયા હતા. પરંતુ વિષ્ણુજીની ભક્તિથી પ્રહલાદ ગભરાયા નહીં અને વિષ્ણુ કૃપાથી દરેક વખતે બચી ગયા.
છેલ્લા જ્યારે ભાઈ હિરણ્યકશ્યપની મુશ્કેલી જોઇને તેની બહેન હોલીકા તેની મદદ માટે આવી ત્યારે તે પણ નિષ્ફળ રહી અને બ્રહ્માજીના વરદાનથી ભક્ત પ્રહલાદનું રક્ષણ થયું અને હોલિકાનું દહન થયું. ત્યારથી આ આઠ દિવસને અશુભ માનવામાં આવે છે.
હોળાષ્ટકનું વૈજ્ઞાનિક મહત્વ
આ એવો સમય હોય છે જ્યારે હવામાનમાં પરિવર્તનના કારણે મન અશાંત, હતાશ અને ચંચળ રહે છે. મન દ્વારા કરવામાં આવી ક્રિયાઓના પરિણામો શુભ હોતા નથી. તેથી આ સમયે મનને ખુશ કરવાનું કામ કરવાનું વધુ સારું રહે છે. એટલા માટે જ હોળાષ્ટક સમાપ્ત થતાં જ લોકો રંગથી રમી અને આનંદ માણી મન પ્રસન્ન કરે છે.
હોળાષ્ટકના ધાર્મિક કાર્યો
ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર હોળાષ્ટકના દિવસોમાં કરવામાં આવેલું વ્રત, ઉપવાસ અને દાનથી જીવનના દુ:ખોનો નાશ થાય છે અને ભગવાનના આશીર્વાદ મળે છે. તેથી આ સમય દરમિયાન મનને ભટકતું અટકાવી ભગવાનની ભક્તિમાં લીન થવું અને યથાશક્તિ દાન કરી અન્યને ઉપયોગી બનવું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ