આપણે બાળપણથી ભક્ત પ્રહલાદની ભક્તિમાં રહેલી શક્તિ અને અને તેમના પિતા રાજા હિરણ્ય કશ્યપની કૂટનીતિ, અહમી રાજનીતિ અને દંડ આપવાની ક્રુર રીત વિશેની દંતકથા સાંભળી છે. મારો દીકરો અને મારી પ્રજા મારા સિવાય કોઈ અન્યની ભક્તિ કરે ગુણગાન ગાય એ રાજા હિરણ્ય કશ્યપને અસહ્ય હતું. દીકરાને તેઓ અનેક સજા કરતા પણ ભક્તિના પ્રતાપે તેઓ બચી જતા અને રાજા વધુ ચીડાતા. અંતે, તેમણે એક યુક્તિ કરી. પોતાની બહેન અને પ્રહલાદના ફોઈનું નામ હતું હોળીકા. તેની પાસે એક એવા ખાસ પ્રકારની શાલ હતી, કે જો તેને કોઈ ઓઢી લે તે આગમાં પણ બળી જઈ શકે નહીં. એક દિવસ હિરણ્ય કશ્યપે ભક્ત પ્રહલાદને હોળીકાના ખોળામાં બેસાડાવા આદેશ આપી દીધો. ચારેકોર અગ્ની પ્રજ્જ્વલિત થતાં પ્રહલાદે ભગવાન વિષ્ણુને પોતાની રક્ષા કરવા પ્રાર્થના કરી. અગ્નીની જ્વાળ જેમકેમ વધી તેમ અચાનક હોળીકા તેમાં ભસ્મીભૂત થઈ ગઈ પરંતુ પ્રહલાદને કંઈ ન થયું. હિંદુ પૌરાણીક માન્યતાને આધીન ભારતીય સંસ્કૃતિમાં ભક્તિના વિજયને ઉજવવા પર્વને હોળી તરીકે મનાવાય છે.
શું મહત્વ છે? અહીં સૌથી વધુ મહત્વ રહે છે ગાયના ગોબરમાંથી બનાવેલ છાંણાંનું. જેમાં ગોળાઈમાં ઉપર તરફ ગોઠવાયેલ હોળીની ફરતે સૌ પરિક્રમા કરે છે. સામાન્ય રીતે નવું વરઘોડિયું એટલે નવપરણિત આ પૂજામાં બેસે છે. તેઓ સુખ – સંમૃદ્ધીની કામના કરે છે અને ઇચ્છે છે કે પ્રહલાદ જેવો નિષ્ઠાવાન પુત્રની પ્રાપ્તિ થાય. તથા પરિવારમાં ધન – ઐશ્વર્યની વૃદ્ધિ થાય.
યોગ્ય વિધિથી અને શુભ ચોઘડિયાંમાં કરાયેલ આ હોળીકા દહનની પવિત્ર જ્વાળની પ્રદક્ષિણા કરવાથી અનેક લાભ થાય છે. કહેવાય છે આની પ્રદક્ષિણા કરે તે આખું વર્ષ નિરોગી રહે છે. ફાગણ ચૈત્રની બે ધારી ઋતુમાં ઠંડી જતી હોય અને ગરમી આવતી હોય ત્યારે તાવ, શરદી અને શીતળા માતા જેવા ચેપી રોગમાં રાહત મળે છે. વળી, અગ્નીમાં શેકાયેલ ધાનની પ્રસાદી ખૂબ સુપાચ્ય અને આરોગ્યપ્રદ હોય છે. પૂજા કરીને જળ ચડાવીને પ્રદક્ષિણા કર્યા બાદ ઘરે જવા પહેલાં પૂજાની થાળીમાં હોળીકા દહનની રાખ સાથે લઈ જવી અને ઘરના દરેકે તેનું તિલક કરવું જોઈએ. જો ધન – વૈભવની પરિવારમાં ખોટ હશે તો પૂરા પરિવારે આ રીતે પૂજા કરવાથી અચૂક શુભ ફળ મળશે.